શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 4 જાન્યુઆરી 2018 (12:06 IST)

મહારાષ્ટ્રની હિંસાએ ગુજરાત ધમરોળ્યું, ટોળાએ ધોરાજીમાં બસ સળગાવી

મહારાષ્ટ્ર હિંસાના પડઘા ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. ગુજરાતના સુરત, નવસારી, રાજકોટમાં મહારાષ્ટ્ર હિંસાની પજડઘાની શરૂઆત થઈ ચુકી છે, જેને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. આ ત્રણે શહેરમાં લોકોના ટોલા રસ્તા પર ઉતરી આવ્યા છે, એક બે ઠેકાણે તો સરકારી પ્રોપર્ટીને નુકશાન પહોંચાડવાની ઘટના પણ સામે આવી છે. તો જોઈએ ક્યાં હાલ કેવો માહોલ છે. જો વાત કરીએ સૌરાષ્ટ્રની તો, ધોરાજી નજીક આક્રમક બનેલ ટોળાએ સરકારી બસને નિશાન બનાવી છે. ટોળાએ ધોરાજીથી પોરબંદર જતી બસને આગ ચોંપી દીધી છે.

બસમાં લગભગ 25 મુસાપરો સવાર હતા. બસ ધોરાજીથી પોરબંદર જઈ રહી હતી તે સમયે ટોળાએ બસ રોકી બસ સળગાવી દીધી છે. આ ઘટના ધોરાજીમાં ભૂખી ચોકડી પાસે બની છે. જો વાત દક્ષિણ ગુજરાતની કરીએ તો, સુરતમાં પણ મહારાષ્ટ્રની હિંસાના પડઘા પડ્યા છે, અહીં આ હિંસાને પગલે સુરત ટ્રાન્સપોર્ટના વ્યાપારને પણ અસર પહોંચી છે. જેના પગલે સુરતના તમામ ટ્રાન્સપોર્ટરએ પોતાની ટ્રકોને મહારાષ્ટ્ર તરફ જતી રોકી દીધી છે. તેમજ આજે પણ એમની ટ્રકો સુરત સહિત હાઇવે પાર રોકવામાં આવી છે. જો આ હિંસા હજુ ચાલુ રહેશે તો ટ્રાન્સપોર્ટરો દ્વારા બુકિંગ પણ બંધ કરી દેવામાં આવશે. જેના કારણે ટ્રાન્સપોર્ટના વ્યાપારને લાખોનું નુકશાન થવાની સંભાવના છે. મહારાષ્ટ્રના ભીમાકોરેગાંવમાં શોર્ય દિવસની ઉજવણીમાં થયેલા કાંકરીચાળા બાદ ફાટેલી હિંસાનો પડઘો આજે નવસારીમાં પણ જોવા મળ્યો હતો. વિજલપોરથી દલિતોએ ઉગ્ર સુત્રોચ્ચારો સાથે જિલ્લા કલેક્ટરાયલ સુધી રેલી કાઢી જિલ્લા કલેક્ટરને મહારાષ્ટ્રની ઘટનાને વખોડતુ આવેદનપત્ર આપ્યુ હતુ. જ્યારે રેલી દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઇ રહે એ હેતુથી નવસારી પોલીસે પણ વિડિયોગ્રાફી સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો. મહારાષ્ટ્રના પુણેના ભીમા કોરેગાંવ ખાતે શોર્ય દિવસના 200માં વર્ષે આયોજીત કાર્યક્રમમાં થયેલા કાંકરીચાળા બાદ હિંસા ફાટી નિકળી હતી. જેમાં બે મહિલાઓ સહિત ત્રણના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા અને સરકારી તેમજ ખાનગી વાહનો-મિલકતોને નુકશાન પહોંચાડવામાં આવ્યુ હતુ. આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી નવસારીમાં પણ દલિતો દ્વારા સુત્રોચ્ચાર સાથે વિજલપોરના આંબેડકર નગરથી રેલી કાઢવામાં આવી હતી.

રેલી લુંસીકુઇ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચી હતી, જ્યાં તેમને પુષ્પવંદના કર્યા બાદ જિલ્લા કલેક્ટરાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં જિલ્લા અધિક કલેક્ટરને ભીમા કોરેગાંવની ઘટનાને વખોડી સમગ્ર ઘટનાની સીબીઆઇ તપાસ થાય એવી માંગણી સાથે જિલ્લા અધિક કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યુ હતુ. સાથે જ જો પાંચ દિવસમાં યોગ્ય પગલા ન લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. મહારાષ્ટ્રના ભીમા-કોરેગાંવની ઘટ્નાને પગલે મહારાષ્ટ્રમા ફાટી નિકળેલી હિંસાને જોતા આજે વિજલપોરથી નિકળેલી દલિતોની રેલીમાં કોઇ અઘટિત ઘટના ન ઘટે અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે એ હેતુથી જિલ્લા પોલીસે એક પી.આઇ. અને પાંચ પોલીસ સબ ઇંસ્પેક્ટર સહિત પોલીસ જવાનોનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. સાથે જ સમગ્ર રેલીની વિડિયોગ્રાફી પણ કરાવવામાં આવી હતી.ધોરાજીમાં એસટી બસને સળગાવવામાં આવી હતી. તો વડોદારામાં પણ મોડી રાત્રે હિંસાની અસર જોવા મળી હતી. અહીં એક બસને આગ ચાંપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.વડોદરામાં પૂણેના કોરીગાંવ હિંસાની અસર જોવા મળી હતી. મોડી રાત્રે સયાજીગંજ ડેરી ડેમ પાસે એક બસને આગ લગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અહીં વીટકોસની એક બસમાં જલદ પ્રવાહી ભરેલી બોટલ ફેંકવામાં આવી હતી. બોટલ ફેંકવાને કારણે બસનો કાચ તૂટી ગયો હતો.બીજી તરફ શહેરના સયાજીગંજ વિસ્તારમાં દલિતો દ્વારા પુણેની હિંસાના વિરોધમાં પૂતળા દહન કરવામાં આવ્યું હતું. મોડી રાત્રે દલિતો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વીટકોસની બસમાં તોડફોડ અને પૂતળા દહનને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.