શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 5 જાન્યુઆરી 2018 (11:45 IST)

૧૯૯૬ ધોતિયાકાંડમાં વીએચપી નેતા પ્રવિણ તોગડીયા સહિત ૩૯ સામે ધરપકડ વોરંટ

૧૯૯૬ ના સરદાર પટેલ સ્ટેડિયમ પર યોજાયેલા ભાજપના અસંતુષ્ટ નેતાઓના સંમેલનમાં વરિષ્ટ નેતા આત્મારામ પટેલ પર હુમલો કરવાના બનાવમાં મેટ્રોપોલિટન કોર્ટે વિશ્વ હિન્દુ પરિષદના નેતા ડૉ. પ્રવિણ તોગડીયા સહિત ૩૯ આરોપીઓ સામે બિન જામીનલાયક વૉરંટ ઇસ્યૂ કર્યા છે. ૧૯૯૬ના આરસામાં મુખ્યમંત્રી કેશુભાઇ પટેલની સરકારને પાડવા માટે શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો હતો અને ધારાસભ્યોને ખજુરોહ લઇ ગયા હતા.

આ ઘટનાના સંદર્ભમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે અસંતુષ્ટ અને બળવાખોરોનું એક સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મહેસાણાના ભાજપના વરિષ્ટ નેતા આત્મારામ પટેલ પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો અને ધોતિયું ખેંચવાના બનાવ તરીકે ચકચાર જગાવી હતી. આ બનાવ અંગે જે તે સમયે ભાજપના કાર્યકર જગરૃપસિંહ રાજપૂતે નારણપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની તપાસ ક્રાઇમ બ્રાન્ચમાં ટ્રાન્સફર થઇ હતી અને ત્યારબાદ કોર્ટમાં ચાર્જશીટ પણ થઇ હતી. આ કેસ ઘણા સમયથી પેન્ડિંગ છે. કોર્ટે આ અગાઉ આ કેસના આરોપીઓને હાજર થવા માટે સમન્સો જારી કર્યા હતા અને જામીનલાયક વોરંટ પણ જારી કર્યા હતા. તેઓ કોર્ટમાં હાજર નહીં થતાં કોર્ટે બિનજામીનલાયક વોરંટ જારી કર્યા છે. કોર્ટે જેમની સામે વોરંટ જારી કર્યા છે તેમાં વિશ્વ હિન્દુ પરિષદના નેતા ડૉ.પ્રવિણ તોગડીયા અને તાજેતરમાં ચૂંટાયેલા ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલ, ઇલેશ પટેલ, એડવોકેટ મિનેષ વાઘેલા, મ્યુનિસિપલ કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ સહિત ૩૯ આરોપીઓનો સમાવેશ થાય છે. ૩૦મી સુધીમાં તેઓને પકડીને કોર્ટ સમક્ષ હાજર કરવા માટે બિનજામીની વૉરંટ જારી કરવામાં આવ્યું છે.