1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. રથયાત્રા
Written By
Last Modified: શનિવાર, 20 મે 2023 (14:47 IST)

અમદાવાદની રથયાત્રામાં ઉપયોગમાં લેવાશે થ્રીડી મેપિંગ ટેકનોલોજી, એક જ ક્લિકથી તમામ માહિતી મળશે

rath yatra
રથયાત્રા દરમિયાન ભજન મંડળીઓ શણગારેલા ટ્રક, અખાડાઓ ક્યાં પહોંચ્યા તે એક ક્લીકથી ખબર પડશે
પોલીસ કંટ્રોલ રૂમમાથી સોફ્ટવેર મારફતે પોલીસ ક્યા ખૂણે શું કામ કરી રહી છે તે જાણી શકાશે
 
અમદાવાદઃ ભગવાન જગન્નાથની રથયાત્રામાં પ્રથમ વખત આ વર્ષે થ્રીડી મેપિંગ અને વર્ચ્યુઅલ રિયાલિટી પ્રોજેક્ટનો ઉપયોગ કરીને પોલીસ પળેપળની માહિતી કંટ્રોલરૂમમાં બેઠા બેઠા એક ક્લિકથી મેળવશે.આગામી 20 જૂને અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળનાર છે. રથયાત્રા દરમિયાન રથ ક્યાં પહોંચ્યો? કઈ જગ્યાએ શું મુશ્કેલી સર્જાઇ એ તમામ વિગતો જાણવા માટે આ વખતે પોલીસને કોઈ તકલીફોનો સામનો નહીં કરવો પડે. 
 
પોલીસ ક્યા ખૂણે શું કામ કરી રહી છે તે જાણી શકાશે
રથયાત્રા દરમિયાન પોલીસ સાથે એક ટેકનોલોજી કામ કરતી હશે. જેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વર્ચ્યુઅલ રિયાલિટી તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદની અનંત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માથા પર લાઈવ સ્ટ્રિમિંગ કેમેરા સાથે રથયાત્રા રોડ પર હશે અને તેઓ ફીડ કેપ્ચર કરશે. આ તમામ ફીડ લાઈવ ટેલિકાસ્ટ પોલીસ કંટ્રોલ રૂમમાં થશે અને કોઈ પણ છેડેથી સોફ્ટવેર મારફતે પોલીસ ક્યા ખૂણે શું કામ કરી રહી છે તે જાણી શકાશે.
 
રથયાત્રાના ખૂણે ખૂણાનું થ્રીડી મેપિંગ થયું
રથયાત્રા દરમિયાન ભજન મંડળીઓ શણગારેલા ટ્રક, અખાડાઓની સુરક્ષા અને ટ્રાફિક નિયમનની સૌથી મહત્વની જવાબદારી હોય છે. દર વખતે અનુભવના આધારે પોલીસ પોતાની કામગીરીમાં કંઈકને કંઈક ઉમેરો કરતી હોય છે. આ વખતે પોલીસના અનુભવની સાથે ટેકનોલોજી પણ તેમની મદદ કરશે. 30 દિવસના ડ્રોન શુટિંગની સાથે અનંત યુનિવર્સિટી અને અમદાવાદ સાયબર ક્રાઈમે ખાસ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટથી રથયાત્રાના ખૂણે ખૂણાનું થ્રીડી મેપિંગ થયું છે. 
 
પોલીસની કામગીરીમાં ખૂબ જ મદદ મળશે
આ અંગે અમદાવાદ સાયબર ક્રાઈમના ડીસીપી અજીત રાજીયાણે મીડિયાને જણાવ્યું હતું કે, વર્ચ્યુઅલ રિયાલિટીના કારણે પોલીસની કામગીરીમાં ખૂબ જ મદદ મળશે. એટલું જ નહીં થ્રીડી મેપિંગના કારણે ખરેખર જ્યાં જરૂર પડશે ત્યાં જ પોલીસ હશે. પ્રથમ વખત થ્રીડી મેપિંગ કરાયું છે અને તેનું વર્ચ્યુઅલ થવાના કારણે રથયાત્રાના પળે પળની માહિતી અમને મળશે.