શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. સુરત ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 જાન્યુઆરી 2020 (18:31 IST)

સુરત: રૂપિયાની લેતીદેતીમાં વસીમ બિલ્લાને મોડી રાત્રે મોતને ઘાટ ઉતારી દેવાયો

સુરતના માથાભારે અને ત્રણ મહિનાથી તડીપાર થયેલા વસીમ બિલ્લાને બુધવારે મોડી રાતે નવસારીના છાપરા રોડ સ્થિત મણીનગર ૧ના ગેટ નજીક ચાર અજાણ્યા હુમલાખોરોએ ઉપરાછાપરી ત્રણથી ચાર ગોળીઓ ધરબીને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર રેંજની પોલીસ દોડતી થઇ હતી. ઘટનાની જાણ થતા નવસારી જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વસીમ બિલ્લાને શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
 
સુરતના ઝાંપા બજારમાં રહેતા અને કુખ્યાત વસીમ મિર્ઝા ઉર્ફે વસીમ બીલ્લાને ગુજરાત હાઈકોર્ટે સુરત શહેરમાંથી તડીપાર કર્યો હતો. જેથી વસીમ બિલ્લા નવસારીના રંગુનનગર ખાતે એપાર્ટમેન્ટમાં પિતા સાથે રહેતો હતો. વસીમ ખંડણી, મારપીટ તેમજ દારૂના ધંધા સાથે સંકળાયેલો હતો, સાથે જ સુરતના એક શખ્સ સાથે ૫ કરોડ રૂપિયાની લેતીદેતી મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો. 
 
વસીમ સુરતના કુખ્યાત નાસિર સુરતી અને તેના ભાઈની ગેંગમાં સામેલ થઈને ભાઈગીરી અને ખંડણી ઉઘરાવવાનું કામ કરતો હતો. વસીમ નવસારીના છાપરા રોડ પર આવેલા બોસ જીમમાં આવતો હતો, જેથી તેની વિરોધી ગેંગ અથવા રૂપિયાની લેતીદેતી પ્રકરણમાં તેની ફિલ્ડીંગ ગોઠવવામાં આવી હતી. 
 
બુધવારે રાતે ૧૦:૩૦ વાગ્યાના સુમારે વસીમ જીમમાંથી નીચે ઉતરી તેની કારમાં બેસવા જતો હતો, ત્યારે અચાનક ત્રણથી ચાર બરમુડા પેહરેલા અજાણ્યા હુમલાવરોએ તેના ઉપર ત્રણથી ચાર રાઉન્ડ ગોળીબાર કરતા વસીમ બિલ્લો ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો.
 
નાયબ પોલીસ વડા એસ. જી. રાણાએ જણાવ્યું હતું કે જયારે હુમલા બાદ હુમલાખોરો ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતા જ નવસારી જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વસીમ બિલ્લાને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ડોકટરે તેને તપાસ્યા બાદ મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ ઘટના સ્થળે પોલીસે કારને કોર્ડન કરી એફએસએલની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સાથે જ સમગ્ર રેંજમાં નાકાબંધી, હોટલો અને ધાબામાં કોન્બીંગ તેમજ ગેંગવોર છે કે કેમ એ દિશામાં તપાસ શરૂ કરી છે.