1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 4 જૂન 2021 (11:32 IST)

કોરોના પર કાબૂ મેળવવા મહત્વપૂર્ણ નિર્ણય, આજથી ૧ર૦૦ કેન્દ્રો પર દરરોજ કુલ ૩ લાખ લોકોને વેક્સિન અપાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવાના ઉદેશ્યથી અને વધુને વધુ લોકોને કોરોનાથી રક્ષણ આપવા આજથી તા.૪ જૂનથી રાજ્યના તમામ જિલ્લા-તાલુકામાં ૧૮ થી ૪૪ની વયના લોકોને કોરોના વેક્સિનેશન વિનામૂલ્યે આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 
 
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને તેમજ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલની ઉપસ્થિતીમાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ આ નિર્ણયના સંદર્ભમાં જણાવ્યું કે, રાજ્યમાં મહત્તમ લોકોને કોરોના રસીકરણથી આવરી લઇ કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લેવાનો નિર્ધાર કરેલો છે.
 
આ હેતુસર, રાજ્યના ૧૮ થી ૪૪ ની વય જૂથના લોકોને ત્વરાએ રસીકરણમાં આવરી લેવાના આયોજન રૂપે શુક્રવાર તા. ૪ જૂનથી સમગ્ર રાજ્યના જિલ્લાઓ-તાલુકાઓમાં ૧ર૦૦ જેટલા વેક્સિનેશન સેન્ટર પરથી આ વયજૂથના યુવાઓને વિનામૂલ્યે વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, આ રસીકરણ અંતર્ગત દરરોજ આશરે સવા બે લાખ જેટલા યુવાઓને આ રસીકરણ કેન્દ્રો પરથી વિનામૂલ્યે રસીકરણમાં આવરી લેવાશે. તેમણે જણાવ્યું કે, ૧૮ થી ૪૪ ની વયજૂથના યુવાનો જેમણે રજીસ્ટ્રેશન કરાવેલું હશે તેમને એસ.એમ.એસ. દ્વારા તેમના વેક્સિનેશન માટેનું સ્થળ, સમય અને સ્લોટની જાણ કરવામાં આવશે. તે અનુસાર તેમણે નિયત કરેલા કેન્દ્રો પરથી આવી વેક્સિન વિનામૂલ્યે અપાશે.
 
વિજય રૂપાણીએ કહ્યું કે, રાજ્યમાં ૪પ થી વધુની વયના લોકોને પણ કોરોના વેક્સિન આપવાની કામગીરીમાં રોજના ૭પ હજાર લોકોને વેક્સિન અપાશે. આમ, રાજ્યમાં આવતીકાલથી દરરોજ ૩ લાખ જેટલા લોકોને વિનામૂલ્યે કોરોના વેક્સિન આપવાનું મહાઅભિયાન હાથ ધરાશે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉમેર્યુ કે રાજ્યમાં અત્યાર સુધી ૧૦ શહેરોમાં ૧૮ થી ૪૪ની વયજૂથનાં રોજના સવા લાખ યુવાઓને વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવતી હતી. યુવાનોમાં વેક્સિનેશન અંગે જોવા મળેલા ઉત્સાહને વેગ આપતાં હવે રાજ્ય સરકાર દ્વારા આજથી સવા બે લાખ યુવાઓને દરરોજ ૧ર૦૦ કેન્દ્રો પરથી વિનામૂલ્યે વેક્સિન અપાશે.
 
 
તેમણે કહ્યું કે, ગુજરાતમાં બે ભાગમાં કોરોનાની રસી આપવામાં આવે છે, જેમાં ૪પ કે તેથી વધુ વયના નાગરિકો અને બીજા ભાગમાં ૧૮ થી ૪૪ વર્ષના યુવાનોને રસી આપવામાં આવે છે. એટલું જ નહિ, ૧૮ થી ૪૪ વર્ષના યુવાનો માટે રાજ્ય સરકારે ૩ કરોડ વેક્સિનના ડોઝ માટે ઓર્ડર આપ્યો છે. 
 
 
રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ભારત સરકારની મદદથી રાજ્યના ૧૮ લાખથી વધુ યુવાઓને નિ:શુલ્ક વેક્સિન આપી છે. હવે, આ વિનામૂલ્યે વેક્સિનેશન અભિયાન રાજ્યના તમામ જિલ્લા-તાલુકા મથકોએ ૧ર૦૦ રસીકરણ કેન્દ્રો દ્વારા સઘન રીતે ઉપાડી ગુજરાત સમગ્ર દેશમાં વેક્સિનના કાર્યક્રમમાં પણ અગ્રેસર રહેશે.
 
કોર કમિટીની આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવી તેમજ વરિષ્ઠ સચિવો ઉપસ્થિત હતા.