1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ભાવનગર , શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2024 (13:16 IST)

ભાવનગરમાં આંગણવાડીના ભૂલકાંઓ જર્જરીત દુકાનમાં ભણવા મજબૂર, વીડિયો વાયરલ

Anganwadi in a dilapidated shop
Anganwadi in a dilapidated shop


-  50 જેટલા બાળકો ભાડાની જર્જરિત દુકાનમાં ચાલતી આંગણવાડીમાં અભ્યાસ કરી રહ્યા
- મોટા ભાગની આંગણવાડી ભાડાના મકાનમાં
-  અધિકારીઓ, નેતાઓને અનેકવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં તેનો કોઈ જ ઉકેલ નહીં 
 
 ગુજરાતમાં શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં ભાવનગર જિલ્લામાં નાના ભૂલકાઓ જર્જરિત દુકાનમાં ચાલતી આંગણવાડીમાં ભણવા મજબુર બન્યા છે. 50 જેટલા બાળકો ભાડાની જર્જરિત દુકાનમાં ચાલતી આંગણવાડીમાં અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ કોઈ દુર્ઘટના સર્જાય તો આખરે જવાબદાર કોણ એ સૌથી મોટો સવાલ છે.ભાવનગર શહેરમાં આવેલી 116 પૈકી મોટા ભાગની આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે, જે પૈકીના મોટા ભાગના મકાનો જર્જરિત છે.આંગણવાડીના બાળકોને જે પતરાવાળી દુકાનમાં બેસાડવામાં આવતા હતા તે દુકાન ભાજપના આગેવાન હસ્તકની જ હોવાનું જાણવા મળ્યું છે.
 
જર્જરિત આંગણવાડીનો વીડિયો બનાવી વાયરલ કરાયો
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા શિવનગરમાં આવેલી ભાડાની જર્જરિત દુકાનમાં ચાલતી 151 નંબરની આંગણવાડીમાં 50 જેટલા નાના નાના ભૂલકાઓ ભયના ઓથાર નીચે અભ્યાસ કરવા મજબુર બન્યા છે.સરકાર આંગણવાડી કેન્દ્ર ચલાવવા મહિને 6 હજાર રૂપિયા ભાડું ચૂકવે છે, પરંતુ આજના સમયમાં આટલા ઓછા ભાડામાં મકાન મળવું મુશ્કેલ છે.જર્જરિત આંગણવાડી અંગે અધિકારીઓ, નેતાઓને અનેકવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં તેનો કોઈ જ ઉકેલ નહીં આવતા અંતે જાગૃતવાલી દ્વારા જર્જરિત આંગણવાડીનો વીડિયો બનાવી તેને વાયરલ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. 
 
66 જેટલી આંગણવાડી ભાડાના મકાનોમાં ચાલી રહી છે
ભાવનગર શહેરમાં આવેલી 116 આંગણવાડીઓ પૈકી મોટા ભાગની આંગણવાડીને મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા પોતાના બિલ્ડિંગમાં શિફ્ટ કરી દેવામાં આવી છે. તેમ છતાંય હજુ પણ 66 જેટલી આંગણવાડી ભાડાના મકાનોમાં ચાલી રહી છે. મનપા કમિશનરે જણાવ્યું હતું કે હાલ જે આંગણવાડીઓ છે જે ભાડાના મકાનો માં ચાલી રહી છે, તેના માટે નવા બિલ્ડીંગ બનાવવામાં આવી રહ્યા છે. જ્યાં ભાડાનો પ્રશ્ન છે ત્યાં મનપા દ્વારા વધારાનું ભાડું ચૂકવી યોગ્ય સુરક્ષિત જગ્યાઓ પર આંગણવાડી શિફ્ટ કરવામાં આવશે.