1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 30 નવેમ્બર 2023 (11:25 IST)

સુરતની કેમિકલ કંપનીમાં લાગેલી આગમાં 27 દાઝ્યા, લાપતા થયેલા 7 કામદારોના મૃતદેહ મળ્યા

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રી કેમિકલ કંપનીમાં મંગળવારની મોડી રાત્રે ભયંકર બ્લાસ્ટ સાથે ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આ ઘટનામાં મોડી રાત્રે કંપનીમાં કામ કરતા કામદારોની ચિચિયારીઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઊઠ્યો હતો. આ ઘટનામાં લાપતા થયેલા 7 કામદારોના આજરોજ કંકાલ મળી આવ્યા છે. તમામ મૃતદેહોને પી.એમ. માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં 27 જેટલા કામદારો દાઝ્યા છે. જેમાંથી આઠથી વધુ કામદારો ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે. કામદારો 70થી 100 ટકા સુધી દાઝી જતા જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. આ અંગે સુરત DCPએ જણાવ્યું હતું કે, કંપનીમાં કામ કરતા કર્મચારીઓ ગુમ હતા. જેમાં કંપનીમાંથી આજરોજ સાત માનવ કંકાલ મળ્યાં છે. આ કંકાલોને પી.એમ. અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.એથર ઇન્ડસ્ટ્રીઝના સભ્ય કમલ તુલસીયાને જણાવ્યું હતું કે, જેટલા કામદારો લાપતા થયા હતા, તેમના એક બાદ એક મૃતદેહ મળ્યા છે. ગઈકાલે જ અમે સાત લોકોને આઇડેન્ટીફાય કર્યા હતા, તે પ્રમાણે સાત મૃતદેહ મોડી રાત સુધી સર્ચ કર્યા બાદ મળી આવ્યા છે. તેમના પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દેવાયા છે. જેમના મૃતદેહ મળ્યા છે, તેમની અંતિમ વિધિ માટે કંપની દ્વારા 25-25 હજાર આપવામાં આવી રહ્યા છે. જે લોકોના મૃત્યુ નીપજ્યા છે, તેમને કેટલું વળતર મળશે તે અંગેની પણ ચર્ચા અમે કરી રહ્યા છે. સરકારી તંત્ર સાથે જે પણ મળવાપાત્ર રકમ છે તે આપવામાં આવશે. એ ઉપરાંત કંપની પોતાની તરફથી 5થી 10 લાખ રૂપિયા સુધીની રકમ આપવાનો નિર્ણય કરી રહ્યા છે.