શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Updated : સોમવાર, 26 સપ્ટેમ્બર 2016 (11:44 IST)

પાટીદારો આયોજીત શહીદોને શ્રંદ્ધાજલિ કાર્યક્રમનો ફિયાસ્કો, અંદરો અંદર લડાઈ થઈ

રવિવારે સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે ‘‘એક શામ શહીદો કે નામ’’ ચેરિટી શૉનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ હાર્દિક પટેલથી નારાજ ‘પાસ’ના પાયાના સભ્યો ચિરાગ તેમજ કેતન પટેલની આગેવાનીમાં કરાયું હતું. કાર્યક્રમનો ઉદ્દેશ પોલીસદમનમાં માર્યા ગયેલા પાટીદારો અને ઉરીમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ તેમજ તેમના પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવાનો હતો. માનવ સેવા સંગઠન સંસ્થાના ઉપક્રમે નવરંગપુરા સ્ટેડિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પાટીદારોના બે જૂથ સામસામે આવી ગયા હતા. જે શહીદો માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું તે આંદોલનમાં પીડિત કેટલાક પરિવારોને સ્ટેજ પર સ્થાન જ આપવામાં આવ્યું ન હતું. બીજી બાજુ જેરામ પટેલ સહિતના આગેવાનોને સ્ટેજ પર બેસાડી દેવાતા કેટલાક પટેલ યુવાનોએ વિરોધ શરૂ કર્યો હતો. જેના પગલે બાઉન્સર તથા પટેલ યુવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું. દરમિયાન મીડિયા કર્મીઓ સાથે પણ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું.   આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના નેતાઓ વચ્ચે વિવાદ થતાં ભારે  હંગામો થયો હતો. અમરીશ પટેલ નામના એક આગેવાનને સ્ટેજ પર ન બોલાવતાં પાટીદારોના બે જુથના લોકો સામસામે આવી ગયા હતા. જે બાદ અફરાતફરી થઈ હતી.  અમરીશ પટેલ તેમજ તેમના પુત્ર તીર્થ પટેલ અને ચિરાગ તેમજ કેતન પટેલ વચ્ચે મંચ પરની વ્યવસ્થાને લઈને ગરમાગરમી થઈ હતી. જે એટલી બધી ઉગ્ર થઈ ગઈ કે અંતે એકબીજા સાથે ધક્કામુક્કીમાં પરિણમી હતી. આ સ્થિતિને થાળે પાડવા માટે ભાજપ શહેર યુવા મોરચાના આગેવાન હિમાંશુ પટેલ તેમજ એસપીજીના આગેવાન પૂર્વીન પટેલે અમરીશ પટેલ તેમજ તીર્થ પટેલને પકડીને મંચથી દૂર લઈ જવા પડ્યા. કેટલાક લોકોએ  મીડીયાકર્મીઓ સાથે પણ ગેરવર્તણુંક કરી હોવાનું સામે આવ્યું છે. જો કે પૂર્વીન પટેલનું કહેવું છે કે બે ઘડી માટે થયેલા મનદુ:ખને કારણે આ સ્થિતિ ઊભી થઈ હતી પરંતુ ત્યાર બાદ બધું થાળે પડી ગયું હતું.