શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 15 ઑક્ટોબર 2014 (15:13 IST)

મૂડીરોકાણના અમલીકરણમાં ગુજરાત અવ્વલ નંબરે

ગુજરાત ભલે મૂડીરોકાણ અંગેના ઈરાદાપત્રો રજૂ કરવામાં નંબર વન ન હોય પણ મૂડીરોકાણના ઈરાદાપત્રોના અમલીકરણમાં તો પ્રથમ ક્રમે જ છે. જોકે, ઓરિસ્સા અને છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તામિલનાડુ જેવા રાજ્યો ગુજરાતને ટક્કર આપી રહ્યાં છે. છતાં મૂડીરોકાણ મેળવીને તેને અમલીકરણમાં મૂકવામાં ગુજરાતનો દબદબો યથાવત છે.

છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન સમગ્ર દેશમાં રૂપિયા ૩,૧૬,૮૩૭ કરોડના મૂડીરોકાણ માટેના ઈરાદા પત્રો રજૂ કરાયા હતા.જેમાં ઓરિસ્સા પ્રથમ અને ગુજરાત બીજા અને છત્તીસગઢ ત્રીજા સ્થાને રહ્યા હતા પરંતુ આ ઈરાદાપત્રોના અમલીકરણ અને તેને વાસ્તવિક રૂપ આપવામાં ગુજરાત અને મહારાષ્ટ્રની બરાબરની ટક્કર જામે છે. સમગ્ર દેશમાં લગભગ ૨૮,૨૫૨ કરોડનું મૂડીરોકાણ આવ્યું હતું. અર્થાત આટલા કરોડ રૂપિયાનું વિવિધ રાજ્યોમાં મૂડીરોકાણ થયું હતું.જેમાં ગુજરાતમાં ૫૩૭૮ કરોડ અને મહારાષ્ટ્રમાં ૪૭૨૭ કરોડનું મૂડીરોકાણ આવ્યું હતું.

ઔદ્યોગિક ક્ષેત્રે મૂડીરોકાણ માટેના ઈરાદાપત્રો મેળવવા અંગેના આંકડા તાજેતરમાં ભારત સરકારે જાહેર કર્યા છે.તે મુજબ છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન ઓરિસ્સા મોખરે રહ્યું છે.આ સમયગાળા દરમ્યાન ઓરિસ્સાને કુલ ઈરાદાપત્રો પૈકીના ૧૭ ટકા ઈરાદાપત્રો મળ્યા છે. જ્યારે ગુજરાત તેમાં બીજા ક્રમે રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન ગુજરાતને ૧૨ ટકા, છત્તીસગઢને ૧૧ ટકા, મહારાષ્ટ્રને ૯ ટકા,મધ્યપ્રદેશને ૮ ટકા, આંધ્રપ્રદેશને ૮ ટકા, પશ્ચિમ બંગાળને ૭, કર્ણાટકને ૭ અને તામિલનાડુને ૪ ટકા જેટલા ઈરાદાપત્રો મળ્યા છે. જ્યારે બીજી બાજુ મૂડીરોકાણના અમલીકરણમાં ગુજરાત, મહારાષ્ટ્રની સરખામણીમાં અન્ય રાજ્યો કોઈ હરિફાઈમાં ટકી શક્યાં નથી.

અહીં આશ્ચર્યની વાત તો એ સામે આવી છે કે, ઈરાદાપત્રો મેળવવામાં જે છત્તીસગઢ અને ઓરિસ્સા પ્રથમ અને બીજા ક્રમે રહે છે.તે મૂડીરોકાણના ઈરાદાપત્રોના અમલીકરણમાં શૂન્ય ક્રમાંક મેળવે છે.જેનો સીધો અર્થ એ થાય છે કે, વર્ષ ૨૦૧૪માં જે છત્તીસગઢને આશરે ૫૧ ટકા જેટલા ઈરાદાપત્રો મળ્યા હતા. તે રાજ્યમાં મૂડીરોકાણનું અમલીકરણ શૂન્ય છે એટલે કે તે રાજ્યમાં મૂડીરોકાણ માટેના ઈરાદાપત્રો જરુર સૌથી વધુ મળ્યા હતા પરંતુ તે રાજ્યમાં વર્ષાન્તે એકપણ રુપિયાનું મૂડીરોકાણ થયું ન હતું.

ગત ૨૦૧૧માં ગુજરાતમાં ૪૬૭૧ કરોડ, ૨૦૧૨માં ૪૯,૬૧૬ કરોડ, ૨૦૧૩માં ૩૦,૨૬૬ કરોડ અને ૨૦૧૪માં જુલાઈ સુધીમાં ૫૩૭૮ કરોડનું મૂડીરોકાણ આવ્યું હતું.ગુજરાતમાં ૨૦૦૩થી દર બે વર્ષે 'વાયબ્રન્ટ સમિટ' યોજાય છે. જેની લાખ ટીકા છતાં એક વાસ્તવિકતા તો એ છે કે, તેમાં કરાતા અબજો કરોડો રુપિયાના એમઓયુના કારણે મૂડીરોકાણના અમલીકરણમાં ગુજરાત અવ્વલ નંબરે પહોંચી ગયું છે.

જોકે, ગુજરાતમાં યોજાતી સમિટમાં એમઓયુના બદલે મૂડીરોકાણ માટેના એમઓયુના બદલે ઈરાદાપત્રો ઉપર સહીઓ કરાય છે.આ વખતે ૧૧,૧૨ અને ૧૩મી, જાન્યુઆરીએ યોજાનારી સમિટમાં પણ ઈરાદાપત્રો પર જ સહીઓ કરાશે. નોંધનીય છે કે, ગત વાયબ્રન્ટ સમિટમાં જે રોકાણ માટેના જે એમઓયુ થયા હતા. તેને અમલીકરણમાં લાવવા માટે ગુજરાત સરકાર પણ જાગૃત છે. ગત શુક્રવારે જ મંત્રી સૌરભ પટેલે અગાઉના એમઓયુ અને તે પૈકી કેટલા અમલીકરણમાં ગયા તેની જાણકારી મેળવી હતી.જે એમઓયુ થયા બાદ હજુસુધી તેમાં કોઈ જ પ્રગતિ થઈ નથી. તેમને સરકાર દ્વારા પૃચ્છા કરવામાં આવી રહી છે અને તે રીતે કેટલા એમઓયુ પડતાં મૂકાયા છે. તેની વિગતો મેળવવામાં આવી રહી છે.