રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 માર્ચ 2019 (14:27 IST)

વડાપ્રધાન મોદીએ શ્રમયોગી માન ધન યોજનાનો શુભારંભ કરાવ્યો, જાણો કોને અને કેવી રીતે મળશે તેનો લાભ

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રમયોગી માન ધન યોજનાની શરૂઆત કરાવી છે. મોદીએ દેશભરનાં શ્રમિક લાભાર્થીઓને સર્ટીફીકેટ આપીને સન્માનિત કર્યા હતાં. રાજ્યનાં સીએમ વિજય રૂપાણીએ આ કાર્યક્રમમાં નિવેદન આપ્યું કે, 'દેશના શ્રમિકોને ધ્યાનમાં રાખીને અને દેશનો શ્રમિક પણ સન્માનભેર જીવન જીવી શકે તે માટે આપણા  વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે.' આ યોજના હેઠળ અસંગઠીત કામદારોની નોંધણી કરવામાં આવશે. દર માસે કામદારે નક્કી કર્યા મુજબની રકમ ભરવાની રહેશે અને આ કામદારોને ભવિષ્યમાં પેન્શન આપવામાં આવશે. હાલ નોંધણી માટેનો દેશભરમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. માનધન યોજનામાં માસીક આવક રૂ. 15 હજાર કરતા ઓછી હોય તેવા મજુર, રત્ન કલાકાર, પાથરણાવાળા, લારી-ગલ્લાવાળા, અગરીયા, માછીમાર, કડીયા-દાડીયા સહિતના લોકો લાભ લઈ શકશે. માનધન યોજનામાં નામ નોંધાવવા માટે સીએસસી સેન્ટર પર આધારકાર્ડ, મોબાઈલ નંબર, બેન્ક પાસબુક વગેરે માહિતી આપવી પડશે. આ માહિતી ઓનલાઈન નાખવામાં આવશે અને પ્રથમવાર કામદારે કોષ્ટક મુજબની રોકડ રકમ આપવી પડશે. આ પ્રક્રિયા બાદ દસ મિનિટમાં કામદારને પ્રીન્ટ કરેલુ કાર્ડ આધાર માટે આપવામાં આવશે અને ત્યારબાદ દર માસે કામદારના બેન્ક ખાતામાંથી ઉંમરના કોષ્ટક મુજબની રકમ કપાશે. માનધન યોજનામાં 18 થી 40 વર્ષના લોકો માટે ઉંમર મુજક એક કોષ્ટક બનાવવામાં આવેલ છે. જેમાં 18 વર્ષના કામદારને દર માસે રૂ. 55 ભરવાના અને 40 વર્ષના કામદારને દર માસે રૂ. 200 ભરવાના રહેશે. પ્રથમવાર કાર્ડ કઢાવવા રોકડ રકમ આપવી પડશે પરંતુ ત્યારબાદ કામદારના બેન્ક ખાતામાંથી દર માસે ઓનલાઈન રકમ કપાશે. જે કામદારની માસિક આવક રૂ. 15 હજારની અંદર હશે તેને જ લાભ મળશે. આ કામદારોને 60 વર્ષ બાદ દર મહીને રૂ. 3 હજાર પેન્શન મળશે અને જો કામદારનુ મૃત્યુ થાય તો તેને જેનુ વારસદાર તરીકે નામ લખાવ્યુ હશે તેને દર માસે રૂ. 1,500 પેન્શન મળશે.