શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 29 મે 2017 (17:20 IST)

અલ્પેશ ઠાકોરનું એલાન કયા પક્ષમાં જોડાઈશ એનું એલાન ટુંક સમયમાં કરીશ

થોડા સમય પહેલા જ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચના અગ્રણી અલ્પેશ ઠાકોરે રાજનીતિ કરવા છેવટે આગામી વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા વિકલ્પ તરીકે ઝૂકાવવાની જાહેરાત કરી હતી. અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, હાલ તેઓ ભાજપ તેમજ કોંગ્રેસ બંનેના સંપર્કમાં છે. આ બંને પક્ષમાંથી કોઈ પક્ષમાં જોડાવું કે પછી પોતાનો પક્ષ રચવો તે અંગેનો નિર્ણય થોડા જ સમયમાં પોતે લેશે.

ગીર-સોમનાથ પહોંચેલા અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, રાજકારણ દૂષિત છે, અને તેને સ્વચ્છ કરવા માટે હું તેમાં પ્રવેશીશ. છેલ્લા કેટલાક સમયથી દારૂબંધી સહિતના સામાજિક મુદ્દે આંદોલન ચલાવતા અલ્પેશ ઠાકોરના મંચની કારોબારી બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, ચૂંટણી માટે સંગઠન તૈયાર છે, અને જો રાજકીય પાર્ટી ઓબીસી-એસસીને પ્રતિનિધિત્વ નહીં આપે અને અમારી રાજકીય વિચારધારાને કોઇ પક્ષ નહીં સ્વીકારે તો ત્રીજા વિકલ્પ તરીકે પ્રજાની વચ્ચે જઇશું.જ્ઞાતિગત સંગઠનના આધારે સામાજિક મુદ્દાને લઇને આગળ આવેલા અલ્પેશ ઠાકોરે લઘુમતી, ગરીબ, પછાત, બેરોજગારો અને ખેડૂતોના નામે ચૂંટણી લડવા અત્યારથી જ પોતાના સંગઠનની દાવેદારી જાહેર કરી દીધી છે. તે સાથે જે રાજકીય પક્ષને તેમની સાથે જોડાણ કરીને પ્રતિનિધિત્વ આપવું હોય તેનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે.  વિધાનસભાની ચૂંટણીને લઇને બૂથ મેનેજમેન્ટ પણ તૈયાર છે. જો પક્ષો પ્રતિનિધિત્વ નહીં આપે તો રાજનીતિ કરવા સંગઠન તૈયાર છે. જો કોઇ પક્ષ અમને સ્વીકારશે તો ઠીક છે નહીં તો ત્રીજા વિકલ્પ તરીકે પ્રજાની વચ્ચે જવાનું પસંદ કરીશું.આ બેઠકમાં રાજ્યના બેરોજગાર યુવાનોને રોજગારી ન મળે ત્યાં સુધી માસિક પાંચ હજાર રૂપિયા મોંઘવારી ભથ્થુ આપવા અને ઉદ્યોગોમાં 85 ટકા સ્થાનિક રોજગારી માટે પણ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ક્ષત્રિય-ઠાકોર સેના 28 મે એ અમદાવાદથી 182 ગાડીના કાફલા સાથે નિકળી ભગવાન સોમનાથના દર્શન કરીને વિજય શંખનાદ માટે નીકળી હતી. આજે સવારના સમયે સોમનાથ પહોંચેલી ક્ષત્રિય-ઠાકોર સેનાએ સોમનાથમાં વિશાળ રેલીનું આયોજન કર્યું હતું.