શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 જાન્યુઆરી 2020 (13:11 IST)

ઉત્તર ગુજરાતમાં આ સમાજે લગ્ન પ્રસંગે ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂક્યો- ઓઢામણા- વાસણ પ્રથા સદંતર બંધ

પાલનપુર ચોવીસી ઠાકોર સમાજના ગોળમાં ખોટા સામાજીક ખર્ચાઓ બંધ કરવા માટે નવી વરાયેલી બોડીએ કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે. જેમાં લગ્ન પ્રસંગે ડી. જે. વગાડવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત મરણ પ્રસંગે કફનપ્રથા બંધ કરી મૈયતમાં આવેલા ડાઘુઓ પાસેથી સ્વૈચ્છાએ રૂપિયા દસનું દાન લેવું, બેસણું બંધ કરવું સહિતના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેનો અમલ ગુરૂવારથી શરૂ કરાયો હોવાનું સમાજના પ્રમુખે જણાવ્યું હતુ.   ચોવીસ ગામના આગેવાનોની બેઠક બોલાવી સર્વાનુંમતે નિર્ણય લઇ કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે.  જેમાં લગ્ન પ્રસંગે ડી. જે. વગાડવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. નિયમનો ભંગ થશે વર- કન્યા પક્ષે રૂપિયા 11000- 11000 નો દંડ ભરવો પડશે. લગ્ન પછી દંડની રકમ અપાશે તો રૂપિયા 15000 થશે. લગ્ન પ્રસંગે ઓઢામણા- વાસણ પ્રથા સદંતર બંધ કરવાની રહેશે. રોકડ વ્યવવહાર કરવાનો રહેશે. મોતના પ્રસંગમાં કફનપ્રથા સદંતર બંધ કરવામાં આવી છે.   બેસણા પ્રથા સદંતર બંધ કરી બેસણાના નામે સવામણ જુવાર ચબુતરામાં નાંખવી. તેમજ લોકાચારામાં માત્ર કઢી- ખીચડી જ કરવાની રહેશે. આ સઘળા નિયમોનો અમલ ગુરૂવારથી શરૂ કરાયો છે. કન્યા રિસાઇને બેઠી હોય તો સમાજને પુછ્યા વગર કોઇ સરકારી કાર્યવાહી થઇ શકશે નહી. થશે તો તે સમાજના ગુનેગાર બનશે. કન્યા અથવા વરને છુટાછેડા આપવાના હશે તો સમાજને રૂપિયા 61,000 આપવાના રહેશે. જેમાં સગાઇ પ્રસંગે બંને પક્ષોએ અડધો- અડધો ગોળ વહેચવાનો રહેશે. અને મુરતીયાને સવા રૂપિયો અને બે ઓઢામણા આપવાના રહેશે.  લગ્ન લઇને માત્ર 11 વ્યકિતઓ જ જશે. તેમજ જાનમાં પણ મર્યાદા મુજબ માણસોને જ લઇને જવાનું રહેશે. સગાઇ તોડવાવાળા પક્ષ પાસેથી રૂપિયા 5100નો દંડ લેવામાં આવશે. કન્યા છુટી કરતી વખતે ચોવીસી ગોળમાં પહેરામણી પાછી લેવી નહી પણ બીજા જલામાં પહેરામણી પાછી આપવી અને લેવાની રહેશે. દારૂ પીને કોઇ વ્યકિત પરિવારના સભ્યોને હેરાન કરશે અથવા કોઇ સારા- નરસા પ્રસંગે દારૂ પી ધમાલ કરશે તો રૂપિયા 5000નો દંડ અને પાંચ મણ જુવાર ચબુતરામાં નાંખવાની રહેશે.