શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 5 નવેમ્બર 2016 (15:41 IST)

સોખડા ગામના મેદાનમાં એકસાથે 14 મૃતદેહોના અગ્નિસંસ્કાર

રાજકોટના સોખડા ગામના પાંચ પરિવારના 17થી વધુ સભ્યો પીકઅપ વાનમાં પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ધોળકા-બગોદરા હાઇવે પાસે ટ્રક સાથે એક્સિડન્ટ થયો હતો. જેમાં ઘટનાસ્થળે જ 14 વ્યક્તિના મોત નીપજ્યા હતા.  નાના એવા ગામના સ્મશાનમાં અગ્નિદાહ માટે બે જ ખાટલા છે. આથી 14 વ્યક્તિના પાર્થિવ દેહના અગ્નિ સંસ્કાર કરવા માટે ગામ લોકોએ મેદાનમાં જ વ્યવસ્થા કરી હતી. સોખડા ગામમાં એકી સાથે 14 અર્થી ઉઠતા ગ્રામજનો હિબકે ચડ્યા હતા. મેદાનમાં જ 14 ચિતા ગોઠવવામાં આવી હતી અને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.  રાજકોટ નજીક સોખડા ગામમાં તળપદા કોળી સમાજના 14 યુવાનો અને તરૂણો એક્સિડન્ટમાં કાળનો કોળીયો બની જતા ગામ શોકમાં ગરક થઇ ગયું છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, દિવાળની રજા પૂરી થતી હોય એ પહેલા ગયા ગુરૂવારે યુવાનોએ મળીને પાવાગઢ દર્શન કરવા જવાનું અને આસપાસમાં ફરવા જવાનું નક્કી કર્યુ હતું. પરંતુ વડિલોને જાણે કંઇક સુજી ગયું હોય કે ગમે તેમ હોય તેઓએ યુવાનોને નવા દિવસો ચાલુ હોય ફરવા જવાની ના પાડી હતી. પરંતુ બધા તૈયાર થઇ ગયા હતાં. ટાટા સુપર વાહનના માલિક જગદીશભાઇ વનારીયાએ પોતાના વાહનમાં જ દર્શને જવાની અને જે ખર્ચો થાય તે સરખે ભાગે વહેંચી લેવાની વાત નક્કી કરી હતી. બધા ગુરૂવારે રાત્રે સોખડાથી રવાના થઇ ગયા હતાં. જેમાં યુવાનો સાથે બે-ત્રણ તરૂણ-બાળકો પણ જોડાયા હતાં. બધાએ પોતે શુક્રવારે મોડી રાત્રે કે શનિવારે વહેલી સવારે પાછા આવી જશે તેમ સ્‍વજનોને કહ્યું હતું. પણ કોઇને ક્‍યાં ખબર હતી કે જે 17 જણા ગયા છે તેમાંથી 14ના મૃતદેહો જ આવશે.