1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 24 નવેમ્બર 2018 (14:46 IST)

અમદાવાદમાં બસ ચાલકે બે સાઈકલ સવારને લીધા અડફેટે, ટક્કર એટલી ગંભીર કે યુવક અને યુવતીના દેહ થયા ક્ષત વિક્ષત

અમદાવાદમાં દિવસે ને દિવસે હીટ એન્ડ રન અને અકસ્માતની ઘટના વધી રહી છે. મોડી સાંજે વૈષ્ણોદેવી સર્કલ પાસે સાઈક્લિંગ કરી રહેલા યુવક અને યુવતીને બસના ડ્રાઈવરે ટક્કર મારતાં બન્નેના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા. આ બનાવને પગલે વૈષ્ણોદેવી સર્કલ તેમજ સોલા સહિત રિંગરોડ પર ટ્રાફિક ચક્કાજામ થઈ ગયો હતો. અકસ્માત સર્જાયા બાદ બસનો ચાલક બસ મુકીને ભાગી ગયો હતો. આ બનાવ અંગે સાબરમતી પોલીસે બસ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. 
 
બનાવની વિગત એવી છે કે સ્વાતીની સગાઈ અમાદાવાદના રોશન સાથે થયા હતા.  23 નવેમ્બરના રોજ સાંજે સાડા સાત વાગ્યે અમદાવાદના એસ.જી.હાઈવે નજીક આવેલા ગોદરેજ સિટીમાં રહેતી અંદાજે 30 વર્ષીય સ્વાતી શર્મા નામની યુવતી અને તેમના મંગેતર રોશન ઠાકુર સાયક્લિંગ કરવા નીકળ્યા હતા. તેઓ વૈષ્ણોદેવી સર્કલ નજીક અંડરબ્રિજ પાસેથી સાઈકલ પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે પૂરઝડપે ઝુંડાલથી વૈષ્ણવદેવી તરફ આવતી ખાનગી કંપનીની સ્ટાફ બસ માતેલા સાંઢની જેમ આવી હતી. અને વૈષ્ણવદેવી સર્કલ પાસે જતાં યુગલને અડફેટે લીધુ હતુ. જેના કારણે બંન્ને જણાની સાયકલો 50 મીટર દુર સુધી ઘસેડાઇ હતી. કમકમાટી ભરેલા અકસ્માતના કારણે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા
 
અકસ્માત એટલો ગંભીર હતો કે યુવતીના માથાના વાળ પણ 100 મીટર દુર પડયા હતા. જયારે યુવકના કપડા ત્રણ કલાક બાદ પણ મળ્યા નહોતા. ઘટના સ્થળે જ બંન્ને મૃતકોના શરીર ક્ષત-વિક્ષત થઇ ગયા હતા. આ ઉપરાંત એક કાર ચાલક અને રિક્ષા ચાલકને પણ ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બસ 500 મીટર સુધી દુર ઉભી રહી ગઇ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ખાનગી બસની સ્ટાફ બસના ચાલક લાભશંકર મીણાને હાર્ટ એટેક અથવા પેરાલિસીસ એટેક આવતા અકસ્માત થયો.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવક અને યુવતીની થોડા દિવસ પહેલાં જ સગાઈ થઈ હતી. તેઓ પ્રભુતામાં પગલા પાડી નવી જિંદગીની શરૂઆત કરે તે પહેલાં જ તેઓનો જીવન દિપ બુજાઈ ગયો છે.