શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 5 ઑગસ્ટ 2017 (12:21 IST)

નર્મદા બંધને સંપૂર્ણ ઊંચાઈ સુધી ભરવા NCAની ઐતિહાસિક મંજૂરી

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધને તેની સંપૂર્ણ ૧૩૮.૬૮ મીટરની ઊંચાઇ સુધી ભરવા માટે નર્મદા કંટ્રોલ ઓથોરિટી (એનસીએ) દ્વારા ઓકટોબર સુધી તબક્કાવાર ભરવા માટે મંજૂરી મળી ગઇ હોવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, નર્મદા બંધ પરના ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને સરદાર સરોવર બંધ હવે જે ઓવરફ્લો થતો જોવા મળતો હતો તે હાલ મળી શકશે નહીં.

ગુજરાતને આ નિર્ણયના કારણે પાણીના સંગ્રહમાં ખૂબ મોટો ફાયદો થશે. બનાસકાંઠામાં પૂરના કારણે નર્મદાની મુખ્ય કેનાલને જે નુકસાન થયું છે તેની નવેસરથી વધુ મજબૂત ડિઝાઇન સાથે મરામતનું કામ હાથ ધરવામાં આવશે.નર્મદા વિભાગનો પણ હવાલો સંભાળતા નીતિનભાઇએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ૧૨૧.૯૨ મીટરે નર્મદા બંધ ઓવરફ્લો થતો હતો પરંતુ એનસીએ અને પીએમ નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા ડેમના ગેટ બંધ કરવાની મંજૂરી મળી જવા પામી છે જેથી બંધની ઉપરથી જે વધારાનું પાણી વહી જતું હતું તે ઉપયોગમાં લેવા માટે ભરી શકાશે. ૪ ઓગસ્ટે ૧૨૧.૪૫ મીટરની ઊંચાઇથી પાણી વહી રહ્યું છે અને રોજ ૧૫ સેમી વધે તે રીતે પાણીની આવકમાં વધારો થઇ રહ્યો છે. તે જોતા ૧૦ ઓગસ્ટ સુધી ડેમમાં ૧૨૭.૩૦ મીટરની ઊંચાઇ સુધી પાણી ભરવા માટે મંજૂરી મળેલી છે તે પ્રમાણે સંગ્રહ થતો જશે. જેનો આધાર મધ્યપ્રદેશમાં થતા વરસાદ અને નર્મદામાં આવતા પૂર પર છે.તે પછી ઓગસ્ટના અંત સુધીમાં ૧૩૦.૫૯ મીટર સુધી પાણી ભરવા માટે એનસીએની મંજૂરી મળી છે. છેલ્લે બંધની સંપૂર્ણ ઊંચાઇ ૧૩૮.૬૮ મીટરની ઊંચાઇ છે ૨૦ ઓકટોબર સુધીમાં પાણીની તેટલી આવક થશે તો ત્યાં સુધી ભરવામાં આવશે. જેના કારણે બંધ છલોછલ ભરાઇ જશે અને વિશાળ જળરાશિનો સંગ્રહ થતા સમગ્ર રાજયને પાણીનો જંગી લાભ મળી શકશે.