શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. ગાંધી જયંતિ વિશેષ
Written By
Last Updated : સોમવાર, 30 સપ્ટેમ્બર 2019 (17:20 IST)

સ્વચ્છતાનું આધારબિંદુ તન-મન-ધનની પવિત્રતા

સ્વચ્છતા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર દાદી જાનકીજીની પ્રશંસનીય કામગીરી

ભારતીય સંસ્કૃતિની સ્પષ્ટ વિચારધારા રહી છે કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં શુધ્ધતા છે; જ્યાં શુધ્ધતા છે ત્યાં પવિત્રતા છે; જ્યાં પવિત્રતા છે ત્યાં પ્રભુતા છે અને જ્યાં પ્રભુતા છે ત્યાં દિવ્યતા છે. આવી દ્રઢ માન્યતા ધરાવતા આપણા દેશની આજે જે પરિસ્થિતી છે તે જોતાં શરમથી માથું ઝુકી જાય છે. એક સમય હતો કે જયારે આપણો દેશ “સોને કી ચિડીયાં” કહેવાતો હતો, જયાં સંપૂર્ણ સ્વચ્છતા, શુધ્ધતા, પવિત્રતા તેમજ દિવ્યતા હતી. આને કારણે તે સમયનો સમાજ સંપૂર્ણ સ્વસ્થ તેમજ સમૃધ્ધ હતો. પરંતુ આજે આપણે આપણા દેશની પરિસ્થિતી આનાથી કાંઇક વિપરીત જોઇ રહયા છીએ.

       અસ્વચ્છતા, ગંદગી, દુર્ગધ આપણા દેશની એક મોટી સમસ્યા છે. આ માટે ગરીબી, વસ્તી વધારો, ઓછા સંસાધનો અમુક અંશે જવાબદાર હશે પરંતુ સૌથીમહત્વનું  પરિબળતો લોકોની ગંદી આદતો, સ્વચ્છતા માટેની જાગરૂકતાનો અભાવ તેમજ શિક્ષણનો અભાવ છે. આજે પણ આપણા દેશમાં ૪૦% થી પણ વધુ ઘરોમાં શૌચાલય નથી. ૫૦% થી વધુ લોકો ખુલ્લામાં શોચક્રિયા કરે છે. આમાં કેટલાક તો વળી એવા પણ છે કે ઘરમાં શૌચાલય હોવા છતાં ખુલ્લામાં જવાનું પસંદ કરે છે. કચરો ગમે ત્યાં ગમે તેમ ફેંકવો; ગમે ત્યાં થુંકવું; પાન મસાલાના કે માવાના પાઉચ કે કાગળો ગમે ત્યાં ફેંકવા; કેળા ખાઇ તેની છાલ રોડ પર ગમે ત્યાં ફેંકવી;ખુલ્લામાં કોઇ જાતની શરમ રાખ્યા વગર પેશાબ કરવો વગેરે આપણાં દેશની રોજબરોજની સામાન્ય બાબત છે. આવી પરિસ્થિતીમાં આપણે આપણા દેશને કેવી રીતે સ્વચ્છ રાખી શકીએ ?

કચરો તેમજ કીચન વેસ્ટ પણ પ્લાસ્ટિક બેગમાં પેક કરીને રાખે છે અને કચરો લેવા વાહન આવે ત્યારે તેને આપી દેવામાં આવે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં આપણી સરકારો પણ સ્વચ્છતા માટે જાગૃત થઇ છે. છેલ્લા દશ વર્ષ જે યુપીએ સરકારે રાજય કર્યુ તે દરમ્યાન તેને પણ નિર્મલ ભારત અભિયાન શરૂ કરેલું તેની થોડીઘણી અસર પણ જણાયેલી. પરંતુ લોકજાગૃતિ તેમજ લોકભાગીદારીના અભાવના કારણે ઇચ્છીત પરિણામો મેળવી શકાયા નહિ.વર્તમાન એનડીએ ની સરકાર થોડી વધુ દ્રઢતાથી, વધુ સ્પષ્ટ વિઝન સાથે, સચોટ એકશન પ્લાન સાથે આગળ આવી છે અને નવેસરથી તેણે “સ્વચ્છ ભારત અભિયાન” યોજના લોન્ચ કરી છે. આ યોજનામાં લોકોને જોડવા તેમજ ભાગીદાર બનાવવા સરકાર પૂરા પ્રયાસ કરી રહી છે. લોકોને શિક્ષિત કરી, જાગૃત કરવાના પ્રયાસ પણ થઇ રહયા છે. પ્રધાનમંત્રીનું લક્ષ પણ છે કે સન ૨૦૧૯ માં ગાંધીજીના ૧૫૦માં જન્મદિવસ સુધીમાં દેશને સ્વચ્છ ભારતની ભેટ ધરવી. લોકો તેને બિરદાવી પણ રહ્યા છે. પરંતુ દેશની આમ જનતા આ વાતને સ્વીકારે અને સહયોગ કરે તોજ તે સફળ બની શકે. જો આગામી વર્ષોમાં આપણા સૌના નિષ્ઠાપૂર્વકના સામુહિક પ્રયાસથી આ લક્ષ સિધ્ધ થાય તો રાષ્ટ્રપિતા ગાંધીજીને સાચ્ચી શ્રધ્ધાંજલિ  આપી ગણાશે. ગાંધીજીને ફરીથી જીવતા કરવાની આ સુંદર તક દેશવાસીઓને સાંપડી છે. જેને દિલથી ઉપાડી લેવી જોઇએ અને જનઆંદોલનના સ્વરૂપે તેમાં સહુ કોઇએ જોડાઇ જવું જોઇએ. ગાંધીજીને જયારે સવાલ પુછવામાં આવ્યો કે સ્વચ્છતા કે સ્વતંત્રતા આ બે માંથી તમારી પ્રથમ પસંદગી કે પ્રાથમિકતા કઇ છે? આપ સૌ ગાંધીજીએ આપેલા ઉત્તરને જાણો છો. તેમની પ્રાથમીકતા હંમેશા સ્વચ્છતા રહી છે.તેઓ દ્રઢપણે માનતા હતા કે સ્વચ્છતા હશે તો જ મળેલી સ્વતંત્રતાને માણી શકાશે.

દેશની ઘણી બધી બિનસરકારી સેવાભાવી સંસ્થાઓ દ્વારા, મીડીયા દ્વારા, સમાજની વિશેષ વ્યકિતો દ્વારા પણ આ અભિયાન અંતર્ગત નિષ્ઠાપૂર્વકના પ્રયાસ થઇ રહયા છે. લોકોમાં પણ થોડીઘણી સભાનતા કેળવાઇ રહી છે. પરંતુ હજુ પણ વધુ પ્રયાસની જરૂરત છે. આવી સંસ્થાઓમાંની એક સંસ્થા ‘બ્રહમાકુમારી વિશ્વવિદ્યાલય’ જે એક બિનસરકારી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, તે પણ એક સ્વચ્છ, નૂતન, સ્વર્ણિમ દુનિયાની સ્થાપનાના લક્ષ સાથે આ અભિયાનમાં તેની વિવિધ પાંખો દ્વારા મહત્વનો સહયોગ આપી રહી છે. સંસ્થા સમાજના નાનામાં નાના વ્યકિતનો સંપર્ક કરી તેને સ્વચ્છતા અંગે નીચે પ્રમાણે નિશ્વય કરવા પ્રતિબધ્ધ કરી રહી છે.

હું હ્દયપૂર્વક દ્રઢ નિશ્વય કરું છું કે .....
ü  “સ્વચ્છ ભારત અભિયાન” માં હું દિલથી સહભાગી બનીશ.
ü  મારું ઘર, આંગણું, શેરી અને ગામને સ્વચ્છ અને સુઘડ રાખીશ.
ü  હું પોતે ગંદકી કરીશ નહીં કે અન્યને પણ ગંદકી કરવા દઇશ નહીં.
ü  જયાં પણ કચરો કે ગંદકી નજરે પડશે, તેને દૂર કરવા પ્રયત્ન કરીશ.
ü  મારી સાથે મારા પરિવાર, મિત્રો તથા અન્ય સભ્યોને આ અભિયાનમાં જોડાવાની પ્રેરણા આપીશ.
ü  વર્ષના ૧૦૦ કલાક એટલે સપ્તાહના ઓછામાં ઓછા ૨ કલાક સ્વચ્છતા માટે અચુક ફાળવીશ.
ü  ‘જયાં સ્વચ્છતા છે, ત્યાં ઇશ્વરનો વાસ છે’, એ યાદ રાખીને સાચા દિલથી સ્વચ્છ ભારત અભિયાનમાં સ્વયં સક્રિય રહેવાની અને અન્યને પણ પ્રેરિત કરવાની ખાત્રી આપું છું.
ü  સ્વચ્છતા માટે શરૂ કરાયેલ સામાજિક કે સરકારી કોઇપણ કાર્યક્રમોમાં સહયોગી બની તેને સફળ બનાવવાનો પ્રયત્ન કરીશ.
ü  સ્વચ્છતાને મારી જીવનશૈલીનો એક ભાગ બનાવી મારા દેશને પુન: ‘સ્વર્ણિમ ભારત’ બનાવવા પ્રયત્નશીલ રહીશ. તેના માટે વિચારો તથા કર્મોની શુધ્ધતા પર પણ ધ્યાન આપીશ.

આ સાથે સંસ્થા સ્પષ્ટ પણે માને છે કે વિશ્વની આજની પરિસ્થિતીમાં જેટલી બાહ્ય સ્વચ્છતાની જરૂરત છે તેટલી જ કે તેથી વધુ વ્યકિતની આંતરીક સ્વચ્છતાને સુધારવાની જરૂરત છે. મહદઅંશે આજે વ્યકિત વધુ ને વધુ કામી, ક્રોધી, અહંકારી, લોભી, સ્વાર્થી, અસહીષ્ણુ, હિંસક, ઇર્ષાળુ થતો જાય છે. સમાજમાં પ્રેમ,પ્રામાણીકતા, નિષ્ઠા, સત્યતા, દયા, કરૂણા જેવા માનવીય મુલ્યો ઘટતા જઇ રહ્યા છે. આવા સમયે વ્યકિતમાં આંતરીક પરિવર્તન દ્વારા આંતરિક સ્વચ્છતાને પ્રસ્થાપિત કરવી અત્યંક આવશ્યક છે. સંસ્થા આ દિશામાં પણ ખુબજ પ્રયત્નશિલ છે. આધ્યાત્મિક જ્ઞાન અને ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન રાજયોગના શિક્ષણ દ્વારા બાહય તેમજ આંતરિક બન્ને પ્રકારની સ્વચ્છતા માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે કટીબધ્ધ છે. સંસ્થાના મુખ્ય સંચાલિકા બ્રહમાકુમારી જાનકીજીને ભારત સરકાર દ્વારા “સ્વચ્છતા અભિયાન” ના બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરવામાં આવ્યા છે. સંસ્થા દ્રઢ પણે માને છે કે “તન મન રહે સાફ તો પ્રભુ રહે સાથ”.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ભારત સરકારના સ્વચ્છતા અભિયાનના અંતર્ગત રાજસ્થાન સ્થિત આબુ રોડ રેલ્વે સ્ટેશન  સ્વચ્છ ને સુંદર બનાવવા બ્રહ્માકુમારીઝ દ્વારા દત્તક લેવામાં આવ્યુ છે જે પ્રત્યેક આધ્યાત્મિક અને સામાજીક સંસ્થા માટે પ્રેરણાદાયી પગલુ છે. સમગ્ર દેશમાં આબુ રોડ રેલ્વે સ્ટેશને સ્વચ્છતા ૪૦૦ ક્રમે થી ૩૬ મા ક્રમે પગરવ માંડ્યા છે