શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

આરોગ્યપ્રદ : હળદરનું સેવન કરવાથી હાર્ટ અટેકનું જોખમ ઘટે છે

હળદરમાં રહેલા એન્ટી ઓક્સિડેન્ટ્સ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોને કારણે તેના પ્રયોગથી હૃદયના ઓપરેશન બાદ થતા હૃદયરોગના હુમલા અર્થાત્ હાર્ટ અટેકનું જોખમ ઓછું થઇ જાય છે. હળદરનું સેવન કરવાથી હાર્ટ અટેકમાં 65 ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે. હૃદયની ધમનીઓમાં લોહીનો પ્રવાહ સામાન્ય કરવા માટે બાયપાસ ઓપરેશન કરવામાં આવે છે.

સામાન્યપણે આ ઓપરેશન દરમિયાન હૃદયની ગતિવિધિઓ ઠપ રહે છે. લોહીનો પ્રવાહ બંધ હોવાને કારણે હૃદયને ક્ષતિ પહોંચી શકે છે અને દર્દીને ભવિષ્યમાં હૃદયરોગનો હુમલો થઇ શકે છે. પણ નવા અભ્યાસમાં એ તથ્ય સામે આવ્યું છે કે પારંપરિક દવાઓની સાથે હળદરના સેવનથી આવું જોખમ ઓછું કરી શકાય છે.

સાયન્સ જર્નલ 'અમેરિકન જર્નલ ઓફ કાર્ડિયોલોજી'ના રિપોર્ટ અનુસાર આ સંશોધનના નેતૃત્વકર્તા અને થાઈલેન્ડની ચિયાંગ મઈ યુનિવર્સિટીના વાનવરંગ વોંગચેરોઇને કહ્યું કે આ પરિણામોની ફરીથી પુષ્ટિ કરવાની જરૂર છે.

યુનિવર્સિટીએ 2009થી 2011ની વચ્ચે ઓપરેશન કરાવી ચૂકેલા 121 હૃદયરોગના દર્દીઓ પર અભ્યાસ કર્યો. આમાં અડધા દર્દીઓને ઓપરેશનના ત્રણ દિવસ પહેલા અને પાંચ દિવસ બાદ સુધીમાં ચાર વખત એક-એક ગ્રામ હળદરની કેપ્સૂલ આપવામાં આવી. બાકીના દર્દીઓને એટલી જ સંખ્યામાં હળદર વગરની કેપ્સૂલ આપવામાં આવી. સંશોધકોએ જાણ્યું કે જે દર્દીઓને હળદરની કેપ્સૂલ આપવામાં આવી હતી તેમનામાં 13 ટકા અને જેમને હળદર વગરની કેપ્સૂલ આપવામાં આવી હતી તેમનામાં 30 ટકા દર્દીઓને હૃદયરોગનો હુમલો થયો.

વોંગચેરોઇન અને તેમના સાથીઓએ જાણ્યું કે હળદરના સેવનથી હૃદયરોગના હુમલામાં 65 ટકાનો ઘટાડો થાય છે.