શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદઃ , સોમવાર, 27 એપ્રિલ 2015 (18:01 IST)

ભૂકંપપ્રૂફ માત્ર 1 ટકા મિલ્કતો જ કોર્પોરેશના ચોપડે નોંધાઈ છે

આમ તો આપણા શહેરમાં ગેરકાયદે બાંધકામોની નવાઇ નથી. નરોડાથી નારોલના સમગ્ર પટ્ટામાં ગેરકાયદે બાંધકામોના રાફડેરાફડા છે. તાજેતરમાં જુહાપુરાના ગેરકાયદે બાંધકામોનો મામલો સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. સામાન્ય સંજોગોમાં બિલ્ડરો ગમે તેવી ગુણવત્તાનું બાંધકામ કરીને આબાદ રીતે છટકી જાય છે, પરંતુ નેપાળના ભૂકંપના પગલે શહેરમાં ભૂકંપપ્રૂફ ઇમારતો પુનઃ ચર્ચાના  ચગડોળે ચડી છે. એક અંદાજ મુજબ શહેરમાં આશરે ૩૯,૦૦૦ ઇમારત ભૂકંપપ્રૂફ છે.
શહેરમાં ઇમ્પેકટ ફી લઇને ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવાનાે કાયદો નિષ્ફળ નીવડ્યો છે. ર૦૧૧માં અમદાવાદમાં સાડા પાંચ લાખ ગેરકાયદે બાંધકામ હતાં. તે પૈકી કુલ ર.૪૩ લાખ અરજદારો ઇમ્પેકટ ફીનો લાભ લેવા આગળ આવ્યા હતા, જેમાંથી માંડ એક લાખ બાંધકામો કાયદેસર કરાયાં છે, જોકે આ જૂનાં બાંધકામોમાં ભૂકંપપ્રૂફ ડિઝાઇનનો ખાસ આગ્રહ રખાતો નથી એટલે કે આ બાંધકામો નેપાળમાં આવેલા  ભૂકંપની તીવ્રતાનો આંકડો સહન કરી શકે તેમ નથી.

ખરેખર તો ગત તા.ર૬ જાન્યુઆરી, ર૦૧૧માં કચ્છમાં આવેલા મહાવિનાશક ભૂકંપમાં અમદાવાદમાં ખાનાખરાબી સર્જાયા બાદ તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગ્રત થયું હતું. સત્તાવાળાઓએ ભૂકંપની દ્રષ્ટિએ ઝોન-૩માં આવતા અમદાવાદને નવા ભૂકંપ સામે સુરક્ષિત કરવા ભૂકંપપ્રૂફ ઇમારતની ડિઝાઇનનો આગ્રહ રાખીને જે તે સ્કીમને મંજૂરી આપતી વખતે નવી કડક  શરતો ઉમેરી છે.
આ નવી કડક જોગવાઇઓને આધારે ત્યારથી એપ્રિલ-ર૦૧પ સુધીમાં શહેરમાં આશરે ૩૯,૦૦૦ ઇમારતને મંજૂરી અપાઇ હોઇ ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં આટલી ઇમારત ભૂકંપ સામે સુર‌િક્ષત ગણી શકાશે. અમદાવાદમાં એપ્રિલ-ર૦૦રથી જે તે સ્કીમને રજિસ્ટર્ડ સ્ટ્રકચરલ એન્જિનિયરના સર્ટિફિકેટના આધારે કોર્પોરેશનમાં મુકાતાં ભૂકંપપ્રૂફ પ્લાનને મંજૂરી મળવા લાગી છે.

એપ્રિલ-ર૦૦રથી એપ્રિલ-ર૦૦૬ સુધીના પહેલાં પાંચ વર્ષ સુધી કોર્પોરેશનમાં દર વર્ષે આશરે ર૦૦૦ ભૂકંપપ્રૂફ પ્લાન મંજૂર થતા હતા, પરંતુ ર૦૦૬માં પહેલાં ફેબ્રુઆરીમાં અને તે પછી જુલાઇમાં એમ બે તબક્કામાં  કોર્પોરેશનના હદ વિસ્તારમાં ઔડાની જૂની લિમિટ ભળતાં પ્લાન મંજૂરીની સંખ્યામાં વધારો થઇને એપ્રિલ-ર૦૦૭થી દર વર્ષે આશરે ૩પ૦૦ ભૂકંપપ્રૂફ પ્લાન મંજૂર થાય છે. મેમનગર ખાતે આવેલી મ્યુનિ. કચેરીમાં શહેરભરના નવા બાંધકામના પ્લાનને મંજૂરી અપાય છે, જેના પગલે દર મહિને મ્યુનિ. તિજોરીને રૂ.રપ કરોડની આવક થાય છે.