Last Modified: સોમવાર, 2 જાન્યુઆરી 2017 (12:10 IST)
ગુજરાતના ખેડૂતની ગજબની સૂઝ ગાયની મદદથી કરે છે વિનામૂલ્યે ખેતી
સુરેન્દ્રનગરમાં રહેતા શિક્ષિત ખેડૂતે માત્ર બે જ ગાયના પાલનથી પોતાની ખેતીનો જંતુનાશક દવા, મજૂર, ખેડાણ સહિતનો તમામ ખર્ચ કાઢવાનો સફળ પ્રયોગ કર્યો છે. મૂળીના વતની અને હાલ રતનપરમાં રહેતા નિરવસિંહ દિલુભા પરમાર લંડનમાં અભ્યાસ કરીને સિવીલ એન્જિનીયરીંગમાં માસ્ટર ડીગ્રી મેળવીને 11 વર્ષ લંડનમાં જ રહ્યા હતા. બાદમાં છેલ્લા પાચ વર્ષથી તેઓ રતનપર આવી પરીવાર સાથે રહે છે. વર્તમાન સમયે ખેડૂતોને ખેતી પાછળ ખર્ચ થઇ રહ્યો છે.તે ઘટાડીને ખેડૂતોના નફામાં વધારો કરવાની દિશામાં કાંઇક કરવાની ઇચ્છાથી તેમણે ખમીસાણા પાસે આવેલા પોતાના ફાર્મ પર આ પ્રયોગની શરૂઆત કરી હતી. જેમાં થોડા સમય માટે તકલીફ પડી હતી. પરંતુ અત્યારે ગાય આધારીતે 0 ખર્ચની ખેતીનો પ્રયોગ તેમણે સફળ બનાવ્યો છે. ગાયનો ખર્ચ ખેતર કાઢી દે છે. અને ખેતરમાં કામ કરતા મજૂરોનો ખર્ચ ગાય ઉપાડી લે છે. બે ગાયનુ દૂધ ડેરીમાં ભરીને મજૂર પરીવારનો ખર્ચ નીકળી જાય છે. ગૌ મૂત્ર અનેક ઔષધીઓ ગુણ ધરાવે છે. ગૌ મૂત્રમાં ખેતરના શેઢા પર ઉગતા ધતુરાના ફૂલ, લીંબડાના પાન, લીંબોળી તથા તમાકુ જેવી વસ્તુઓને એક પીપમાં ભરીને તેમાં ગૌ મૂત્ર નાંખીને 15 દિવસ આથો આવ્યા બાદ તેમાંથી પ્રવાહી દવા તૈયાર થાય છે. જે દવાના છંટકાવથી પાક પર જીવાત કે રોગ આવતો નથી.
જેમાંસૌથી વધુ ગૌ મૂત્રનો ઉપયોગ થાય છે.તમે કોઇ પણ બાગાયતી પાકની વાવણી કરો ત્યારે વચ્ચે મોટી ગાળી રાખવી પડે છે. આ ગાળીમાં ગાયના ઘાસ માટે રજકો કે જારનું વાવેતર કરી શકો છો. અંદાજે 25 વિઘાના બાગાયતી પાકના વાવેતરમાં જે ખાલી જગ્યા પકડી રહે તે જગ્યામાંથી બે ગાયને વરસ સુધી ચાલે તેટલો ઘાસચારો થઇ જાય છે. એટલે ખેડૂતે ગાય પાછળ પણ ખર્ચ કરવો પડતો નથી.