મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 7 જાન્યુઆરી 2019 (12:55 IST)

ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં અસંતુષ્ટ સિનિયર નેતાઓને સ્થાન મળશે

કોંગ્રેસના કકળાટનો મામલો દિલ્હીના દરબારમાં: અમિત ચાવડા પરેશ ધાનાણી શક્તિસિંહ મોઢવાડિયા સહિતના નેતાઓએ દિલ્હીમાં મિટિંગોનો દોર ચલાવ્યો.

જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની હાર થયા બાદ કોંગ્રેસના જ કેટલાક સિનિયર નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે. તેઓએ પ્રદેશ કોંગ્રેસની યુવા નેતાગીરી સામે પણ પ્રશ્નાર્થ ઉભા કર્યા છે.

કોંગ્રેસ પક્ષની અંદર પોતાની ભારોભાર અવગણના થઈ રહી હોવાની ફરિયાદ પણ હાઇ કમાન્ડ સુધી પહોંચાડી છે ત્યારબાદ સમગ્ર મામલો દિલ્હી હાઇકમાન્ડ સમક્ષ પહોંચ્યો છે. 

સિનિયર આગેવાનો અર્જુન મોઢવાડિયા, શૈલેષ પરમાર, શક્તિસિંહ ગોહિલ વગેરેએ દિલ્હીમાં ધામા નાખ્યા છે. રાહુલ ગાંધી નહીં મળી શકતા અહેમદ પટેલ અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ સાથે મિટિંગ કરી હતી. અસંતુષ્ટોને પગલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના નેતા પરેશ ધાનાણી પણ નવી દિલ્હી પહોંચી ગયા છે.

સુત્રો જણાવે છે કે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હાઈ કમાન્ડ કોઇ વચ્ચેનો રસ્તો કાઢશે. જેમાં પ્રદેશ સંગઠનમાં કોઈ હોદ્દો આપીને નારાજ નેતાઓને મનાવી લેવાનો પ્રયત્ન કરાશે એવું મનાઈ રહ્યું છે કે આગામી ટૂંક સમયમાં જ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં કેટલાક ધરખમ ફેરફારો થશે.

ગુજરાતના નેતાઓ સાથે હાઈ કમાન્ડે લોકસભાની ગુજરાતની તમામ 26 બેઠકોના સંદર્ભમાં પણ ચર્ચા-વિચારણા કરી છે તેમજ ગુજરાત માંથી વધુને વધુ કેટલી બેઠક કઈ રીતે જીતી શકાય. તેનો રિપોર્ટ કરવાની સૂચના પણ આપી દેવાઇ છે.