શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગાંધીનગર , ગુરુવાર, 11 જુલાઈ 2019 (11:06 IST)

ગુજરાતનો વિકાસ કાગળ પર નહીં ધરતી પરનો છે: સૌરભ પટેલ

રાજ્ય વિધાનસભામાં અંદાજપત્ર ઉપરની સામાન્ય ચર્ચાના ત્રીજા દિવસે રાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી ના માર્ગદર્શન હેઠળ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી નીતિન પટેલે રાજ્ય વિધાનસભામાં જે અંદાજપત્ર રજૂ કર્યું છે તે સર્વાંગી વિકાસને સાકાર કરનારું શ્રેષ્ઠ બજેટ છે.
 
ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે આ વખતે સૌ પ્રથમ વખત ગુજરાતે બજેટ સાઇઝમાં બે લાખ કરોડના આંકડાને પાર કર્યો છે તે જ દર્શાવે છે કે ગુજરાતની વિકાસ ગતિ પૂરપાટ ઝડપે ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતે આ વર્ષે બજેટ કદમાં ૧૧ ટકાનો કૂદકો લગાવીને ગત વર્ષ કરતાં બજેટ સાઇઝમાં વધારો કર્યો છે જેના કારણે ગુજરાતનું આ વર્ષનું બજેટ રૂપિયા બે લાખ ૪ હજાર કરોડ થઇ શક્યું છે. તેમણે જણાવ્યું હતું કે માત્ર રૂપિયા ૨૮૭ કરોડના વેરા છતાં આટલી મોટી સાઈઝનું બજેટ ગુજરાત નો વિકાસ દર્શાવે છે. 
 
રાજ્યના કુલ ઘરેલું ઉત્પાદન GSDPમાં થઇ રહેલો સતત વધારો રાજ્યની મજબૂત આર્થિક સ્થિતિનો માપદંડ છે તેમ જણાવતાં મંત્રીએ ઉમેર્યું હતું કે વર્ષ ૨૦૧૧-૧૨માં GSDP જે રૂ. ૬.૧૫ લાખ હતી તે વર્ષ ૨૦૧૮-૧૯માં રૂપિયા ૧૫ લાખ સુધી પહોંચ્યું છે આ આંકડાથી જ સ્વયં સ્પષ્ટ થઈ શકે છે કે ગુજરાતનો  દર વર્ષે ડબલ ડિજિટનો વૃદ્ધિદર હાંસલ કરી શકાયો છે.  તેમણે એમ પણ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સરેરાશ વૃદ્ધિદર કરતા પણ ગુજરાતનો વૃદ્ધિ દર વધારે છે તે દર્શાવે છે કે ગુજરાતનો વિકાસ દેશભરમાં અગ્રેસર છે. 
 
કોઈપણ રાજ્યનો વિકાસ પ્રાથમિક ક્ષેત્ર, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર-એમ ત્રણ ક્ષેત્ર ઉપર આધારિત છે. તેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, કૃષિક્ષેત્ર, પશુપાલન, ખાણ ખનીજ જેવા પ્રાથમિક ક્ષેત્રનો અંદાજે ૨૨ ટકા હિસ્સો, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો ૪૩ ટકા હિસ્સો અને સેવાક્ષેત્રમાં ૩૫ ટકા હિસ્સો બજેટમાં ફાળવાયો છે. જે ગુજરાતના સર્વાંગી વિકાસ માટેનો રાજ્ય સરકારનો પુરુષાર્થ દર્શાવે છે તેમણે રાજ્ય સરકારના આ અભિગમને વિઝનરી એપ્રોચ ગણાવ્યો હતો.  તેમણે એમ પણ જણાવ્યું હતું કે કરવેરામાં માતબર વધારો કર્યા વિના રાજ્યની મહેસૂલી આવક સતત વધી રહી છે જે આર્થિક આર્થિક વિકાસ સૂચવે છે દારૂબંધીને કારણે વેરાની આવક ઘટતી હોવા છતાં આ મજબૂત સ્થિતિ હાંસલ કરી શકાઈ છે.  ગત વર્ષે રૂપિયા ૪૦,૩૪૬ કરોડના ખર્ચ સામે રૂ.૪૮,૯૫૬  કરોડની મહેસૂલી આવક થઈ હતી મહેસુલી ખર્ચના પગાર પેન્શનના ચૂકવવા  પડતા નાણાંનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
 
આજે રૂપિયા ૨ લાખ ૪ હજાર કરોડના બજેટમાં રાજ્ય સરકાર દ્વારા ૫૦ ટકાથી વધુ રકમ સેવા ક્ષેત્રના વિકાસ માટે ફાળવી છે એટલે કે, વિકાસલક્ષી ખર્ચ માટે રૂ.૧,૨૭,૫૬૦ કરોડની જોગવાઈ કરી છે.  જેમાં મુખ્યત્વે શિક્ષણના સર્વગ્રાહી વિકાસ પાછળ રૂપિયા ૩૦,૦૪૫ કરોડ, આરોગ્ય માટે રૂપિયા ૧૦,૮૦૦ કરોડ,  કૃષિ માટે રૂ ૭,૧૧૧ કરોડ, ઉર્જા માટે ૧૩,૦૯૪ કરોડ, સામાજિક ન્યાય માટે રૂ ૪,૧૧૨ કરોડનો ખર્ચ કરવામાં આવશે. જ્યારે બિનવિકાસલક્ષી ખર્ચ પાછળ રૂપિયા ૭૪ હજાર કરોડ  વાપરવામાં આવશે. રાજ્ય સરકારે કેન્દ્રના જાહેર દેવાના માપદંડથી પણ ઓછું દેવુ કર્યું છે. ગુજરાતનું છેલ્લા વર્ષોનું રેવન્યુ સરપ્લસ બજેટ રહ્યું છે. 
 
તેમણે કહ્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે રાજકોષીય ખાધની રકમ રાજ્યના કુલ ઘરગથ્થું ઉત્પાદનના ૧.૮૪ ટકા  અંદાજવામાં આવી છે, જે રાજકોષીય જવાબદારી અને અંદાજપત્રીય વ્યવસ્થાપન ધારા અન્વયે  નિયત ૩ ટકાની ગ્રાહ્ય મર્યાદાની અંદર છે. ૨૭.૧૦ ટકાની મર્યાદાના લક્ષાંકની સામે રાજ્યનું કુલ જાહેર દેવું વર્ષ ૨૦૧૭-૧૮માં GSDPના ૧૬.૧૭ ટકા અંદાજેલ છે જ્યારે વર્ષ ૨૦૧૮-૧૯ના સુધારેલા અંદાજ મુજબ ૧૬.૦૩ ટકા અંદાજવામાં આવ્યું છે. 
 
જ્યારે વર્ષ ૨૦૧૯-૨૦ના અંદાજ મુજબ ૧૫.૬૯ ટકા અંદાજેલ છે. ૩ ટકાની મર્યાદાના લક્ષ્યાંક સામે રાજ્યની રાજવિત્તીય  ખાધ વર્ષ ૨૦૧૭-૧૮માં GSDPના ૧.૬૩ ટકા છે અને વર્ષ ૨૦૧૮-૧૯ના સુધારેલા અંદાજ મુજબ ૨૧૨ રહેશે. જ્યારે વર્ષ ૨૦૧૯-૨૦ના અંદાજ મુજબ ૧.૮૪ ટકા અંદાજેલ છે. ગુજરાતમાં જાહેર દેવા અંગેનું ખર્ચ વર્ષ ૨૦૦૪-૦૫માં ૧૦.૭૯ ટકા હતું, જે ઘટીને વર્ષ ૨૦૧૭-૧૮માં ૮.૬૦ ટકા થયું હતું અને વર્ષ ૨૦૧૮-૧૯(સુધારેલ અંદાજ)માં તે ૮.૫૩ ટકા થવાની અપેક્ષા છે તેમ મંત્રીએ વિગતો આપતાં ઉમેર્યું હતું.
 
આપણા ગુજરાતીઓની ખરીદશક્તિમાં વધારો થવાના પરિણામે રાજ્યની આવકમાં વધારો થતાં દેવું ભરવાની શક્તિમાં વધારો થયો છે.  ગુજરાતે તમામ વખત સમયસર હપ્તા ભર્યા છે, એક પણ વાર રાજ્ય સરકારે લોન ભરપાઈ કરવા ઓવરડ્રાફ્ટ લીધો નથી એ રાજ્યની શ્રેષ્ઠ નાણાકીય વ્યવસ્થા દર્શાવે છે.  રાજ્ય સરકારને અગાઉ જે નાની બચતો ઉપરની લોન ઉપર વધુ વ્યાજ ભરવું પડતું હતું જેમાં હવે કેન્દ્ર સરકારે ઘટાડો કર્યો છે. 
 
રાજ્યમાં માત્ર સરકારી નોકરીઓમાં જ રોજગારી ઉપલબ્ધ થાય છે એવું નથી, પણ રાજ્ય સરકારે ‘મહિલા’ સખીમંડળોને પ્રોત્સાહન આપીને આજે અંદાજે ૨૫ લાખથી વધુ બહેનોને આર્થિક પગભર બનાવી છે. આજે બેંકો પણ સખીમંડળોને લોનો આપતી થઈ છે જે આપણા માટે ગૌરવની વાત છે.બેન્કોમાંથી લોન નથી મળતી તેના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે, કેન્દ્રની મુદ્રા યોજના હેઠળ રૂ.૩૮ હજાર કરોડની લોન આપવામાં આવી છે અને તેનો ૫૫.૧૭ લાખ લાભાર્થીઓએ લાભ મળ્યો છે.
 
ગુજરાતનું દેવું વધ્યું છે અને આવક ઓછી થઇ તેના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે, આવક વેરામાં વધારો થયો છે. ૨૦૧૭-૧૮માં ગુજરાતમાંથી ૪૬ હજાર કરોડ આવકવેરો હતો જે ૨૦૧૮-૧૯માં વધીને ૫૦ હજાર કરોડ થવા પામ્યો છે, તે જ બતાવે છે કે પ્રજાની આવક વધી છે. મંત્રીએ ગુજરાતનો વિકાસ કાગળ પર નહીં ધરતી પરનો છે તેની વિગતો આપતાં જણાવ્યું કે, ટેકસટાઇલ સેકટરનો ઝડપથી વિકાસ થઇ રહ્યો છે. હાલ ૪૦ લાખ સ્પીન્ડલ કાર્યરત છે. પહેલા કપાસ તામિલનાડુ જતો હતો તેની હવે સમગ્ર પ્રોસેસ ગુજરાતમાં જ થતી હોવાથી ટેકસટાઇલ ઉદ્યોગમાં રોજગારીની તકો વધી છે તે સ્પષ્ટ છે. 
 
મોરબીમાં ઉદ્યોગોને અપૂરતો ગેસ મળતો હોવાની વાત નો જવાબ આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, મોરબીમાં માર્ચ-૨૦૧૯માં ૨.૦૫ મિલિયન મે.ટન ગેસ અપાતો હતો તે આજે ૬.૦૨ મિલિયન મે.ટન ગેસ અપાય છે. એટલે કે ખૂબ જ ટૂંકાગાળામાં ૩૦૦ ટકા ગેસનો વધારો આપવામાં આવી રહ્યો છે, તે ગુજરાતની ઔદ્યોગિક વિકાસની નીતિનું પરિણામ છે. ગુજરાત ટેક્સટાઇલ, હીરા, પોર્ટ, રંગ-રસાયણ જેવા અનેક ક્ષેત્રોમાં દેશમાં અગ્રેસર છે. એટલું જ નહીં દેશના કુલ ઉત્પાદનના ૧૬.૮૨ ટકા ગુજરાતનો હિસ્સો છે. સામાન્ય બજેટની ચર્ચામાં વિધાનસભા ગૃહના ૨૩ ટકા જેટલા સભ્યોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.