શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 6 જુલાઈ 2020 (16:04 IST)

જામ જોધપુરમાં આભ ફાટ્યું કુલ 18 ઇંચ વરસાદઃ 174 તાલુકામાં વરસાદ વરસ્યો

ગુજરાતમાં ત્રણ દિવસની ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 174 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે ખંભાળિયામાં 18.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પોરબંદર અને રાણાવાવમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. દ્વારકા જિલ્લાનાં ખંભાળિયામાં સાંજે માત્ર બે કલાકમાં જ આભ ફાટયું હતુ અને 12 ઇંચ વરસાદ વરસ્યો હતો.આ સાથે કલ્યાણપુરમાં 9 અને દ્વારકામાં 7 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ભાણવડ-વિસાવદર-કુતિયાણામાં 6 ઇંચ અને સુત્રાપાડામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મેંદરડા-માણાવદરમાં 5-5 ઇંચ, ચીખલી, પારડી, વંથલી, વાપી અને જૂનાગઢમાં 4-4 ઇંચ અનરાધાર વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડ અને કપરાડામાં પોણા 4 ઈંચ, જલાલપોર, ગીર ગઢડા, ગણદેવી, ખાંભામાં 3.5 ઈંચ વરસાદ, કેશોદ અને નવસારીમાં સવા 3 ઈંચ વરસાદ, બગસરા, તલાળા અને ધોરાજીમાં 3 ઈંચ વરસાદ, કાલાવડ, ટંકારા, ધારીમાં પોણા 3 ઈંચ વરસાદ, ચોર્યાસી, રાજુલા, વાલપુર, વાંકાનેર, ઉના, ભિલોડામાં 2.5 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ઉમરગામ, સાવરકુંડલા, વેરાવળ, જામજોધપુર, ધ્રોલ, પલસાણા, જાફરાબાદ, કોડિનારમાં સવા 2 ઈંચ અને ખેરગામ, અમરેલી, ચૂડા, સાયલામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. કેટલાક સ્થળોએ કાચા મકાનોની દિવાલો અને વૃક્ષો ધરાશાયી થયા હતા. સાંજે 6 થી 8 વાગ્યા વચ્ચે જ આભ ફાટયું હોય એમ બે કલાકમાં ખંભાળિયાનાં ગ્રામ્ય વિસ્તારોમાં 12 ઇંચ વરસાદ પડી ગયો હતો.ગીરગઢડાનાં જંગલમાં ચાર ઇંચ જેવા વરસાદથી રાવલ ડેમ ઓવરફલો થયો હતો. ડોળાસામાં આજે વધુ બે ઇંચ મેઘમહેર વરસી હતી. કોડીનાર તાલુકામાં નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જળબંબાકાર જેવી સ્થિતિ નોંધાઇ હતી.પોરબંદર અને રાણાવાવમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. વરસાદથી સર્વત્ર પાણી - પાણી થઇ ગયું હતું. જૂનાગઢ જિલ્લામાં આજ સવારથી મેઘરાજાની મહેર ઉભરાતા વિસાવદર અને માળીયાહાટીના પંથકમાં ધોધમાર પડતા સર્વત્ર જળબંબાકાર સર્જાયો છે. નદી - નાળાઓમાં ઘોડાપુર આવ્યા હતા.હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 8 જુલાઇ સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જેના પગલે માછીમારોને આગામી 9 જુલાઇ સુધી દરિયો નહીં ખેડવા સૂચના અપાઇ છે. ગઇકાલે દિવસ દરમિયાન અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. અમદાવાદમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ જોવા મળી શકે છે.