શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 18 મે 2018 (13:52 IST)

રાજકોટમાં કોંગ્રેસના કાર્યકરો વજુભાઈ વાળાના ઘરે પહોંચ્યા, પોલીસે કાર્યકરોની અટકાયત કરી

કર્ણાટકના નાટક બાદ દેશમાં ચારેબાજુ હલ્લાબોલની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાના રાજકોટ સ્થિત આવાસ પર કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો પ્રમાણે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી પછી ગુરૂવારે ભાજપ નેતા યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યપાલ વજુભાઈ વાળાએ તેમને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું. જેને લઇને રાજકોટ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો વજુભાઇ વાળાના ઘરે પહોંચ્યા હતા અને નારા લગાવ્યા હતા કે વાળાજી તમે આ શું કર્યું?

લોકશાહીનું ખૂન કર્યું. કોંગ્રેસના મોટી સંખ્યામાં વજુભાઇના ઘરે પોસ્ટરો સાથે પહોંચ્યા હતા. જેમાં લખ્યું હતું કે, લોકશાહીની કરી છે હત્યા ભાજપનું છે આ સત્ય, નષ્ટ કરે છે લોકશાહી ભાજપની છે તાનાશાહી. કોગ્રેસના વિરોધને લઇને પોલીસનો કાફલો પહેલેથી જ બંદોબસ્ત માટે ઉતારી દેવામાં આવ્યો હતો. વજુભાઇના ઘરે પણ પોલીસનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે કોંગ્રેસના 20થી વધુ કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.