1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 18 જુલાઈ 2019 (12:38 IST)

અખિલ ઠાકોર એકતા સમિતીના પ્રમુખ નવઘણ ઠાકોરે વિવાદિત પોસ્ટ મૂકી

તાજેતરમાંજ દાંતીવાડાના 12 ગામના ઠાકોર સમાજે પોતાના સમાજનું બંધારણ જાહેર કર્યુ છે. આ બંધારણ મુજબ સમાજની દીકરી જો અન્ય જ્ઞાતિમાં લગ્ન કરે તો તેના વાલીને દંડ અને બહિષ્કાર થશે. ઉપરાંત કુંવારી દીકરીઓના મોબાઇલના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ બંધારણના સમર્થનમાં ઠાકોર એકતા સમિતીના પ્રમુખ નવઘણજી ઠાકોરે ફેસબુક પર વિવાદીત પોસ્ટ મૂકી હતી. નવઘણજીએ ફેસબુક પર લખ્યું કે 'સમાજની બહાર લગ્ન કરે તેને દૂધપીતી કરો' નવઘણજીએ વિવાદીત પોસ્ટ કરી અને ટીકા થતા ડિલીટ મારી દીધી હતી અને લુલો બચાવ કર્યો હતો કે અન્ય વ્યક્તિએ મારા મોબાઇલમાંથી પોસ્ટ કરી હતી મારા ધ્યાને આવ્યું એટલે મેં પોસ્ટ ડિલિટ કરી.  અખિલ ઠાકોર એકતા સમિતીની રચના રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે કરી છે અને નવઘણજી ઠાકોર તેમના પ્રમુખ છે. 21મી સદીમાં જ્યારે ઇસરો ચંદ્ર પર યાન મોકલવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે સદી જૂના કુરિવાજોને અમલી કરવાના વિચારો વહેતા મૂકી નવઘણજી ઠાકોરે પોતાની દૂધપીતી માનસિકતા છતી કરી છે. જોકે, નવઘણજીએ આ પોસ્ટ કર્યા બાદ પલ્ટી મારી લીધી હતી. નવઘણજીની પોસ્ટના સ્ક્રિનશોટ સમગ્ર રાજ્યમાં વાયરલ થઈ રહ્યાં છે અને ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે.ઠાકોર સમાજના આગેવાનો પણ આ પોસ્ટનો વિરોધ કર્યો હતો પરંતુ જ્યારે નવઘણજીને આ પોસ્ટ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે મને દૂધપીતી પ્રથા શું એ જ ખબર નથી પરંતુ તેમના ફેસબૂક પર કોઈ યુવાને પોસ્ટ કરી દીધી તેવું રટણ કર્યુ હતું. નવઘણજીની આ પોસ્ટ બાદ ઉત્તર ગુજરાતના સામાજિક અને રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે.ઠાકોર સમાજના અગ્રણી જગતસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે આ પોસ્ટને હું વખોડું છું, દિકરા-દીકરી સમાન છે. આવી પોસ્ટ જે ફેલાવે તેના સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ઠાકોર સમાજના પ્રમુખ ઇશ્વર ઠાકોરે કહ્યું કે આ પોસ્ટને હું સખત શબ્દોમાં વખોડું છું. આવી પોસ્ટ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આવી પોસ્ટ મૂકી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.