શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 21 ઑક્ટોબર 2014 (12:20 IST)

ઓનલાઇન શોપીંગ ખિસ્સા ખાલી કરી નાખશે, ૨૦૦ થી ૩૫૦ ટકા વેચાણ વૃદ્ધિ

ઓદ્યોગિક સંગઠન એસોસિયેટેડ ચેમ્બર ઓફ કોમર્સ (એસોચેમ)એ એવી આગાહી કરી છે કે, આગામી ચારેક વર્ષમાં ઓનલાઇન શોપીંગ એક લાખ કરોડ આંબી જશે અને માત્ર દિવાળીના તહેવાર દરમિયાન ઓનલાઇન શોપીંગમાં ૩૫૦ ટકા વેચાણ વૃદ્ધિની શક્યતા છે અને તેનું ટર્ન ઓવર ૧૦,૦૦૦ કરોડને સ્પર્શે એવી શક્યતા છે. વેપારી સંગઠનો ઇ-કોમર્સના ફટકાથી ફફડી ગયા છે અને સરકાર સમક્ષ તેની ફરિયાદો માંડી રહ્યાં છે. સામે પક્ષે સરકારે પણ આ ફરીયાદો અંગે યોગ્ય, અસરકારક અને ત્વરિતત પગલાં લેવાના આશ્ર્વાસનો આપ્યાં છે.

જોકે, ગમે તે પરિસ્થિતિમાં હવે ઓનલાઇન શોપીંગ કે ઇ-કોમર્સને અટકાવવું સંભવ ન હોવાનું જાણકારો માને છે. એસોચેમના તાજા અહેવાલમાં જણાવાયુ છે કે આ વર્ષે દિવાળી પર ઓનલાઇન શોપીંગના વેચાણમાં ૩૫૦ ટકાની તોતિંગ વૃધ્ધિ થશે.

ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ઓનલાઇન શોપીંગ ૨૦૦ ટકાનો વૃધ્ધિ નોંધાઇ હતી, એસોચેમના અહેવાલ મુજબ દિવાળીએ પર્વે ઓનલાઇન શોપીંગનો ૧૦,૦૦૦ કરોડે પહોંચશે.

એક અંદાજ અનુસાર હાલમાં દેશમાં ઓનલાઇન શોપીંગ બજાર ૧૨૦૦૦ કરોડનુ છે, અને જે ગતિએ તેનો વિકાસ આગળ વધી રહયો છે તે જોતાં આગામી ત્રણ-ચાર વર્ષમાં એક લાખ કરોડ સુધી પહોંચવાની શક્યતા છે. રિસર્ચર્સ માને છે કે અત્યારે આ સેગમેન્ટમાં જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે જોતાં આ વખતે દિવાળીમાં ઓનલાઇન શોપિંગનો વિક્રમ સર્જાય તેવી શક્યતા છે. અભ્યાસ અનુસાર દર પાંચમાંથી બે ઓર્ડર મોબાઇલ ફોન મારફત થઇ રહ્યા છે અને આગામી દિવસોમાં તેમાં વધારો થવાની સંભાવના છે. દિવાળીમાં ઓનલાઈન શોપિંગનો આંકડો દસ હજાર કરોડ રૂપિયાથી આગળ વધી શકે છે. ઓનલાઈન માધ્યમે ગયા વર્ષની સરખામણીમાં આ વખતે ૩૫૦ ટકા વધુ ખરીદી થવાની શક્યતા છે. એસોચેમના ઉક્ત સર્વેક્ષણ અનુસાર તો રીટેલર આ દિવાળીને પહેલી ઓનલાઈન દિવાળી કહી રહ્યા છે. ભારતમાં ઓનલાઈન બજારને હાલના ૧૨,૦૦૦ કરોડના સ્તરથી તેનેે એક લાખ કરોડને પાર કરતા વધુમાં વધુ ત્રણથી ચાર વર્ષ લાગશે.

ઉપરોક્ત સર્વેક્ષણ મુજબ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ઓનલાઈન વેચાણમાં ૨૦૦ ટકાનો વધારો નોંધાયો છે. મોબાઇલના વધતા ઉપયોગ અને મોબાઇલ દ્વારા થતી ખરીદી પર ડિસ્કાઉન્ટ સહિતની વિવિધ સ્કીમો અને સવલતોને કારણે ઓનલાઇન શોપીંગનું વલણ વધી રહ્યું છે. કથિત સમયગાળા દરમિયાન અભ્યાસ અનુસાર મોબાઈલ ફોનનું વેચાણ ૧૦૦ ટકા વધ્યું છે. ગયા વર્ષે બંને મહિનામાં ઓનલાઈન વેચાણ ૧૨૦ ટકા વધ્યું હતું. આ સર્વેક્ષણ ૧૦ શહેરોમાં કરવામાં આવ્યું હતું.

ઓનલાઇન વેચાણના વધારા પાછળના કારણોની ચર્ચા કરતાં સાધનોએ જણાવ્યું હતું કે, સૌ પ્રથમ કારણ તો એ છે કે, બધી બ્રાન્ડેડ વસ્તુઓ સરખામણીએ ખૂબ જ ઓછા ભાવે ઓનલાઈન સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. આ ભાવ ક્યારેક એટલા ઓછા હોય છે કે વિશ્ર્વાસ ન આવે અને સામાન્ય દુકાનદારોને નુકસાન પહોંચાડનારી આ મુખ્ય બાબત છે. રિટેલરોએ રાજ્ય અને કનેદ્ર સરકાર સમક્ષ આ સંદર્ભે અનેક ફરીયાદો કરી છે. આ ઉપરાંત બીજી મહત્તવની બાબત એ છે કે જે તે વસ્તુની બેથી ત્રણ દિવસમાં તેની ડિલિવરી પણ મળી જાય છે. આને કારણે લોકોને વસ્તુ ખરીદવામાં સરળતા રહે છે. આ વર્ગના ગ્રાહકો સમક્ષ ઓનલાઇન ખરીદી માટે અનેક વિકલ્પો પણ ઉપલબ્ધ હોય છે. ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, અમેઝોન, મિન્ત્રા જેવી વેબસાઈટ્સ ઓનલાઈન શોપિંગમાં સૌથી લોકપ્રિય છે. મહાનગરો, ટાયર-૧ અને ટાયર-૨ શહેરોમાં બ્રોડબેન્ડ ઈન્ટરનેટ પહોંચવાથી શોપિંગ પેટર્ન બદલાઈ છે. આગામી સમયમાં આ પેટર્ન વધુ બદલાશે અને ઓનલાઇન શોપીંગ એક સામાન્ય બાબત બની જશે એવું માનવામાં આવે છે.

આ સંદર્ભના અભ્યાસ અનુસાર ૫ંચાવન ટકા પુરૂષો ઓનલાઈન ખરીદીને પસંદ કરે છે. મહિલાઓમાં બજારમાં જવાનો ક્રેઝ થોડો વધુ છે, છતાં સર્વેક્ષણ અનુસાર અંદાજે ૪૫ ટકા મહિલાઓ ઓનલાઈન શોપિંગ કરે છે.

એસોચેમ મહાસચિવ ડીએસ રાવતે કહ્યું કે સ્માર્ટફોન અને ટેબલેટના વધતા ઉપયોથી ઈ-કોમર્સ ઝડપથી મોબાઈલ કોમર્સમાં બદલાઈ રહ્યું છે. જોકે, રિટેલરોની વધતી ફરીયાદોને કારણે હવે કોમર્સ વેપાર ઉપર પણ હવે સરકારની બાજ નજર છે.

રિટેલરો ઉપરાંત ગ્રાહકોને પણ સવલત સાથે અને અડચણો થતી હોવાના કિસ્સા પ્રકાશમાં આવતાં સરકારે આ કંપનીઓ પર નજર રાખવાની હિલચાલ શરૂ કરી છે.

હાલ તો જોકે વધી રહેલી સ્પર્ધાને કારણે ઓનલાઇન રિટેલીંગ સેવામાં સુધારો થઇ રહ્યો છે, પરંતુ તાજેતરમાં જ ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા અનેક ડિસ્કાઉન્ટની ઓફર પછી લોકોએ ફરીયાદો કરી હતી. એક ઇ-કોમર્સ રિટેેલ વેપાર કરતી કંપની સામે અનેક ફરીયાદો થયા પછી અચાનક જ જાગેલી સરકારે કહ્યું હતું કે, હવે આ સેગમેન્ટની કંપની ઉપર નજર રાખવામાં આવશે અને ઇ-કોમર્સના ઇ રિટેલમાં વધારે સ્પષ્ટતાની જરૂર છે કે કેમ તેં અંગે સરકાર કોઇ નિર્ણય લેશે. તાજેતરમાં એક ઇ-કોમર્સ કરતી કંપનીએ વિવિધ ઉત્પાદનો ઉપર અનેક જાતના ડિસ્કાઉન્ટ ઓફર કર્યા હતા, જેના કારણે નાના અને મોટા વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું કારણ કે તેમને લાગતું હતું કે આવા અભિયાનના કારણે તેમના વેપાર ઉપર અસર પડી શકે છે.

વાણીજ્ય મંત્રી નિર્મલા સિતારામને કહ્યું હતું, કે અમને અનેક ફરીયાદો મળી હતી. અનેક લોકોએ ચિંતા વ્યકત કરી હતી. અમે આ બાબતે તપાસ કરીશું. સરકાર ઇ-કોમર્સ માટે કોઇ ખાસ પોલીસી અંગે વિચારે છે કે કેમ એવા સવાલના જવાબમાં એમણે કહ્યું હતું કે, સરકાર યોગ્ય સમયે આ બાબતે વિચારણા કરશે.

આ દિશામાં આગળ વધવાનો સ્પષ્ટ ઇશારો આપતાં તેમણે કહ્યું હતું કે, હવે જ્યારે અનેક ફરીયાદો મળી છે ત્યારે અમે એ અંગે તપાસ કરીશું. આ મામલે એક અલગ પોલીસી બનાવવાની આવશ્યકતા છે કે પછી કોઇ સ્પષ્ટીકરણની જરૂૃર છે તે અંગે અમે કોઇ નિર્ણય લઇશું અને ટુંક સમયમાં જ અમે એ બાબત હાથ ધરીશું.

હાલના સમયમાં અનેક ઇ-કોમર્સ પોર્ટલ રોજેરોજ નવી ઓફરો લઇને આવે છે. અગાઉ વેપારીઓની એક સંસ્થાએ વાણીજ્ય મંત્રાલય પાસેથી માગણી કરી હતી કે, ઓનલાઇન બિઝનેસ ઉપર ચાંપતી નજર રાખવામાં આવે.

ઉપરોક્ત સંસ્થાએ તો આ પ્રકારના વેપાર મોડલ ઉપર તપાસ કરવાની પણ માંગણી કરી હતી. આ ઇ-કોમર્સ કંપનીઓ કેવી રીતે આટલું જંગી ડિસ્કાઉન્ટ આપે છે તેની પણ ઊંડી તપાસની તેમણે માગ કરી હતી. જોકે, લોકોની બદલાતી લાઇફસ્ટાઇલ, નગરો અને ગામડાઓમાં પ્રસરી રહેલી વિજાણું ક્રાંતિ, મોબાઇલના સતત વધતા વેચાણ અને ઓનલાઇન રિટેલ સેગમેન્ટમાં પ્રવેશી રહેલા વિદેશી મગરમચ્છના કદને જોતાં ઇ-કોમર્સની ગતિ કોઇ અવરોધી શકે એવું જણાતું નથી.