શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 21 જુલાઈ 2014 (12:56 IST)

જગ વિખ્યાત તરણેતરનો મેળો ૨૮થી ૩૧મી ઓગસ્ટે

ગુજરાત જ નહીં પણ દેશ-વિદેશમાં જાણીતા બનેલા થાન નજીકની પાંચાલ ભૂમિ પરના ભગવાન ત્રિનેત્રેશ્ર્વરના ભક્તિ અને ભાતીગળ સંસ્કૃતિને બેનમૂન રીતે ઉજાગર કરતા લોકમેળાની અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લાના તરણેતર ખાતે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા સુદ ત્રીજથી છઠ્ઠ એટલે કે, તા. ૨૮થી ૩૧મી ઓગસ્ટ, ૨૦૧૪ દરમિયાન તરણેતરનો વિશ્ર્વ પ્રસિદ્ધ લોકમેળો યોજાશે.

આ લોકમેળામાં આવતાં પર્યટકો-લોકોને મેળા દરમિયાન કોઈ પણ જાતની તકલીફ ન પડે અને આ મેળો સાચા અર્થમાં લોકમેળો બની રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અધિકારી અને પદાધિકારીઓની વિવિધ સમિતિની રચના કરવામાં આવી છે.

તરણેતરના આ પ્રસિદ્ધ મેળાના આયોજન સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે.બી. ભટ્ટના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને મેળાના આયોજન સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપતાં કલેક્ટર ભટ્ટે જણાવ્યું હતું કે, તરણેતરના આ લોકમેળામાં આવતા પ્રત્યેક લોકોને મેળા દરમિયાન કોઈ તકલીફ ન પડે અને તેઓ સારી રીતે મેળો માણી શકે તે માટે રચવામાં આવેલ વિવિધ કમિટીના અધ્યક્ષોએ તેમની કમિટીની બેઠક બોલાવી આ લોકમેળા સંદર્ભે જરૂરી આયોજન કરવું પડશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જે.કે. આસ્તિક, પોલીસ અધિક્ષક આર. વી. અસારી, અધિક નિવાસી કલેક્ટર વિપુલ મહેતા તરણેતર ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપ સરપંચ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.