Last Modified: સોમવાર, 1 સપ્ટેમ્બર 2014 (15:05 IST)
પાસપોર્ટ ઓફિસમાંથી દલાલોની છુટ્ટી કરી દેવાની તૈયારી
આઇઆરસીટીસીને દલાલોથી મુકત કર્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીમ પાસપોર્ટ ઓફિસમાંથી દલાલોની છુટ્ટી કરી દેવાની તૈયારી કરી રહી છે. પાસપોર્ટ બનાવવામાં લોકોની સુવિધા માટે અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. આમ છતાં દલાલોની ફરિયાદો સતત આવી રહી છે.
મોદીની જે ટીમે આઇઆરસીટીસીમાં ફેરફારોનું સુચન કર્યુ છે એ ટીમની દેખરેખમાં પાસપોર્ટ ઓફિસમાં સુધારાઓનું કામ કરવામાં આવી રહ્યુ છે. આવતા બે મહિનામાં તેના પરિણામો દેશની સમક્ષ આવશે. હાલ આના પર કોર ટીમમાં ચર્ચા ચાલી રહી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે સામાન્ય લોકો તરફથી પાસપોર્ટ બનાવવા કે રિન્યુ કરાવવાની બાબતમાં અનેક મુશ્કેલીઓ પડી રહી હોવાની ફરિયાદો મળી રહી છે. ડોકયુમેન્ટ ચેક કરાવવા અને ઇન્ટરવ્યુ માટે આમ જનતાને એક મહિના પછીનો સમય અપાય છે પરંતુ દલાલ બે દિવસની અંદર જ એપોઇન્ટમેન્ટ અપાવી દે છે.
એક વ્યકિતના જણાવ્યા પ્રમાણે મારે પાસપોર્ટ રિન્યુ કરાવવો હતો જે માટે એપોઇન્ટમેન્ટના પ્રયાસ કર્યા પરંતુ મારૂ કામ ન થયુ. મજબુરીમાં મેં એક એજન્ટનો સંપર્ક સાધ્યો જેણે ૧૦૦૦ રૂ. લઇને બે દિવસની અંદર એપોઇન્ટમેન્ટ મેળવી દીધી.
એડવાઇઝરીએ ટીમના સભ્યએ કહ્યુ છે કે આ પ્રકારની ફરિયાદો અમને મળી રહી છે. તેમણે કહ્યુ હતુ કે, આઇઆરસીટીસીમાં ફેરફારો બાદ સિસ્ટમની કેપેસીટી વધી છે. પહેલા જયાં દર મીનીટે ર૦૦૦ ટિકિટ બુક થતી હતી ત્યાં હવે ૭ર૦૦ ટિકિટ બુક થાય છે. દર મીનીટે પહેલા પ૦૦૦૦ ઇન્કવાયરી એટેન્ડ થતી હતી ત્યાં હવે બે લાખની થઇ રહી છે. લોકોને દલાલોથી છુટકારો મળ્યો છે.