શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 ફેબ્રુઆરી 2017 (11:33 IST)

ગુજરાતમાંથી ISના બે આતંકવાદી ઝડપાયા, યાત્રાધામ ચોટીલામાં બોમ્બ વિસ્ફોટના કાવતરાનો પર્દાફાશ

દેશના સૌથી સલામત રાજ્યોમાં સામેલ ગુજરાતમાંથી સૌપ્રથમ વખત સિરિયા અને ઇરાકમાં સક્રિય આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)ના આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આતંકવાદી વસિમ અને નઇમ રામોડિયા ચામુંડા માતાના પ્રસિદ્ધ મંદિર ચોટિલામાં હુમલો કરવાનું ષડયંત્ર ઘડી રહ્યા હતા.  જોકે આ બંને આતંકવાદી ભાઇઓની મેલી મુરાદ બર આવે તે અગાઉ જ તેમને ગુજરાત એન્ટિ ટેરિરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે.

આ ઘટના બાદ ચોટિલા, સોમનાથ મંદિર, દ્વારકા, અંબાજી સહિતના ગુજરાતના ખ્યાતનામ ધાર્મિક સ્થળોમાં લોખંડી સલામતી બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયના ઘટનાક્રમ પર નજર કરવામાં આવે તો આતંકવાદી સંગઠનો હવે ગુજરાતમાં પગ જમાવવા માટે પ્રયાસ કરી રહ્યા હોય તેની સંભાવના પણ વધતી જાય છે. અગાઉ નવેમ્બર ૨૦૧૫માં ભરૃચમાં ભાજપના એક સ્થાનિક નેતાની ગોળી ધરબી દઇ હત્યા કરવામાં આવી હતી, જેમાં પણ આતંકી સંગઠનનો હાથ હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત તાજેતરમાં જ શનિવારે દાઉદ ઇબ્રાહીમના ભાઇ અનિશના ચાર શાર્પશૂટરને રાજકોટ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા.

આજે એટીએસ ગુજરાત દ્વારા ઝડપાયેલા આતંકવાદીઓમાંથી વસિમ રામોડિયા એમસીએ અને નઇમ રામોડિયા બીસીએની ડિગ્રી ધરાવે છે. આ બંને પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી પણ મળી આવી છે. એટીએસના અધિકારીઓએ વસિમને રાજકોટથી અને તેના નાના ભાઇ નઇમને ભાવનગરથી વહેલી સવારે ઝડપી પાડયો હતો. આ સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પાર પાડનારી એટીએસના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ ગુજરાત જે.કે. ભટ્ટે જણાવ્યું હતું કે 'અગાઉથી મળેલી બાતમીને આધારે અમે છેલ્લા ત્રણ મહિનાથી આ બંને ભાઇઓ પર ચાંપતી નજર રાખી રહ્યા હતા. અમારી પાસે એવી માહિતી આવી હતી કે બંને ભાઇઓ સ્કાયપ, ટેલિગ્રામ, ટ્વિટર, વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી આઇએસઆઇએસ સાથે સંપર્કમાં હતા. એકવાર તેમની વિરુદ્ધ તમામ પુરાવા એકત્ર થઇ ગયા બાદ અમે રાજકોટ-ભાવનગરથી તેમને તેમના ઘરેથી ઝડપી પાડયા છે.' એટીએસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં એમ પણ સામે આવ્યું છે કે આ બંને આતંકવાદીઓ ચોટિલા મંદિર પર આતંકી હૂમલો કરવાની ફિરાકમાં હતા. આ અંગે એટીએસના એસીપી બી.એસ. ચાવડાએ જણાવ્યું હતું કે 'અન્ય લોકો ઉપર પોતાનો ખોફ વધારવા માટે આ બંને આતંકીઓએ ચોટિલા મંદિર પર હૂમલો કર્યા બાદ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરવા પણ મનસૂબો ઘડી કાઢ્યો હતો. અન્ય પણ કેટલાક સ્થળોને ટાર્ગેટ બનાવ્યા હતા તેમજ વાહનો પર આગચંપી કરવા પણ આયોજન કર્યું હતું. ' કમ્પ્યુટરમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા આ બંને ભાઇઓ બે વર્ષ અગાઉ સામાન્ય યુવાન જેવા સ્વપ્ન ધરાવતા હતા. પરંતુ આઇએસઆઇએસના સાહિત્યના સંપર્કમાં આવ્યા અને જેની સાથે જ શેતાને તેમના દિમાગમાં જાણે કબ્જો જમાવી દીધો હતો.

આ બંને ભાઇઓ આઇએસએસના વિવાદાસ્પદ ઉપદેશક મુફ્તી અબ્બાસ સામી કાસમીના પણ સંપર્કમાં હતા, જેની ફેબુ્રઆરી ૨૦૧૬માં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બી.એસ.ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે 'તેઓ છેલ્લા ત્રણ માસથી અમારી રડારમાં હતા. અમે તેમની ધરપકડ કરી ત્યારે તેઓ લોનવૂલ્ફ સ્ટાઇલથી હૂમલો કરવા માટે બોમ્બ બનાવવાની તૈયારીમાં હતા. ' રાજકોટ અને ભાવનગરથી આતંકવાદી બે સગા ભાઇ પકડાયા બાદ તેઓ ગુજરાતમાં ચોટિલા, સોમનાથ અને દ્વારકા સહિતના મંદિરો પર હુમલા કરવા હોવાની સ્ફોટક માહિતી આધારે ગૃહ વિભાગ દ્વારા ગુજરાતના તમામ મંદિરો પર લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો હતો અને ચોટિલા, દ્વારકા તેમજ સોમનાથ મંદિરમાં ડોગ અને બોમ્બ સ્ક્વોર્ડની મદદથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.