શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 ફેબ્રુઆરી 2017 (13:10 IST)

હોટલ તાજમાં ત્રાસવાદીઓને મારનાર અમદાવાદનો જવાન કાશ્મીરમાં શહીદ થયો

દક્ષિણ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં બે ભારતીય જવાનો શહીદ થયા છે. આ બે જવાનો પૈકી એક જવાન ગોપાલસિંહ ભદોરિયા અમદાવાદનો વતની છે અને બાપુનગરના હીરાવાડીમાં આવેલી મા શક્તિ સોસાયટીમાં રહેતો હતો. મુંબઇમાં તાજ હોટલ પર થયેલા ત્રાસવાદી હુમલામાં ગોપાલસિંહએ ત્રાસવાદીઓને મારવામાં મોટી ભૂમિકા ભજવી હતી અને એક સૈનિકનો જીવ બચાવવા બદલ તેને મેડલ પણ અપાયો હતો. સૈનિક ગોપાલસિંહ ભદોરિયાના પિતાએ દીકરાની શહીદી પર ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. રવિવારે કુલગામ જિલ્લાના યારિપોરાના એક ઘરમાં ત્રાસવાદીઓ છૂપાયા હતા. સવારથી ત્રાસવાદીઓ અને ભારતના સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. આ દરમિયાન અમદાવાદના ગોપાલસિંહ ભદોરિયા સહિત રાષ્ટ્રીય રાયફલ્સના બે જવાન શહીદ થયા હતા. સુરક્ષા દળોએ તેમને ભગાડવા માટે બળપ્રયોગ કર્યો હતો જેમાં 15 લોકો ઘવાયા હતા. માર્યા ગયેલા ત્રાસવાદીઓમાં હિજબુલ અને લશ્કરના આતંકી સામેલ છે. કહેવાય છે બંને સંગઠન આજકાલ કાશ્મીરમાં સાથે કામ કરી રહ્યા છે. અમદાવાદના ભદોરિયાએ મુંબઇની તાજ હોટલ પર થયેલ આતંકી હુમલામાં ત્રાસવાદીઓને ઠાર માર્યા હતા.  મુનિમસિંહ ભદોરિયાએ જણાવ્યું કે, જ્યારે મારા દીકરાના મૃત્યુના સમાચાર આવ્યા ત્યારે હું સ્તબ્ધ થઇ ગયો કોઇ શબ્દ ના નીકળ્યો. સામે કોઇએ ફોન પર જયહિંદ બોલ્યો ત્યારે મારા મોઢામાંથી જયહિંદ સિવાય કોઇ શબ્દ નીકળ્યો નહતો. મારો દીકરો 30 જાન્યુઆરીના રોજ રજા પરથી પરત ફર્યો હતો. મને અને પોતાની માં જયશ્રીબહેનને પણ બહાર મૂકવા આવવાની ન પાડી હતી. દુનિયાથી તો તેણે ક્યારની પણ નિવૃત્તિ લઇ લીધી હતી.  તેને કોઇ પ્રકારનું વ્યસન ન હતું પોતાના માતા-પિતાને હંમેશાં પોતાનો મોહ નહીં રાખવા જણાવ્યું હતું. હું દેશ માટે છું. દેશ પછી હું ભગવાન માટે છું.