શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 ઑક્ટોબર 2019 (16:30 IST)

સુરતમાં હીરાઉદ્યોગમાં 200 કારીગરોની નોકરી ગઈ, એક રત્નકલાકારે જીવન ટૂંકાવ્યું

સુરતમાં છેલ્લા ઘણા સમયથી હીરાઉદ્યોગમાં મંદી ચાલી રહી છે અને નોકરીઓ ન મળતાં લોકો શહેર છોડી રહ્યા છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ મંદીને કારણે સુરતમાંથી વધુ 200 કારીગરોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે.
સુરતમાં વધુ એક ડાયમંડ કટિંગ, પૉલિશિંગ કંપની ગોધાણી ઇમ્પેક્સ બંધ થઈ ગઈ છે.
કંપની અને કારીગરો વચ્ચે ઘણી તકરાર થયા પછી કંપની કારીગરોને ઑક્ટોબર અને સપ્ટેમ્બર મહિનાનો પગાર આપવા સહમત થઈ હતી.
બીજી તરફ સુરતમાં હીરાઉદ્યોગની મંદીને કારણે એક બેકાર કારીગરે ઝેરી દવા પીને જિંદગી ટૂંકાવી છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે 41 વર્ષીય જયેશ શિંગાળાએ સરથાણામાં તેમના ઘરની બહાર શેરીમાં ઝેરી દવા પીધી હતી અને બાદમાં વીડિયો પણ શૂટ કર્યો હતો.
આ વીડિયો તેઓએ તેમના ભાઈને ઉદ્દેશીને બનાવ્યો હતો અને વીડિયોમાં કહ્યું કે તેઓ બેરોજગારીને લીધે કંટાળી ગયા છે અને હવે કોઈ વિકલ્પ બચ્યો નથી.
તેઓએ દવા પીધી હોવાની જાણ થતાં તેમને સ્મીમેર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તેમને બચાવી શકાયા નહોતા.
યોગીચોકમાં તિરુપતિ સોસાયટીમાં રહેતા જયેશ શિંગાળા કિરણ જેમ્સમાં નોકરી કરતાં હતા, પરંતુ છેલ્લા બે મહિનાથી બેકાર હતા.
જયેશભાઈ મૂળે બોટાદ જિલ્લાના કિકલિયા ગામના વતની હતા.
જયેશભાઈને એક નાનો પુત્ર અને પુત્રી છે. તેઓ ત્રણ ભાઈઓ અને માતાપિતા સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા.