શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 23 માર્ચ 2015 (12:33 IST)

ભારતીય આયુર્વેદિક ઔષધો વિદેશમાં ઘણા જ લોકપ્રિય

સમાજનું આરોગ્ય એ અર્થતંત્ર માટે મહત્ત્વની બાબત છે અને તે એક સંપત્તિ છે. જો નાગરિકો સ્વસ્થ હોય - તંદુરસ્ત હોય અને કાર્યક્ષમતા સાથે કાર્યરત હોય તો સંપત્તિ સર્જન થાય તેમજ સમાજમાં રોજગારી વધે - આવક વધે અને અર્થતંત્ર ધબકતું રહે.

પરંતુ તેની સામે બીમારી અને રોગચાળો હોય તો કામદારો અને કર્મચારીઓ રજા પર રહે - તેઓ પૂરતું કામ ન કરી શકે આથી અર્થતંત્રને નુકસાન થાય. તાજેતરમાં સ્વાઈન ફ્લૂ, ડૅન્ગ્યુ, શરદી, ઉધરસ, કફ જેવી બીમારીને કારણે કરોડો રૂપિયાની વિલાયતી દવાનું વેચાણ થયું. વાસ્તવમાં સ્વાઈન ફ્લૂ અને શરદી - કફ એ બે વચ્ચે શું તફાવત છે તે માત્ર તેઓ જ જાણે, પરંતુ એવો હાઉ ઊભો કરવામાં આવ્યો કે જાણે આકાશ તૂટી પડ્યું!!

ભારતમાં દવાઓના ભાવ સમગ્ર વિશ્ર્વથી ઓછામાં ઓછા છે. તમામ પ્રકારની દવાઓ ખૂબ જ વાજબી ભાવથી મળી રહે છે અને તેનો શ્રેય સ્વ. જયસુખલાલ હાથી દ્વારા જે ૧૯૭૦માં આધાર અને પ્રમાણ નક્કી કરવામાં આવ્યા હતા તે કમિટીને ફાળે જાય છે. પડતર ખર્ચ અને સંશોધન પાછળનો ખર્ચ એવી બાબતોને આધાર બનાવીને દવાની કિંમત નક્કી કરવામાં આવે છે.

તે સિવાયની પણ કેટલીક બાબતો છે. જેમાં ટેક્નિકલ મુદ્દા ઘણા છે. ભારતની આયુર્વેદિક દવાઓની વિદેશમાં ખૂબ જ માગ છે. ઔષધ નિર્માણમાં ગુજરાત એક મહત્ત્વનું રાજ્ય છે. આયુર્વેદિક ઔષધો કોઈ જ આડઅસર ધરાવતા નથી અને કુદરતી હોવાથી વિદેશમાં ઘણા જ લોકપ્રિય બન્યા છે.

દેશભરમાં અધિકૃત લાયસન્સ ધરાવનારા ૯ હજાર એકમો છે કે જેમના દ્વારા આયુર્વેદિક, યુનાની - હોમિયોપેથિક વગેરે ઔષધ બનાવવામાં આવે છે તેમાંથી ૮૬ ટકા એકમો માત્ર આયુર્વેદિક દવાઓ બનાવે છે. જ્યારે ૧૦ ટકા યુનાની અને બાકીના તે સિવાયના છે. તેમાં ઉત્તર પ્રદેશમાં ૨૪૧૧, મહારાષ્ટ્રમાં ૮૩૪, કેરળમાં ૮૧૯, આંધ્ર પ્રદેશમાં ૭૮૬, તમિલનાડુમાં ૭૨૩ - મધ્ય પ્રદેશમાં ૫૮૮ અને ગુજરાતમાં ૫૦૦ એકમ છે.

ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ, આંધ્ર પ્રદેશ, ગુજરાત, કેરળ અને તામિલનાડુ, મધ્યપ્રદેશ સમગ્ર દેશની ૭૨ ટકા આયુર્વેદિક દવાનું ઉત્પાદન કરે છે. આયુર્વેદ ઔષધની માગ દેશ કરતા વિદેશમાં વધુ છે. વળી આયુર્વેદિક દવાઓ માટેનો કાચો માલ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. અલબત કેટલીક ચીજવસ્તુનો પુરવઠો ઓછો છે. તેના પર ધ્યાન આપવાની ખાસ જરૂર છે.

આયુર્વેદિક દવાઓ ભલે સસ્તી રહી નથી, કારણ કે દરેક ચીજવસ્તુની જેમ તેમાં પણ ઉત્પાદન ખર્ચ વધી ગયો છે, પરંતુ તેની ગુણવત્તા આજે પણ સ્વીકાર્ય બને તેવી છે. તેની અસરકારકતા સારી છે. કોઈ જ આડઅસર વગર જ પરિણામ આપે છે. આથી હજુ વધુ આયુર્વેદિક બ્રાન્ડ વિકસાવવાની જરૂર છે. તેની બજાર ખૂબ જ મોટી છે.

દક્ષિણ ભારતના ‘અમૃતાંજન’ બામનું નામ આજે પણ ઘરઘરમાં લોકપ્રિય છે. આ બ્રાન્ડને ૧૦૦ વર્ષ પૂરાં થઈ ગયાં છે. કિંમત, ગુણવત્તા અને વિશ્ર્વસનીયતા આ ત્રણેયનો સમન્વય અમૃતાંજનમાં છે. આવા તો ઘણા ઉત્પાદનને આયુર્વેદમાં વિકસાવવાની જરૂર છે, પરંતુ સાહસિકો આ દિશામાં જતા નથી.

પેટના સામાન્ય દર્દ, બાળકોને શરદી ઉધરસમાં રાહત આપે તેવા સીરપ વગેરે માટે ખૂબ જ વિશાળ બજાર છે. બિનજરૂરી રીતે ગોકીરો કરીને રોગચાળાને બહેકાવવા જે કોશિશ થાય છે તેને અટકાવવા આયુર્વેદને મજબૂતાઈ આપવાની જરૂર છે. જો વિલાયતી દવાઓ અઢળક નફો કમાઈ શકતી હોય તો તેમના જ સિદ્ધાંત અને પ્રક્રિયાને આયુર્વેદમાં અનુસરીને સંખ્યાબંધ પ્રોડક્ટને બજારમાં આગળ કરવાની એક નક્કર ભૂમિકા તૈયાર કરવી રહી.

સંખ્યાબંધ યુવાન સાહસિકો માટે આયુર્વેદના ઉત્પાદનમાં ઝંપલાવવા માટેનો આ એક પડકાર છે. દવાઓ માટે સતત વિકસતું બજાર માત્ર ભારત જ નથી, પરંતુ વિશ્ર્વના ૧૮૨ રાષ્ટ્ર છે. તેમને ભારતની આયુર્વેદિક દવાઓ માટે વિશ્ર્વાસ છે. આવે વખતે તેવી બાબતે મળતી તકને ઝડપી લેવા પ્રયાસ કરવો જોઈએ.

આયુર્વેદમાં સંશોધન થતું નથી - તેની દવાઓ બ્રાન્ડ ધરાવતી નથી તેમ જ આયુર્વેદના ઔષધ પરિણામ આપવામાં ઘણો સમય લગાડે છે. આવી ઘણી નકારાત્મક દલીલ કરવામાં આવે છે, પરંતુ સૌથી મોટું જમાપાસું એ છે કે આયુર્વેદના ઔષધની શરીર પર કોઈ નકારાત્મક અસર સાધારણ સંજોગોમાં થતી નથી અને તેનું પરિણામ ખૂબ જ વિધેયાત્મક હોય છે.

આયુર્વેદિક દવાઓનું માર્કેટિંગ કરવા યુવાન વર્ગની ટીમ તૈયાર કરવામાં આવે તો સારા પરિણામ મળશે. ઘરે -ઘરે જઈને સાધારણ બીમારી હોય તેમને ઘરે બેઠા જો દવાઓનો પુરવઠો પૂરો પાડવામાં આવે તો આયુર્વેદના ઉત્પાદનના વેચાણની બજાર એટલી મોટી છે કે કલ્પના કરી શકાય તેમ નથી. આ બાબતે બજારના પરિબળ - તબીબી વ્યવસાય પાસેથી મળતી માહિતી અને આંકડાને આધારે આગળ વધવાની જરૂર છે.

આયુર્વેદને કારણે દેશનો પૈસો માત્ર દેશમાં જ રહેશે. અર્થતંત્રને પણ તેનાથી ફાયદો થવાનો છે. દર વર્ષે ફ્લૂને કારણે ૫૦ કરોડ દર્દી - ટાઈફોઈડ - કોલેરા જેવા પાણીજન્ય રોગથી ૨૫ કરોેડ લોકો અને ૧૦ કરોડ બાળકો કફ-ખાંસીના ભોગ બને છે. આ તમામને માટે આયુર્વેદ ઔષધની બજાર કેટલી છે તે સ્વયં નક્કી કરવાની જરૂર છે.