1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 25 ઑગસ્ટ 2020 (13:24 IST)

ભારે વરસાદ અને કોરોનાના કાળ વચ્ચે જામનગર પંથકમાં 24 કલાકમાં ભૂકંપના પાંચ આંચકા

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના પાંચ આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ છવાઇ ગયો છે. સોમવારે બપોરે 2.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જે બાદ સાંજે 2.5ની તીવ્રતાનો  ભૂકંપનો આંચકો આવ્યો. સોમવારે 07:34 કલાકે જામનગરના ગ્રામ્ય પંથકોમાં પણ 2.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વરસાદી માહોલમાં મોડી રાત્રે 2.8 કલાકે 2.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જ્યારે વહેલી સવારે પણ 6.11 કલાકે 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. વારંવાર આવતા ભૂકંપના આંચકાને કારણે જામનગરના ગ્રામ્ય પંથકમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. ભૂકંપના આંચકાનો અનુભવ જામનગર પંથકના નાના થાવરિયા મતવા હડમતીયા અને કાલાવડ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં થયો હતો. જેના કારણે લોકો ઘરની બહાર આવી ગયા હતા. સતત સૌરાષ્ટ્ર કચ્છમાં ધરા ધ્રૂજવાના બનાવો બની રહ્યાં છે. ત્યારે પાંચ દિવસ પહેલા પણ મોડી રાત્રે જામનગર અને કચ્છમાં અલગ અલગ સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કચ્છના રાપર, ખાવડા અને લાલપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કચ્છમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. તો જામનગરના લાલપુરમાં 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છના ખાવડાથી 18 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. અન્ય આંચકાનું કેન્દ્રબિંદુ જામનગરના લાલપુરથી 28 કિમી દૂર નોંધાયું હતુ. દિવસભર હળવા વરસાદ બાદ રાત્રે વરસાદે જોર પકડતા વિજળીના કડાકા ભડાકા અને વાદળોના ગડગડાટ સાથે ઘીંગો વરસાદ ખાબકયો હતો.ખાસ કરી જોડીયામાં રાત્રે દશ વાગ્યા બાદ મંડાયેલા સાંબેલાધાર વરસાદે મોડી રાત્રે બે વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીના ચાર કલાકમાં સાડા છ ઇંચ જેટલુ પાણી ઠાલવી દિધુ હતુ. જેથી ગામનાઅમુક નિચાણવાળા વિસ્તારોમાં જ સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી હતી