શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 ડિસેમ્બર 2017 (13:12 IST)

ગુજરાતના ૧૨ જિલ્લાના એકપણ ધારાસભ્યનેે મંત્રી મંડળમાં સ્થાન નહીં

ભાજપ સરકારની શપથવિધિમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત કુલ સંખ્યા બળ ૨૦ મંત્રીઓનું થયું છે. જેમાં જ્ઞાાતિ-જાતિનાં સમીકરણને ધ્યાનમાં લેવાયું છે. પરંતુ જે-તે વિસ્તારનાં પ્રતિનિધિત્વને નજર અંદાજ કરાયું છે. સૌરાષ્ટ્ર- ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભાજપને ઓછી બેઠકો મળી હોવા છતાં તે વિસ્તારનાં વધુ ધારાસભ્યોને મંત્રી મંડળમાં સ્થાન અપાયું છે. જ્યારે ગુજરાતનાં ૧૨ જિલ્લાઓ એવા છે કે જેમાંથી એક પણ ધારાસભ્યને મંત્રી મંડળમાં સ્થાન અપાયું નથી. જે જિલ્લાનાં એક પણ પ્રતિનિધિને સ્થાન નથી મળ્યું તેમાં વડોદરા, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, ખેડા, મહિસાગર, નવસારી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે. ભાજપ સામે કપરી પરિસ્થિતિ હોવા છતાં આ ૧૨ જિલ્લામાં પ્રમાણમાં સારું પરિણામ આવ્યું છે. આથી એવી અપેક્ષા રખાતી હતી કે જે-તે જિલ્લાને પ્રતિનિધિત્વ મળશે. મંત્રી મંડળમાંથી એક ડઝન જેટલા જિલ્લાઓને બાકાત રખાતા ત્યાંના ધારાસભ્યો ઉપરાંત સંગઠનનાં નાના-મોટા પદાધિકારીઓમાં નારાજગી જોવા મળે છે. નજીકનાં ભવિષ્યમાં આક્રોશ વધુ બળવતર બને તો નવાઇ નહીં રહે. બીજી બાજુ જયાંથી ભાજપને પ્રમાણમાં ઓછી બેઠકો આવી છે તેવા વિસ્તારોમાંથી મંત્રી મંડળમાં વધુ પ્રભુત્વ અપાયું છે. જેમ કે કચ્છની છ માંથી ભાજપને ૪ બેઠકો મળી હોવા છતાં માત્ર ૧ ધારાસભ્યને મંત્રી બનાવાયા છે. જયારે સૌરાષ્ટ્રની ૪૮ માંથી માંડ ૧૯ બેઠકો મળી હોવા છતાં મુખ્યમંત્રી સહિત કુલ છ ધારાસભ્યો મંત્રી બન્યા છે. આ જ રીતે ઉત્તર ગુજરાતની ૩૨માંથી ૧૪ બેઠકો છતાં ૩ મંત્રી, મધ્ય ગુજરાતની ૪૦ માંથી ૨૨ બેઠકો છતાં ૩ મંત્રી દક્ષિણ ગુજરાતમાં ૩૫માંથી ૨૫ બેઠક અને ૪ મંત્રી બનાવાયા છે. અમદાવાદની ૨૧માંથી ૧૫ બેઠક આવી હોવા છતાં ૩ ધારાસભ્યોને સ્થાન અપાયું છે. જે-તે વિસ્તારોના પ્રતિનિધિત્વને યોગ્ય રીતે ધ્યાનમાં નહીં લેવાતા ભાજપમાં અંદરખાનેથી અસંતોષનો સૂર ઉભો થયો છે.