શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 2 ફેબ્રુઆરી 2019 (23:03 IST)

નરાધમ પતિનું કૃત્ય, પત્નીની લાશ ફેંકવા જતા રંગેહાથ ઝડપાયો

વાપીમાં લવાછા ગામના શિવનગરના રસ્તા પર વહેલી સવારે એક મહિલાની લાશ મળી આવી છે. આ મહિલાનું નામ છે દુર્ગાવતી દેવી. જેણે આપઘાત કર્યો હતો અને તેના પતિએ તેની લાશ રસ્તા પર ફેંકી દીધી હતી. 26 જાન્યુઆરીના રોજ રાત્રે પતિ-પત્ની વચ્ચે મોબાઇલ બાબતે ઝઘડો થતા પત્નીને માઠું લાગી જતા તેણે રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોતે કોઈ વાંકમાં ન આવે તે હેતુસર પતિ પોતાની પત્નીની લાશ રસ્તા પર ફેંકી દઈને નાસી છૂટ્યો હતો. જો કે, પોલિસની બાજ નજરોમાં તે કેદ થઈ જતા પકડાઈ ગયો હતો.
રાત્રીના મોબાઇલ બાબતે બંને વચ્ચે ઝઘડો થતા પત્નીએ રૂમ બંધ કરી અંદર પંખામાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ લેતા તેનું મોત થયું હતું. આ વાતની કોઇને જાણ ન થાય તે માટે સોમનાથે પત્ની દુર્ગાવતીને પંખેથી ઉતારી અને ખભા ઉપર મુકી તેની લાશને નદીમાં નાંખવા જતો હતો પરંતુ એક રિક્ષાવાળો સામેથી આવતો દેખાતા તે લાશને ત્યાં મુકી નાસી છૂટ્યો હતો. પોલીસ તપાસમાં પણ યુવતીએ ગળે ફાંસો ખાવાથી મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
પતિ ઘટના બાદ ગાયબ થઈ ગયો હોવાથી પોલિસે આશંકા સેવી હતી કે દુર્ગાવતીના મોત પાછળ પતિ સોમનાથનો જ હાથ છે. આકરી તપાસ બાદ આખરે પોલિસે બુધવારે પતિ સોમનાથને પકડી પાડ્યો હતો. જેની સઘન પૂછપરછ કરતા પતિ ભાંગી પડ્યો હતો અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.  ડુંગરા પોલિસના જણાવ્યા પ્રમાણે બંનેના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતા અને બંને વચ્ચે સંતાન પ્રાપ્તિને લઇને અવારનવાર ઝઘડો થતો હતો 26 જાન્યુઆરીના રોજ રાત્રે તેમની વચ્ચે મોબાઇલમાં વીડિયો જોવા બાબતે ઝઘડો થતા દુર્ગાવતીને જાન આપવા પર મજબૂર કરી દીધી હતી. પોલીસે આરોપી સોમનાથને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે.