મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 માર્ચ 2018 (14:30 IST)

ભાજપે વિધાનસભા ચૂંટણી વખતે બેફામ પાણી વેડફતા ગુજરાતમાં જળસંકટ વધ્યું

ગુજરાતની ભાજપ સરકાર વોટર મેનેજમેન્ટ-વોટર ડિસ્ટ્રીબ્યુશનમાં સંપૂર્ણ નિષ્ફળ ગઇ છે અને જેના લીધે રાજ્યના ખેડૂતો આ વખતે ઉનાળાનો પાક લઇ શકશે નહીં. હજુ ઉનાળાની શરૃઆત પણ થઇ નથી ત્યાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાવવાનું શરૃ થઇ ગયું છે. પીવા અને સિંચાઇ માટે નર્મદા યોજનાનું પાણી વડાપ્રધાનની સી-પ્લેનની સહેલ માટે વેડફાયું હતું તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જણાવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કરેલા આક્ષેપ પ્રમાણે નર્મદા યોજનામાં દર વર્ષે પાણીની ફાળવણીના આંકડા ઓક્ટોબરમાં જાહેર કરવામાં આવે છે.

જેમાં ૧ નવેમ્બર ૨૦૧૭ની સ્થિતિએ ગુજરાત માટે નર્મદા બેઝિનમાંથી ૫.૨૦ મિલિયન એકર ફીટ પાણી ફાળવવામાં આવ્યું હતું. જેમાંથી વાપરવા યોગ્ય પાણીનો જથ્થો ૩.૫૪ મિલિયન એકર ફીટ રહ્યો હતો. અલબત્ત, ૧૦ જાન્યુઆરી ૨૦૧૮ની સ્થિતિએ આ પાણી એકાએક ઘટીને ૧.૦૧ મિલિયન એકર ફીટ થઇ ગયું હતું. આમ, ૧ નવેમ્બર ૨૦૧૭થી ૧૦ જાન્યુઆરી ૨૦૧૮ સુધીના સમયગાળામાં ૨.૫૩ મિલિયન એકર ફીટ પાણી વપરાઇ ગયું હતું. ભાજપે સત્તા માટે કરેલા પાણીના વેડફાટની કિંમત તેની પ્રજાને ચૂકવવી પડી રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, '૧ જુલાઇ ૨૦૧૭થી ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ સુધીમાં સાબરમતી રિવરફ્રન્ટમાં ૫૮.૫૪ મિલિયન ક્યુબિક મીટર પાણી છોડાયું હતું. મુખ્યમંત્રી વિજય રૃપાણી ખેડૂતોને ઉનાળુ પાક ન કરવાની સૂફિયાણી સલાહ આપે છે. આ સલાહનો અમલ ચૂંટણી વખતે વડાપ્રધાનને કરાયો હોત તો આવું જળસંકટ પેદા થાત નહીં. આયોજન પંચ તથા કેગ દ્વારા કહેવાયું હોવા છતાં સમાંતર રીતે કેનાલનું કામ ન કર્યું હોવાથી ખેડૂતોને પાણી મળતું નથી. દર સિઝનમાં ખેડૂતોને ૧૮૦૦ કરોડથી વધુ નુકસાન થયું છે. ભાજપમાં ચાલતા ભ્રષ્ટાચારને કારણે નર્મદા યોજનાનો ૨૦૧૪-૧૫નો ભાવ સપાટીએ રૃ. ૫૪૭૭૨.૯૩ કરોડનો અંદાજ હતો તેના સામે ઓક્ટોબર ૨૦૧૬ સુધીમાં રૃપિયા ૫૬૨૮૬.૧૨ કરોડ ખર્ચાઇ ગયા છતાં કેનાલોમાં કામ બાકી છે. જે કેનાલો બની છે તે અત્યંત નબળી છે. ગુજરાતમાં ૧૦ હજાર કરોડના પાણીનો કાળો કારોબાર ભાજપના મળતીયાઓ કરી રહ્યા છે.