1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 14 નવેમ્બર 2019 (12:20 IST)

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હાથ ધરાઇ કાર્યવાહી, નર્મદા ક્લીન ટેકને અપાઇ નોટીસ

ભરૂચ જિલ્લામાં અંક્લેશ્વર ખાતે પ્રદૂષિત પાણીને શુદ્ધ કરી તેને દરિયામાં નિકાલ કરવા વહન કરતી પાઇપલાઇન નર્મદા ક્લીન ટેક (NCT) દ્વારા ચલાવવામાં આવે છે. આ પાઇપલાઇનનો ઉપયોગ અંક્લેશ્વર અને ઝગડીયા વિસ્તારમાંથી ઉદભવતા ગંદાપાણીને શુદ્ધિકરણ બાદ દરિયામાં નિકાલ કરવા માટે થાય છે. છેલ્લા ૪ માસથી ઝગડીયાથી કાંટિયાજાલ સુધી જતી પાઇપલાઇનમાં વારંવાર થતા ભંગાણના કારણે ખાડીમાં તથા આસપાસના ખેતરમાં પાઇપલાઇનનું દુષિત પાણી ફેલાવવાની ઘટનાઓ બની છે. આ સંદર્ભે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નર્મદા ક્લિન ટેકને નોટીસ ફટકારવામાં આવી હતી. 
 
તાજેતરમાં તા. ૦૭, ૦૮, ૦૯ નવેમ્બર-૨૦૧૯ના રોજ પાઇપલાઇનમાં પડેલ  ભંગાણના રીપેરીંગ તથા એર રિલિઝ વાલ્વની સફાઇ દરમિયાન દુષિત પાણી ખાડી અને ખેતરમાં જવાના બનાવો બન્યા હતા. જેને કારણે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નર્મદા ક્લિન ટેકને તાત્કાલિક પગલા લઇ દુષિત પાણી પરત લઈ નિયમોનુસાર નિકાલ કરવા ફરીથી નોટીસ આપવામાં આવી છે.