1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 ફેબ્રુઆરી 2023 (17:25 IST)

વઢવાણમાં અંગત અદાવતમાં ત્રણની હત્યા, પિતા, પુત્ર અને પુત્રવધુને રહેંસી નાંખ્યા

crime news gujarati
વઢવાણના ફૂલગ્રામમાં ત્રિપલ મર્ડરનો બનાવ સામે આવ્યો છે. એક જ પરિવારના પિતા, પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાઈ છે. હત્યારો ફરાર થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલ ફૂલગામમાં આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ફૂલગ્રામમાં એક જ પરિવારના ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. એક જ પરિવારના પિતા, પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી છે. હત્યા નિપજાવનાર આરોપી ભગાભાઈ નાગજીભાઈ નાશી છૂટતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના અંગે મળતી વિગત મુજબ જોરાવરનગર પોલીસ મથક વિસ્તારમાં આવતા ફુલગ્રામમાં રહેતા હમીરભાઇ કેહરભાઇ મેમકીયાને ગામના જ રહેવાસી ભગા નાગજીભાઇ (રહે. મુળ મોરવાડ, હાલ ફુલગ્રામ) સાથે રસ્તે ચાલવા બાબતે માથાકુટ ચાલતી હતી.આ નજીવી બાબતે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. અને બાદમાં લોહીયાળ ખેલ ખેલાયો હતો. આ ચકચારી બનાવની પ્રાથમિક વિગતો મળી છે. જેમાં હમીરભાઇ, તેના પુત્ર અને પુત્રવધુની હત્યા નિપજાવવામાં આવી છે.પ્રાથમિક તપાસમાં અંગત અદાવત રાખીને હત્યા નિપજાવી હોવાની ચર્ચા છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરી હતી.

હત્યા કરીને ફરાર થયેલા હત્યારાને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. આખરે કેમ ત્રણ લોકોની કરપીણ હત્યા કરવામાં આવી અને સમગ્ર મામલો શું છે તે મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.આ બનાવના પગલે જોરાવરનગર પોલીસ, જિલ્લા એલસીબીની ટીમ, એસઓજીની ટીમો, સુરેન્દ્રનગર જીલ્લા એસપી, ડીવાયએસપી, પીઆઇ સહિતના અધિકારીઓ અને પોલીસ કાફલો તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો છે. જ્યારે ત્રણેય મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડાયા છે. જેમાં અન્ય કેટલાક લોકોને ઇજા થયાનું પણ જાણવા મળી રહયું છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.