શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 5 ઑક્ટોબર 2017 (12:40 IST)

ચાંદખેડામાં પોલીસ ઈન્સ્પેક્ટરનો લમણામાં ગોળી મારીને આપઘાત

ચાંદખેડામાં રહેતા અને નડિયાદ રૂરલ પોલીસમાં પી.આઈ.તરીકે ફરજ બજાવતા સુનિલ મલ્હી (39) એ આજે બપોરે પોતાના ઘરમાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.પ્રાથમિક તપાસમાં તે લિવરની બિમારીથી પિડાતા હોવાથી આ અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવને પગલે તેમના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ચાંદખેડા પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. આ બનાવની વિગત મુજબ ચાંદખેડાના જનતાનગર સ્થિત પદ્મપ્રભુનગર કો.ઓ.હા.સોસાયટીમાં રહેતા સુનિલ સુદેશકુમાર મલ્હીએ તા. ૪.૧૦.૨૦૧૭ નાં રોજ બપોરે ૧.૩૦થી ૧.૪૦ વાગ્યા દરમિયાન પોતાના લમણામાં પિસ્ટલ વડે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસના જણાવ્યા મુજબ ગોળીબારનો અવાજ સાંભળીને તેમના પત્ની બેડરૃમમાં ગયા હતા. ત્યાં જઈને તેમણે જોયું તેમના પગ તળેથી ધરતી સરકી ગઈ હતી. પતિ સુનિલ મલ્હી પલંગમાં લોહીલુહાણ હાલતમાં પડેલા હતા અને બાજુમાં પિસ્ટલ પડી હતી. આથી તેમણે તાત્કાલિક પતિના પડોશમાં જ રહેતા મિત્ર ભરતસિંહને ફોન કરીને બનાવથી વાકેફ કર્યા હતા. તાત્કાલિક ભરતસિંહ તેમના ઘરે દોડી આવ્યા હતા. બાદમાં સુનિલ મલ્હીને તેમની કારમાં સાબરમતીની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે ડોક્ટરે તેમને તપાસીને મૃત ઘોષિત કર્યા હતા. ચાંદખેડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.એચ.બી.ચાવડાના જણાવ્યા મુજબ આ અંગે અમને જાણ કરવામાં આવતા અમે હોસ્પિટલ દોડી ગયા હતા. બાદમાં તેમના ઘરે પહોંચ્યા હતા. આ સોસયટીમાં તેમના આજુબાજુમાં જ બે ફ્લેટ છે. જેમાં સુનિલ મલ્હી તેમના પત્ની, બે પુત્ર અને એક પુત્રી તથા માતાપિતા રહેતા હતા. તેમની માતા પણ એમડી ડોક્ટર છે.તેમના પિતાને ઘણા સમયથી પેરાલિસીસની બિમારી છે. અઠવાડિયા પહેલા જ તે રજા લઈને તેમના ચાંદખેડાના ઘરે આવ્યા હતા. જોકે ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી ઊપરાંત તેમણે આત્મહત્યામાં પોઈન્ટ ૩૨ બોરની લાયસન્સવાળી પ્રાઈવેટ પિસ્ટલનો ઊપયોગ કર્યો હતો. સુનિલભાઈના એક ભાઈ અમેરિકામાં છે તેમને જાણ કરવામાં આવતા તે અમદાવાદ આવવા નીકળી ગયા છે. જ્યારે અગાઊ ૨૦૦૯ માં તેમના એક ડોક્ટર ભાઈએ ગાંધીનગરમાં કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.