શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 2 જાન્યુઆરી 2017 (12:26 IST)

ઉત્તરાયણમાં ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધ - અમલ થશે ખરો ?

ચાઇનીઝ તુક્કલ એટલે કે સ્કાય લેન્ટર્નના ઉપયોગથી પર્યાવરણને પણ નુકસાન પહોંચતું હોવાના તારણ સાથે હાઇકોર્ટે પ્રતિબંધ ફરમાવવા આદેશ કર્યો હતો. જેના આધારે પોલીસ કમિશનર ચાઇનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ, વ્યાપાર અને ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.એક અંદાજ મુજબ, મકરસંક્રાંતિમાં સ્કાય લેન્ટર્નનું ૧૦૦ કરોડનું ટર્નઓવર થતું હતું. છેલ્લા બે વર્ષથી હાઇકોર્ટના આદેશનો અમલ કરાવવા માટે પોલીસ કડક બનતાં ચાઇનીઝ તુક્કલના વેચાણ અને વપરાશમાં વીસે’ક ટકા જેવો ઘટાડો નોંધાયો હતો. ગુજરાતમાં છેલ્લા પાંચ-છ વર્ષથી ઉત્તરાયણમાં સાંજે ચાઇનીઝ તુક્કલ ઉડાવવાનો ક્રેઝ વધ્યો છે. પણ, ચાઇનીઝ તુક્કલથી આગના બનાવો બનતા રહે છે. વર્ષ ૨૦૧૫માં ઉત્તરાયણમાં આગના ૨૧ અને ૨૦૧૬માં ૩૦ બનાવો બન્યા હતા. વર્ષ ૨૦૧૫માં તો બે વ્યક્તિ મૃત્યુ પામી હતી. ચાઇનીઝ તુક્કલથી ગરીબોના ઝૂંપડા સળગતા હોવાની રજૂઆત કરાતાં ડિસેમ્બર-૨૦૧૫માં હાઇકોર્ટે ચાઇનીઝ તુક્કલ ઉપર પ્રતિબંધ ફરમાવવા પોલીસને આદેશ કર્યો હતો. આથી, છેલ્લા ત્રણ વર્ષથી શહેર પોલીસ ચાઇનીઝ તુક્કલ ઉપર પ્રતિબંધ ફરમાવતી આવી છે. આ વર્ષે પણ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને ચાઇનીઝ તુક્કલ ઉપર પ્રતિબંધ મુક્યો છે. ત્રણ મહિના પહેલાં જ ચાઇનીઝ તુક્કલની આયાત થઈ જતી હોવાથી પોલીસ દ્વારા મોડેથી લાગુ કરવામાં આવતો પ્રતિબંધ અસરકારક રહેતો નથી. આ વર્ષે પણ પોલીસ કમિશનરે તા. ૨૦ ડિસેમ્બરથી ૩૧ જાન્યુઆરી સુધી ચાઇનીઝ તુક્કલ એટલે કે સ્કાય લેન્ટર્ન ઉડાડવા ઉપર પ્રતિબંધ મુક્યો છે. આ વર્ષે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણે શનિ-રવિવાર છે એટલે આ પ્રતિબંધ કેટલો અસરકારક રહેશે તે તો સમય બતાવશે.