રવિવાર, 28 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Updated : સોમવાર, 25 સપ્ટેમ્બર 2023 (15:45 IST)

Pitru Paksha 2023: પિતૃ પક્ષ ક્યારથી થઈ રહ્યા છે શરૂ ? જાણી લો તિથિ પ્રમાણે કયુ શ્રાદ્ધ ક્યારે છે ? પિતૃ પક્ષમાં તિથિનુ શુ છે મહત્વ

pitru paksha
pitru paksha
-  પિતૃ પક્ષમાં પિતૃઓને તૃપ્ત કરવાથી પિતૃ દોષ દૂર થાય છે.
-  પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ માટે તર્પણ, પિંડ દાન, શ્રાદ્ધ વગેરે કરવામાં આવે છે.
-  29 સપ્ટેમ્બર, શુક્રવારે પૂર્ણિમા શ્રાદ્ધ છે.
 
Pitru Paksha 2023 Start Date:  પિતૃ પક્ષ આપણા બધા પિતરોને તૃપ્ત કરવાનુ પખવાડિયુ હોય છે. ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષને પિતૃપક્ષ કહે છે.  તેને શ્રાધ્ધ પક્ષ પણ કહેવામાં આવે છે. પિતૃ પક્ષ ભાદરવાની પૂનમથી લઈને ભાદરવાની અમાસ સુધી હોય છે.  પિતૃ પક્ષમાં પોતાના પિતરો માટે તર્પણ, પિંડદાન, શ્રાધ્ધ, પંચબલિ કર્મ વગેરે કરવામાં આવે છે.  ધાર્મિક માન્યતાઓ મુજબ પિતૃ પક્ષમાં પિતરોને તૃપ્ત કરવાથી પિતૃ દોષ દૂર થાય છે.  પરિવારમાં સુખ, શાંતિ અને ખુશહાલી તેમજ ઉન્નતિ થાય છે. વંશની વૃદ્ધિ થાય છે. પિતૃ પક્ષ ઉપરાંત દર મહિનાની અમાસના રોજ પણ પિતરોને પ્રસન્ન કરવાના ઉપાય કરવામાં આવે છે.  જ્યારે પૂર્વજો ગુસ્સે થાય છે, ત્યારે તેઓ તેમના વંશજોને શ્રાપ આપે છે, જેનાથી કુટુંબમાં વિખવાદ, અશાંતિ, વંશજોની ખોટ અથવા વ્યક્તિ સંતાનના સુખથી વંચિત રહે છે. પિતૃ દોષમાંથી મુક્તિ મેળવવા માટે પિતૃ પક્ષ સૌથી ઉત્તમ અવસર છે. તો ચાલો જાણીએ  પિતૃ પક્ષ ક્યારે શરૂ થાય છે? શ્રાદ્ધની કઈ તારીખો છે?
 
પિતૃ પક્ષ 2023ની શરૂઆત 
 
આ વર્ષે પિતૃ પક્ષની શરૂઆત 29 સપ્ટેમ્બર શુક્રવારથી થઈ રહી છે. આ દિવસે પૂર્ણિમાનુ શ્રાદ્ધ અને પ્રતિપદા શ્રાદ્ધ છે. પંચાગ મુજબ 29 સપ્ટેમ્બરના રોજ ભાદરવા પૂર્ણિમા બપોરે 3 વાગીને 26 મિનિટ સુધી છે અને ત્યારબાદથી ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિ શરૂ થઈ જશે. જે  30 સપ્ટેમ્બરના રોજ બપોરે 12 વાગીને 21 મિનિટ સુધી છે.  
  
પિતૃ પક્ષ 2023 શ્રાદ્ધ કેલેન્ડર
પિતૃ પક્ષનો પ્રથમ દિવસઃ 29 સપ્ટેમ્બર, પૂર્ણિમા શ્રાદ્ધ, પ્રતિપદા શ્રાદ્ધ
પિતૃ પક્ષનો બીજો દિવસ: 30 સપ્ટેમ્બર, દ્વિતિયા શ્રાદ્ધ
પિતૃ પક્ષનો ત્રીજો દિવસઃ 1 ઓક્ટોબર, તૃતીયા શ્રાદ્ધ
પિતૃ પક્ષનો ચોથો દિવસ: 2 ઓક્ટોબર, ચતુર્થી શ્રાદ્ધ, મહાભરણી
 
પિતૃ પક્ષનો પાંચમો દિવસ: 3 ઓક્ટોબર, પંચમી શ્રાદ્ધ
પિતૃ પક્ષનો છઠ્ઠો દિવસ: 4 ઓક્ટોબર, ષષ્ઠી શ્રાદ્ધ
પિતૃ પક્ષનો સાતમો દિવસઃ 5 ઓક્ટોબર, સપ્તમી શ્રાદ્ધ
પિતૃ પક્ષનો આઠમો દિવસઃ 6 ઓક્ટોબર, અષ્ટમી શ્રાદ્ધ
 
પિતૃ પક્ષનો નવમો દિવસઃ 7 ઓક્ટોબર, નવમી શ્રાદ્ધ
પિતૃ પક્ષનો દસમો દિવસઃ 8 ઓક્ટોબર, દશમી શ્રાદ્ધ
પિતૃ પક્ષનો અગિયારમો દિવસઃ 9 ઓક્ટોબર, એકાદશી શ્રાદ્ધ
પિતૃ પક્ષનો બારમો દિવસ: 10 ઓક્ટોબર, માઘ શ્રાદ્ધ
 
પિતૃ પક્ષનો તેરમો દિવસ: 11 ઓક્ટોબર, દ્વાદશી શ્રાદ્ધ
પિતૃ પક્ષનો ચૌદમો દિવસ: 12 ઓક્ટોબર, ત્રયોદશી શ્રાદ્ધ
પિતૃ પક્ષનો પંદરમો દિવસ: 13 ઓક્ટોબર, ચતુર્દશી શ્રાદ્ધ
સર્વ પિતૃ અમાવાસ્યા: 14 ઓક્ટોબર, શનિવાર
 
પિતૃ પક્ષમાં તિથિનુ મહત્વ 
જ્યારે પિતૃ પક્ષની શરૂઆત થાય છે તો તેના દરેક દિવસની એક તિથિ હોય છે. જેવી કે આ વર્ષે 30 સપ્ટેમ્બરના રોજ દ્વિતીયા શ્રાદ્ધ છે એટલે કે પિતૃ પક્ષમાં શ્રાદ્ધની દ્વિતિયા તિથિ છે. જે લોકોના પિતરોના નિધન કોઈપણ મહિનાની દ્વિતિયા તિથિના રોજ થયુ હોય તે લોકો પોતાના પિતરોનુ શ્રાદ્ધ કર્મ પિતૃ પક્ષની દ્વિતીયા શ્રાદ્ધમાં કરે છે. આ જ રીતે જેમના પૂર્વજનુ નિધન કોઈપણ મહિના અને પક્ષની નવમી તિથિના રોજ થયુ હશે તો તેમના પિતૃ પક્ષની નવમી શ્રાદ્ધના રોજ તેમના તર્પણ, પિંડદાન વગેરે કરશે. હવે તમે પિતૃ પક્ષમાં તિથિના મહત્વને સમજી ગયા હશો. 
 
મૃત્યુની તિથિ જો ખબર ન હોય તો શુ કરવુ ?
જો તમને તમારા પિતરોના નિધનની તિથિ ખબર ન હોય તો આવામાં તમે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે તેમને માટે શ્રાદ્ધ કરી શકો છો. આ દિવસ જ્ઞાત અને અજ્ઞાત બધા પિતરો માટે શ્રાદ્ધ કરવામાં આવે છે.