શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 26 માર્ચ 2018 (13:35 IST)

જાણો સીએમ રૂપાણીએ સરકારી કર્મચારીઓને કટાક્ષમાં કેમ કામચોર કહી દીધાં

સરકારી સેવામાં નિમણૂંક પત્રો એનાયત કરવાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણીએ સરકારી કર્મચારીઓ પર કટાક્ષ કર્યો, તેમને નિવેદન આપતા કહ્યું કે, સરકારી નોકરી મળી એટલે આરામથી કામ કરવાનું તે માનસિકતા છોડવી પડશે, સરકારી કર્મચારીઓને આમ આડકતરી રીતે કામચોર ગણાવ્યા હતા. રૂપાણીએ  સરકારી કર્મચારીઓને ટકોર કરતાં કહ્યું કે, ખાનગી ક્ષેત્રમાં નોકરીમાંથી ગમે ત્યારે કાઢી મુકવામાં આવે છે, પરંતુ સરકારી નોકરીમાં કામ કરીએ કે ન કરીએ તો પણ નોકરી તો જવાની નથી, આવી માનસિકતામાંથી દરેક સરકારી કર્મચારીઓએ બહાર આવવું જોઇએ. ઉપરાંત સીએમ રૂપાણીએ વિધાનસભા મામલે પણ પોતાનું નિવેદન આપ્યું, તેમને કારોબારી સલાહકાર સમિતિની બેઠક બાદ કહ્યું કે, વિધાનસભા અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચાની માગણી એ કમનસીબ કહેવાય.  વિધાનસભામાં ભારે ધમાલ બાદ અધ્યક્ષે કૉંગ્રેસના ત્રણ ધારાસભ્યોને સસ્પેંડ કર્યા છે, ત્યારે કૉંગ્રેસે ત્રણ વર્ષનું સસ્પેંશન ઘટાડી સત્ર પૂરતુ રાખવાની માગ કરી છે. ફી મામલે પણ મુખ્યમંત્રીએ વાલીઓને હૈયાધારણા આપતા કહ્યું કે, વાલીઓ થોડી શાંતિ રાખે, શાળાઓ ફી વધારે લેશે તેને પાછી અપાવવા સરકાર સક્ષમ છે. હાલ શાળાઓ જે ફી વસૂલે છે. તે પ્રોવિઝનલ ફી છે. રૂપાણીએ સરકારની જવાબદારીને લઇને કહ્યું કે, માત્ર મુખ્યમંત્રી જ નહીં સરકાર આખી સંવેદનશીલ છે, પગાર વધી ગયા છે, ફિક્સ પેમાં પણ સુધારા કર્યા છે, એ કર્મચારીઓનો અધિકાર છે, એમાં કોઈ ઉપકાર નથી. રૂપાણીએ કહ્યું કે, હવે સરકારી કામગીરીમાં બેદરકારી નહીં ચાલે, ટેક્નોલોજીના આધારે મૂલ્યાંકન થઈ રહ્યું છે, સિસ્ટમ ગોઠવાતી જાય છે, હવે ગાપચી મારવાનું નહીં ચાલે. આખા રાજયમાં કર્મચારીઓના ટેકનોલોજીકલ મૂલ્યાંકનનો વ્યાપ આગામી દિવસોમાં વધારવામાં આવશે રૂપાણીએ દુઃખ સાથે કહ્યું કે અમૂક સમયે દુઃખ થાય છે કે, પ્રોબેશન પીરિયડ પુરો પણ ના થયો હોય અને એ કર્મચારી સામે બે રેડ પડી ગઈ હોય, હંમેશા શોર્ટકટ નુકશાનકારક સાબિત થાય છે.