શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 7 નવેમ્બર 2017 (11:37 IST)

જિજ્ઞેશ મેવાણીને વગર માંગ્યે પોલીસ રક્ષણ મળ્યું

દલિત નેતા જિગ્નેશ મેવાણીને રાજ્ય સરકાર દ્વારા પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. પણ, મેવાણીએ તે જરૂરી ન હોવાનું જણાવતા તે ભાજપની ‘ચાલ’ હોવાનું શંકા વ્યક્ત કરી છે. મેવાણીએ આશંકા વ્યક્ત કરી કે તે ભગવા પાર્ટી સામે ખુલીને બોલે છે એટલે ભાજપ તેની સામે કોઈ ષડયંત્ર રચી શકે છે. તેણે કહ્યું કે, તેના ઘરમાં કે વાહનમાં કંઈક એવું કરવામાં આવી શકે છે કે જેથી તે ફસાઈ જાય. મેવાણીએ  જણાવ્યું કે, ‘ મેં કોઈ સુરક્ષાની માગ નહોંતી કરી કે મને કોઈ ધમકી નથી મળી છતાં શનિવારની રાત્રે હથિયારધારી બે પોલીસકર્મી મારા ઘરે મોકલવામાં આવ્યા. પોલીસને કદાચ હું ખતરારૂપ જણાયો હોઈશ એટલે આ સિક્યોરિટી તૈનાત કરાઈ હોઈ શકે છે. મને શંકા છે કે, સત્તાધારી ભાજપ મારા ઘરમાં કે મારા વાહનમાં કંઈક કરવાનો પ્લાન બનાવી રહ્યો છે, કેમકે હું સતત ભાજપ સરકાર સામે અવાજ ઉઠાવતો રહું છું. જિગ્નેશ મેવાણી ઉનામાં દલિતોને માર મારવાની ઘટના બાદ જમીન વિહોણા દલિતો માટે અવાજ ઉઠાવીને ચર્ચામાં આવ્યો હતો. પાટીદાર અનામત આંદોલન ચલાવતા હાર્દિક પટેલ અને ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરની સાથે-સાથે જિગ્નેશ પણ હાલમાં ગુજરાતના રાજકારણમાં મહત્વનું ફેક્ટર માનવામાં આવી રહ્યો છે. અલ્પેશે તો કોંગ્રેસમાં જોડાઈ ગયો છે, જ્યારે હાર્દિકે પોતાના પત્તા ખોલ્યાં નથી. જોકે, તે ભાજપની વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે.જ્યારે, જિગ્નેશે તાજેતરમાં કોંગ્રેસના વાઈસ પ્રેસિડન્ટ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને પોતાની 17 માગ મૂકી હતી. જેમાં જમીન વિહોણા દલિતોને જમીન આપવાથી લઈને ઉના કાંડના આરોપીઓને સજા સહિતના મુદ્દા સામેલ હતા. મિટિંગ બાદ મેવાણીએ દાવો કર્યો હતો કે, રાહુલ ગાંધીએ 90 ટકા માગ સ્વીકારી લીધી છે. ઉલ્લેખનીય છે કે, મેવાણી સતત દલિતો પરના અત્યાચાર અને કથિત હિંદુત્વ વિચારધારા પર રાજ્ય સરકાર સામે સતત બોલતો રહ્યો છે.