શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 ઑગસ્ટ 2018 (15:43 IST)

જળસંકટમાં રૂપાણીનું પાણી મપાશે, નર્મદા ડેમમાં સિંચાઈ માટે ફક્ત 2% જ પાણી બચ્યું

ગુજરાતમાં આ વખતે મેઘરાજાની પધરામણી ક્યાંક સારી થઇ છે તો ક્યાંક ઓછી માત્રામાં થઇ છે. મધ્યમાં પણ પરિસ્થિતિ એવી છે કે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી ઓછી થઇ રહી છે અને તળિયું દેખાવા માંડીયું છે. ડેમમાં પાણીની ક્ષમતાથી માત્ર 2 ટકા જીવંત પાણીનો (લાઇવ સ્ટોરેજ) જથ્થો છે. જે માત્ર ચારથી પાંચ દિવસ સુધી માંડ ચાલે તેમ છે.ચોમાસાની સિઝનમા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણી નહી ભરાતા ચોમાસામાં પણ આકરુ જળસંકટ જણાઇ રહ્યું છે. તેમજ ખેડૂતોને હાલમાં અપાઈ રહેલું સિંચાઈનું પાણી પણ જ બંધ થઈ જશે.સરકારે બાંહેધરી આપતા કહ્યું છે તે કોઇપણ સ્થિતિમાં નાગરિકોને પીવાના પાણીની કોઈ તકલીફ નહીં પડે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગરમાં મીડિયા સાથેની વાતચીતમાં આ અંગે જણાવ્યું હતુ કે, મધ્યપ્રદેશથી નર્મદા નદી શરૂ થાય છે જે લગભગ 1200 કિલોમીટર લાંબી છે જેના પર સરદાર સરોવર સહિતના મોટા ચાર ડેમો બંધાયેલા છે. ભૂતકાળમાં 100 વર્ષના સમયના સર્વેને આધારે ટ્રિબ્યુનલે નર્મદા નદી અને તેના પર બંધાયેલા ડેમોની પાણીની ક્ષમતા 28 મિલિયન એકર ફૂટ નક્કી કરી હતી. જેમાંથી મધ્યપ્રદેશનો 18 એમએએફ જ્યારે ગુજરાતના હિસ્સામાં 9 એમએએફ જેવું પાણી આવે છે. અન્ય બે રાજ્યો મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ભાગે ખૂબ ઓછું પાણી આવે છે.આ સીઝનમાં ગુજરાતમાં તેમજ મધ્યપ્રદેશ- રાજસ્થાનમાં પણ પ્રમાણમાં ઓછો વરસાદ પડયો છે. જો ઓગસ્ટ- સપ્ટેમ્બરમાં એ રાજ્યોમાં વધુ વરસાદ પડશે તો આગામી અઠવાડિયામાં પણ સાર્વત્રિક વરસાદ પડશે તો કોઈ ચિંતા રહેશે નહીં. નર્મદાની સપાટી 110.64 મીટરે પહોંચશે એટલે સિંચાઈને મળતું પાણી જાતે બંધ થઈ જશે. જો નર્મદા ડેમમાં પાણીની આવક ચાલુ રહેશે તો સિંચાઈનું પાણી આપોઆપ ચાલુ રહેશે. સરકાર સિંચાઈનું પાણી બંધ કરતી નથી. વરસાદ નહી પડવાની ગમે તેવી પરિસ્થિતિનો સરકાર સામનો કરશે. તેમજ આગામી 12 મહિના સુધી પીવાના પાણીની કોઈ સમસ્યા ઉભી થવા દેવાશે નહીં.બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણ જળક્ષમતા 138.68 મીટરથી 27.48 મીટર એટલે કે 90 ફુટ જેટલો નર્મદા ડેમ ખાલી છે. ઉપરવાસ મધ્યપ્રદેશનો ઇન્દીરા સાગર ડેમ હજુ પણ નવ મીટર જેટલો ખાલી છે. આવી કપરી પરિસ્થીતી છે. ત્યારે ડેમના ઉપરવાસના વિસ્તારમાં પુરતો વરસાદ ન થાય તો પાણીની ગંભીર સ્થિતિ થાય તેમ છે.