શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 જાન્યુઆરી 2020 (16:20 IST)

શાહ આલમ હિંસા કેસમાં શહેઝાદ ખાનને માત્ર 5 કલાકના શરતી જામીન

સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ(CAA)ના વિરોધમાં મુસ્લિમ સંગઠનોએ ગુજરાત બંધનું એલાન આપ્યું હતું ત્યારે 19મી ડિસેમ્બરે સાંજે શાહઆલમ વિસ્તારમાં વિરોધ કરનારાઓએ તોફાન મચાવ્યું હતું. તેમજ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. હુમલામાં 20 જેટલા પોલીસ કર્મીઓ અને કેટલાક મીડિયાકર્મી ઘાયલ થયા હતા. પોલીસ કર્મીઓમાં ઝોન-6 ડીસીપી, એસીપી આર.બી.રાણા, બે પીઆઈ, ચારથી વધુ પીએસઆઈ અને પાંચથી સાત કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મીઓને પકડી પકડીને માર્યા હતા. અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં નાગરીકતા કાયદાના વિરોધ દરમિયાન થયેલી હિંસાના ગુનામાં ધરપકડ કરાયેલા દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણને સેશન્સ કોર્ટે માત્ર પાંચ કલાકના જામીન આપ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં હાજરી આપવા માટે શહેઝાદ ખાન પઠાણે જામીન માંગ્યા હતા. જેને લઈને કોર્ટે આજે તેને સભામાં હાજરી આપવા માટે જામીનમુક્ત કરવા આદેશ કર્યો છે.મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં ફરજીયાત હાજરી જરૂરી છે. છેલ્લા બે વખતથી શહેઝાદ ખાન સામાન્ય સભામાં હાજરી આપી શક્યો નથી. જેથી તેનું કોર્પોરેટરનું પદ રદ્દ થાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી. તેથી શહેઝાદે સામાન્ય સભામાં હાજર રહેવા જામીન માંગ્યા હતા. જેને કોર્ટે શરતી જામીન તરીકે માન્ય રાખીને 5 કલાક માટે મુક્ત કરવા આદેશ કર્યો હતો. 29 જાન્યુઆરીએ કોર્પોરેશનની સામાન્ય સભા યોજાશે. ત્યારે શહેઝાદ ખાન પઠાણ 5 કલાક માટે મુક્ત થશે. જ્યારે પોલીસે તોફાનીઓને કાબુમાં લાવવા માટે 20થી વધારે ટીયરગેસના શેલ છોડ્યા હતા. જ્યારે બીજા દિવસથી એટલે કે 20મી ડિસેમ્બરથી 80 જેટલા લોકોને ડિટેઇન કરાયા હતા અને મોડી રાત્રે ટોળાં સામે રાયોટિંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી. જેમાં શહેઝાદ ખાન પઠાણની પણ ધરપકડ થઈ હતી. ત્યારથી તે જેલમાં હતો.