શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 18 નવેમ્બર 2017 (12:58 IST)

કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં ગુજરાત સમગ્ર રાષ્ટ્રમાં અવ્વલ

કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં ગુજરાત સમગ્ર રાષ્ટ્રના અન્ય રાજ્યો કરતાં અગ્રેસર છે. ઇન્ડિયા ટૂડે - નેલ્શનના તાજેતરના સર્વેક્ષણમાં ગુજરાત કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં સૌ પ્રથમ છે. ગુરૂવારે નવી દિલ્હીમાં યોજાયેલા એક સમારોહમાં ગુજરાત રાજ્યને આ માટેની ટ્રોફી એનાયત કરાઇ હતી. રાજ્યના મુખ્ય સચિવ  ડૉ.જે.એન.સિંઘે આ સિદ્ધિ બદલ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.એસ.ડાગુર અને ગૃહ સચિવ મનોજ અગ્રવાલને અભિનંદ પાઠવ્યા હતા.

કાયદો અને વ્યવસ્થાની જાળવણી સરકાર માટે ટોચ અગ્રતા ધરાવતો મુદ્દો છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં ગુજરાતને સૌથી શાંત અને સુશાસનબદ્ધ રાજય હોવાનો દરજજો મળેલ છે. દેશની નામાંકિત એજન્સી ઇન્ડિયા ટુડે-નેલ્સન દ્વારા દર વર્ષે દેશના તમામ રાજયોને અલગ અલગ માપદંડોથી મુલવીને દરેક બાબતમાં રાજયોને સારી કામગીરી પ્રમાણે ક્રમાંક આપવામાં આવે છે. વર્ષ ૨૦૧૬-૧૭ના વર્ષ માટે થયેલ આ મૂલ્યાંકનમાં કાયદો વ્યવસ્થામાં ગુજરાત રાજ્ય તમામ રાજ્યો કરતા ચડીયાતું સાબિત થયું છે. ગઇ કાલે નવી દિલ્હી ખાતે યોજાયેલ સમારંભમાં કેન્દ્રીય મંત્રીશ્રી દ્વારા ચાર રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ અને અન્ય રાજ્યોના મંત્રીઓની ઉપસ્થિતિમાં ગુજરાતને કાયદો વ્યવસ્થાની ઉત્તમ પરિસ્થિતિ માટે પ્રથમ એવોર્ડ આપવામાં આવેલ છે.

રાજયમાં વસ્તીની સામે પોલીસ કર્મચારીઓની સંખ્યા, રાજયમાં પેન્ડીંગ ગુનાઓ, દાખલ થયેલ ફોજદારી ગુનાઓ પૈકી ખુન અને અપહરણના ગુનાઓની ટકાવારી, બળાત્કાર અને છેડતીના બનાવોની ટકાવારી, કોમી હુલ્લડોની ટકાવારી, દર એક લાખની વસ્તી દીઠ દાખલ થતા ફોજદારી ગુનાઓ, સરકારશ્રી દ્વારા પોલીસ વિભાગ પાછળ કરવમાં આવતો ખર્ચ વિગેરે જેવા માપ દંડોના આધારે તમામ રાજયોનું આંકલન કરવામાં આવેલ હતું. આ તમામ પાસાઓમાં ગુજરાત રાજ્ય દેશના બાકી ૨૧ મોટા રાજયો કરતાં ચઢીયાતું સાબિત થયું છે. ગુજરાતમાં બળાત્કાર અને છેડતીના બનાવોની સંખ્યા કુલ ગુનાઓના માત્ર ૦.૪ ટકા રહેલ છે જયારે આ જ બાબતમાં આખા દેશની સરેરાશ ૨.૪ ટકા છે. ગુજરાતમાં  છેલ્લાં ઘણા સમયથી વસ્તીની સરખામણીએ બનતાં બળાત્કારના ગુનાઓની ટકાવારી પણ આખા દેશમાં સૌથી ઓછી રહી છે.  તેવી જ રીતે ૨૦૧૦ થી ૨૦૧૫ વચ્ચે રાજયમાં પેન્ડીંગ ગુનાઓની સંખ્યામાં ૩૨ ટકા જેટલો ઘટાડો થયો છે. છેલ્લાં પાંચ વર્ષમાં રાજયમાં ૯૦ નવી કોર્ટ બનાવવામાં આવી છે અને તેમાં ૪,૯૦૦ જગ્યાઓ ઉભી કરવામાં આવી છે. રાજય સરકારે દરેક જિલ્લા અને તાલુકામાં દિવાની અને ફોજદારી અદાલતો બનાવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે કોર્ટોમાં બાકી દાવાઓ અને કેસો પુરા કરવાનો સમય ૧૫ વર્ષથી ઘટાડી ૩ વર્ષ કર્યો છે. પરંતુ ગુજરાત સરકારે લોક હિતમાં આ સમય ઘટાડીને માત્ર એક વર્ષ જેટલો જ કરવા નિર્ણય કર્યો છે.