શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 1 નવેમ્બર 2018 (18:14 IST)

દિવાળી ટાંણે જ ધાંધિયા, મિલરોએ સિંગતેલ એક ડબ્બે સવાસો રૂપિયા મોંઘુ કરી દીધું

સિંગતેલમાં આજે વધુ રૂ।.૧૦ના વધારા સાથે પખવાડિયામાં આશરે રૂ।.૧૫૦નો ભાવવધારો ઝીંકી દેવાતા લોકોમાં રોષની લાગણી જન્મી છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ની ભાજપ સરકારના પ્રધાનની હાજરીમાં મળેલી બેઠકમાં મગફળીનો કૃષિપાક ૪૮ ટકા થશે તેવા અંદાજો જાહેર કરાયા હતા અને હવે તેલના ભાવ પખવાડિયામાં જ રૂ।.૧૨૫થી ૧૫૦ જેટલા વધારી દેવાયા છે. તેલની ખરીદી ટાણે આરંભમાં જ ઉંચા ભાવથી લોકોમાં નારાજગી પ્રસરી છે.
મગફળીના ભાવ ગત વર્ષે ગગડી જતા તેનું વાવેતર નજીવા પ્રમાણમાં ઘટયું હતું અને આ પાક હાલ બજારમાં આવી રહ્યો છે. રાજકોટ યાર્ડમાં મગફળીની આવક સામે વેચાણ નહીં થતા આવક વારંવાર બંધ કરવી પડે છે. તો બીજી તરફ ખેડૂતોને કપાસની જેમ યાર્ડમાં મગફળી પ્રતિ મણ દીઠ રૂ।.૬૭૦થી ૯૭૦ અને જીણી મગફળી રૂ।.૮૬૦થી ૧૦૨૫ના ભાવ આજે નોંધાયા છે. આ પહેલા તેનાથી નીચા ભાવ રહ્યા છે, આમ મગફળીના ભાવ કપાસની સાપેક્ષે ઉંચા રહ્યા નથી.
છતાં મગફળીમાંથી બનતા સિંગતેલના ભાવમાં કૂદકેને ભુસકે વધારો ઝીંકી દેવાયો છે. વેપારી સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર પખવાડિયા પહેલા રૂ।.૧૫૫૦માં તેલનો ડબ્બો આપતા તે આજે રૂ।.૧૬૯૦ સુધી ભાવ પહોંચ્યો હતો. મહત્વની વાત એ છે કે ટેકાના ભાવે સરકારે લાખો ટન મગફળી ખરીદ્યા પછી તે મિલરોને તદ્દન નીચા ભાવે વેચી છે. આ વેચાણ હજુ હમણાં સુધી થતું રહ્યું છે. તો પછી આ મગફળીમાંથી નીકળતા તેલનો ભાવ ગરીબ-મધ્યમવર્ગનું તેલ નીકળી જાય એટલી ઝડપે કેમ વધી રહ્યો છે તે સવાલ છે. સરકાર આ મુદ્દે હજુ મૌન સેવી રહી છે, દિવાળી પૂર્વે તેલના ભાવમાં ઘટાડો થાય તેવી લોકમાંગ છે.