શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદઃ , સોમવાર, 5 ઑક્ટોબર 2015 (17:02 IST)

'પુત્રમોહ'ની માનસિકતા

સામાન્ય રીતે શહેરી વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ વિશેષ હોઇ પુત્ર કે પુત્રી વચ્ચેનો જેન્ડર બાયસ ઓછો હોવો જોઇએ. તેમાં પણ ગુજરાત જેવા દેશના વિકસિત રાજયના આર્થિક પાટનગર અમદાવાદમાં તો આ પ્રકારના લિંગભેદને સ્થાન ન મળવું જોઇએ. તેમ છતાં આઘાતજનક રીતે અમદાવાદ જેવા અમદાવાદમાં 'પુત્રમોહ'ની માનસિકતા ગ્રામીણ વિસ્તારો જેટલી જ છે.
હિંદુ ધર્મ શાસ્ત્રોમાં પુત્ર પિતા કે માતાના દેહને મુખાગ્નિ આપીને તેમને પુ નામના નરકથી છોડાવે છે. આ ઉપરાંત પુત્રને પિતાનો વારસદાર ગણવામાં આવે છે. પછી તે પિતાની ધર્મ કે અધર્મ કોઇ પણ રીતે મેળવેલી માલમતાનો પણ આપોઆપ વારસદાર થઇ જાય છે. અનેક કુટુંબોમાં લખલૂંટ સંપત્તિ હોવા છતાં એને ભોગવનારો (?) કોણ એવી પછાત માનસિકતા આજની ર૧મી સદીમાં પણ જોવા મળે છે. પરિણામે જો આવા કુટુંબમાં બાળકનો જન્મ થાય તો તમામના ચહેરા ખુશીથી ઝૂમી ઊઠે છે.
અમદાવાદનાં ઘણાં કુટુંબોમાં પુત્રની ગાંડી ઘેલછા હોય છે. દીકરા-દીકરી વચ્ચેની નબળી માનસિકતા એટલી જ છે. કુદરત તો સમાનતામાં માને છે. કુદરતની બક્ષીસ તો બાળક બાળકીને જોતું નથી. નોબલ પ્રાઇઝ વિજેતા અને રાષ્ટ્રીય ગાન જનગણમનના કવિ રવીન્દ્રનાથ ટાગોરે દરેક આવનાર શિશુના જન્મને ઇશ્વરની માણસ જાત પરની શ્રદ્ધા હજુ ખંડિત નથી થઇ તે પ્રકારે વર્ણવીને બિરદાવ્યું હતું તેમ છતાં શિશુમાં બાળક બાળકીનો ભેદ જોનારા ગર્ભ પરીક્ષણ પર પ્રતિબંધ હોવા છતાં ખાનગી ખૂણે ગર્ભસ્થ શિશુની જાતિ તપાસે છે. જો માતૃત્વ પામનાર સ્ત્રીનાં ઉદરમાં ભૂલે ચૂકે બાળકીના હૃદયના ધબકારા સાંભળવા મળે તો પુત્ર ઘેલા સ્ત્રી ભ્રૂણ હત્ભયા કરતાં પણ ખચકાતા નથી.

શહેરના પ્રતિષ્ઠિત ગણાતા ડોકટરો તો ગર્ભ પરીક્ષણમાં પડતા નથી, પરંતુ દીકરાની ઝંખના રાખનારા અમદાવાદ નજીકના તાલુકા મથકના નાનકડા શહેરમાં જઇને ઊંચા દામ ચૂકવીને પણ ગર્ભ પરીક્ષણ કરાવી ઉદરસ્થ બાળકીનું ગળું દાબી દે છે.
જોકે કેટલાક શિ‌ક્ષિત પરિવારો એક બસમાં માને છે. અત્યારના મોંઘવારીના જમાનામાં સિંગલ ચાઇલ્ડ પેરેન્ટસની સંખ્યા પણ વધતી જાય છે. તેમાં પણ પહેલું સંતાન બાળક હોય તો આવા પરિવારો બીજા સંતાનની માથાકૂટમાં પડતા નથી. કયાંક કયાંક માતા પિતામાં પુત્ર પુત્રીના બેલેન્સની પણ ભાવના જોવા મળે છે.

અમદાવાદમાં છેલ્લા ત્રણ વર્ષથી બાળકી કરતાં બાળકનું પ્રમાણ વધારે નોંધાયું છે. કોર્પોરેશનના જન્મ મરણ વિભાગના સત્તાવાર આંકડા મુજબ ગત ત્રણ વર્ષમાં બાળકી કરતાં ૭,૦૦૦ વધુ બાળક જન્મ્યા છે. જોકે આશ્ચર્યજનક રીતે છેલ્લા ત્રણ વર્ષમાં વર્ષ દીઠ કુલ બાળકોનું સરેરાશ ૧.૦૬ લાખનું પ્રમાણ જળવાઇ રહ્યું છે. દરમિયાન મ્યુનિ. સંચાલિત વી.એસ. હોસ્પિટલમાં વર્ષ ૨૦૧૨માં કુલ ૫૦૩૮ શિશુ, વર્ષ ૨૦૧૩માં ૬૦૨૩ શિશુ, વર્ષ ૨૦૧૪માં ૮૨૫૪ મળીને કુલ ૧૯,૩૧૫ શિશુ જન્મ્યાં હતાં. જ્યારે સિવિલ હોસ્પિટલમાં શિશુ જન્મનું પ્રમાણ વધુ એટલે કે કુલ ૨૧,૬૧૩ શિશુ જન્મ્યાં હતાં.

સિંગલ ચાઈલ્ડ પેરેન્ટસ અને ભ્રૂણ હત્યા કારણભૂત
જાણીતા સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની કહે છે કે અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં સિંગલ ચાઈલ્ડ પેરેન્ટસ વધ્યા છે. જો પહેલું સંતાન બાળક હોય તો આગળ પૂર્ણવિરામ લાગે છે, પરંતુ પુત્ર મોહની ઘેલછાથી દીકરી અવતરે તો આવા પરિવારમાં અલ્પવિરામ લાગે છે. આ ઉપરાંત મોટાં શહેરોમાં ભ્રૂણ હત્યાનું પ્રમાણ પણ વધ્યું છે. જેને કારણે બાળક અને બાળકીના જન્મમાં આટલો મોટો ફરક દેખાય છે.

ર૦૧રમાં કુલ જન્મઃ ૧,૦પ,૮૬૮
બાળકઃ પ૬,૩પ૧
બાળકીઃ ૪૯,પ૧૭

તફાવતઃ ૬,૮૩૪


ર૦૧૩માં કુલ જન્મઃ ૧,૦૬, પ૭૩
બાળકઃ પ૭,૩પ૧
બાળકીઃ  ૪૯,૩૭૪

તફાવતઃ  ૭,૮રપ           

ર૦૧૪માં કુલ જન્મઃ ૧,૦૬, ૩૯૦
બાળકઃ પ૬,૮૧૯
બાળકીઃ ૪૯,પ૭૧
તફાવતઃ ૭,ર૪૮