શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 28 જૂન 2018 (11:43 IST)

ભગવાન જગન્નાથની જળયાત્રામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગંગાપૂજન વિધી કરી

અષાઢી બીજે નિકળનારી ભગવાન જગન્નાથની નગરયાત્રાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે આ રથયાત્રા પહેલા આજે સવારે 8 વાગે જગન્નાથ મંદિરથી હાથી, બળદગાડાં, ભજન મંડળીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો સાથે જળયાત્રા નીકળી હતી. જગન્નાથ મંદિરેથી નીકળેલી જળયાત્રા સાબરમતીના સોમનાથ ભૂદરના આરે પૂર્ણ થશે. ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા અષાઢી બીજે ખૂબ ધામધૂમથી નીકળશે. જગન્નાથજી મંદિર અને સરસપુર મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સરસપુર ભગવાનના મામાનું ઘર કહેવાય છે અને તે મંદિરમાં પણ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. પૌરાણિક પરંપરા અનુસાર જળયાત્રા બાદ ભગવાન મામાના ઘરે આવતા હોય છે.જગન્નાથ મંદિરથી વાજતે ગાજતે હાથી સાથે સાબરમતીમાંથી જળ લાવવામાં આવશે. ભગવાન જગન્નાથજી ગાડામા સવાર થઈને સાબરમતી નદીના ભૂદર સોમનાથના આરે પહોંચી છે. જ્યાં રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ગંગાપૂજન કરવામાં આવ્યું છે.જળયાત્રામાં ત્રણેય બળદ ગાડાંના સુશોભન માટેના ચંદરવા પહેલીવાર જગન્નાથ પુરીના કારીગરોએ તૈયાર કર્યા છે. મહંતે માહિતી આપતા જણાવ્યું કે, અત્યાર સુધી સ્થાનિક કારીગરો કાપડ પર રેશમના દોરાનો ઉપયોગ કરી સુશોભન કરતા હતા. પરંતુ આ વખતે પુરીના કારીગરોએ આ ચંદરવો તૈયાર કર્યો છે. જેમાં રંગીન દોરા, ઊન સહિતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 108 જેટલા કળશને પણ લઈ જવામાં આવશે અને તેમાં પવિત્ર જળ ભરીને લાવવામાં આવશે. તેનાથી ભગવાનનો અભિષેક કરાવીને ભગવાન ગજવેશ ધારણ કરશે. પૂજન વિધિ બાદ 108 કળશમાં જળ ભરી જળયાત્રા સવારે 10 વાગે મંદિરે પરત ફરશે. મંદિરમાં લગભગ એક કલાક સુધી ભગવાનને શાસ્ત્રોક્ત વિધિથી જળાભિષેક કરાશે. ત્યારબાદ ભગવાનના ભક્તોને ગજવેશમાં દર્શન કરાવાશે. આ ઉત્સવ દરમિયાન બપોરે મંદિરમાં ભંડારો પણ યોજાશે. આ જળયાત્રાની સાથે રથયાત્રાની પરંપરાગત તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે.