ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત ન્યુઝ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 22 ડિસેમ્બર 2016 (15:01 IST)

સેનાની ત્રણેય વિભાગો માટેના શસ્ત્રોનું ઉત્પાદન ગુજરાતમાં થશે

ગુજરાતમાં પણ હવે ખાનગી કંપનીઓ સેનાની ત્રણેય પાંખ માટેના શસ્ત્ર સરંજામનું ઉત્પાદન કરી શકે તે માટેની એરોસ્પેસ એન્ડ ડિફેન્સ પોલીસીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં રીવોલ્વરથી માંડીને તોપ અને હેલિકોપ્ટરોનું ઉત્પાદન કરી શકાશે. ગુજરાતમાં શસ્ત્રોનાં ઉત્પાદન કરવા માંગતી કંપનીઓ માટે લાલ જાજમ બીછાવાઈ છે. જે મુજબ વિશાળ અને લઘુ એવા તમામ એકમોને વ્યાજ સબસીડી અને કર રાહતો અપાશે. તેમજ જમીન ખરીદીમાં સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ટ્રેશન ચાર્જીસમાં ૧૦૦ ટકા વળતર અપાશે. જો સરકારી જમીન ઉપલબ્ધ હશે તો ૫૦ ટકા જંત્રી દરથી ફાળવાશે. ગાંધીનગરમાં ચીફ સેક્રેટરી જે.એન. સિંહે આ પોલીસીની જાહેરાત કરતા વધુમાં કહ્યું હતું કે, ઉદ્યોગોને જમીન કાયમી અને મફતમાં અપાશે નહીં. સરકારી જમીન કે GIDC ની જમીનને પ્રથમ પસંદગી અપાશે. ઉપરાંત જીએમબી હસ્તકની ભરતીની જમીન ગુજરાત મેરીટાઈમ બોર્ડ કે સરકારની માલિકીના ધોરણે પ્રવર્તમાન નીતિ-નિયમોને આધિન ફાળવાશે. આવી જમીન અતિ મોટા કે મોટા ઉદ્યોગો દ્વારા સબ લીઝ આપી શકાશે.શસ્ત્ર સરંજામના ટ્રાયલ એન્ડ ટેસ્ટીંગ માટેની રેન્જના વિકાસ માટે PPP મોડેલ અપનાવાશે ? દર વર્ષે શસ્ત્ર-સરંજામ પાછળ ૧૬ લાખ ૨૫ હજાર કરોડ જેટલો ખર્ચ થાય છે. તેમાંથી ગુજરાતને ૧૦થી ૧૫ ટકાનો બિઝનેસ મળવાની અપેક્ષા છે.જરૃર પડયે જમીન સંપાદનમાં પણ ઉદ્યોગોને મદદ કરાશે. નાના શસ્ત્રો-હેલિકોપ્ટરોનું ઉત્પાદન કરવા માટે લાર્સન એન્ડ ટુબ્રો, ભારત ફોર્જ, અનિલ અંબાણીની કંપની તથા મહેન્દ્ર કંપનીએ રસ દાખવ્યો છે. કચ્છ-બનાસકાંઠામાં સરહદી જિલ્લાઓની જમીનમાં શસ્ત્રોના ઉત્પાદન માટે જમીન અપાશે. હાલમાં સરકારી કંપનીઓ શસ્ત્રોનાં ઉત્પાદનમાં પહોંચી વળતી નથી માટે વધુ શસ્ત્રોની જરૃર હોવાથી ખાનગી કંપનીઓ તેનું ઉત્પાદન કરે છે.પાત્રતા ધરાવતા ફિકસ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટનાં ૯૦ ટકાની મર્યાદા સુધી વેટ અને વેચાણ વેરામાં રાહત અપાશે. ઉત્પાદનની શરૃઆતથી લઈને તે પછીના ૧૦ વર્ષ સુધી આવી કર રાહતો મળી શકશે. સરકારે એક ડગલું આગળ વધીને GST પદ્ધતિને ધ્યાને લઈને પણ વેટની કર રાહતોને મુલવી છે.એરોસ્પેસ એન્ડ ડિફેન્સ ક્ષેત્રના સાહસોને ઈલેક્ટ્રીસીટી ડયુટીમાં પ્રથમ પાંચ વર્ષ માટે ૧૦૦ ટકા મુક્તિ અપાશે. સરકાર હસ્તકની વીજ વિતરણ કંપની પાસેથી ખરીદેલી વીજળી ઉપર પ્રતિ યુનિટ ૧ રૃપિયાની સબસીડી પ્રથમ પાંચ વર્ષ માટે અપાશે. કેપીટલ પાવર પ્લાન્ટ દ્વારા ખુલ્લા બજારમાંથી ખરીદેલી વીજળીને આવી રાહત અપાશે નહીં. ઉપરાંત દેશ કે વિદેશમાં કામદારોને તાલીમ આપવામાં આવે તો આવી તાલીમનો પ્રથમ પાંચ વર્ષ માટેનો ખર્ચ સરકાર ચૂકવશે.