શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 ફેબ્રુઆરી 2017 (12:43 IST)

દારૃડિયાને ઓળખવા વિધાનસભામાં આવતા તમામ લોકોના મોઢા તપાસો - શક્તિસિંહ ગોહિલ

વિધાનસભા શરુ થયાના ત્રીજા દિવસે પણ ગૃહમાં ભારે ધડબડાટી બોલી ગઈ હતી. જો કે, આજે નલિયાકાંડે નહિ પરંતુ કે.જી. બેઝિનમાં કરોડોના ભ્રષ્ટાચાર અને દારૃબંધીના કાયદાના કડક અમલના મુદ્દે અફડાતફડી મચી ગઈ હતી. નશાબંધી સુધારા વિધેયકની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલે એવું કહ્યું હતું કે, કાયદાના અમલની શરુઆત જ આપણાથી કરવી જોઈએ. સરકીટ હાઉસ કે ગૃહમાં આવતા પહેલા તપાસ કરવી જોઈએ અને બધાના મોઢા સૂંઘવા જોઈએ.

આ વખતે પોતાની જગ્યાએ બેસીને શાંતિથી ફાઇલોનું કામ કરતા ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે ઉભાથઈને ભારે આક્રોશભર્યા સ્વરમાં શક્તિસિંહનો વિરોધ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે, શું મુખ્યમંત્રી, સ્પીકરને મોઢા સૂંઘીને ગૃહમાં આવવા દેવાના ? આ ગૃહનું અપમાન છે. બોલવામાં મર્યાદા રાખો. મોં સૂંધવા હોય તો કોંગ્રેસના સૂંઘો ભાજપના ધારાસભ્યોના નહિ. નીતિનભાઈએ ગુસ્સામાં સ્પીકરને પ્રશ્ન પૂછ્યો હતો કે શું તમે શક્તિસિંહની માંગણીથી સહમત છો ?
બીજી બાજુ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ તુરંત ઉભા થઈ કહ્યું કે, અમે દારૃના વ્યસન સાથે જોડાયેલા નથી મારે મુઠ્ઠી આલવી નથી પણ હું સદસ્ય હાઉસમાં દરોડો પડાઉ તો શું થાય ? આવું સાંભળતા જ કોંગ્રેસના તમામ સભ્યો ઉભા થઈ ગયા હતા સામે ભાજપના સભ્યોએ પણ ઉભા થઈ કોંગ્રેસ વિરુદ્ધ નારા લગાવ્યા હતા. એક સાથે અનેક સભ્યો બૂમાબૂમ કરી રહ્યા હોઈ, કોણ શું બોલતું હતું તે ખબર પડતી નહોતી.
સ્પીકર રમણલાલ વોરાએ બધાને શાંત કરી બેસાડયા હતા તેમજ સંયમ રાખવાનું જણાવ્યું હતું. ફરીથી શક્તિસિંહે શરુ કર્યું કે કાયદો જો કાયદાનું કામ કરે તો તેમાં વાંધો શું છે ? કાયદો બધા માટે સરખો છે. સામાન્ય માણસથી માંડી વડાપ્રધાન સુધીની વ્યક્તિને કાયદો લાગુ પડે છે. શું કાયદો આપણને લાગુ ન પડે ?
નીતિન પટેલે ફરીથી ગુસ્સા સાથે કહ્યું કે, આ સન્માનનીય ગૃહનું અપમાન છે કોઈ ધારાસભ્યને તપાસતા નથી એવો નિયમ છે. જો તેને બદલવો હોય જો તેને બદલવો હોય તો તમે ગૃહમાં ફૂટપટ્ટી કે છરી- ચપ્પા સાથે ગૃહમાં આવી શક્યા ન હોત. આ ખૂબ જ ગંભીર બાબત છે તેને હળવાશથી નહીં લેવી જોઈએ. શક્તિસિંહથી બોલતા બોલાઈ ગયું પરંતુ હવે તે પસ્તતા હશે. તેઓએ ગૃહની માફી માંગવી જોઈએ.
રીસેશ પછી ફરીથી આ જ મુદ્દે ભાજપના મનીષાબેન વકીલે સ્પષ્ટ કહ્યું કે, શક્તિસિંહે મહિલાઓનું અપમાન કર્યું છે. આ તબક્કે ભાજપના અન્ય સભ્યોએ પણ શક્તિસિંહ માફી માગે એવી જોરશોરથી માગણી કરતા કોંગ્રેસે પણ પ્રતિ આક્ષેપો શરુ કર્યા હતા. ૧૫ મિનિટ સુધી ઘોંઘાટ સર્જાયો હતો અંતે સ્પીકર રમણલાલ વોરાએ કહ્યું કે, મેં શક્તિસિંહ શું બોલ્યા છે તેની સ્ક્રીપ્ટ જોઈ લીધી છે હું આ અંગેનું મારું રુલિંગ સાંજે આપીશ